તા.૧૯.૯.૨૦ના ગુજરાત સમાચારમાં ‘અજવાળું ..અજવાળું’ માં તુષાર જોશીએ લેખક - કવિ હરીન્દ્ર દવેની રચનાઓમાં ' પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા' નો ઉલ્લેખ કર્યો ને મારી નજર સામે વૃક્ષ ઉપર છવાયેલી લીલા પર્ણોની ઓઢણી અને નીચે પીળા પર્ણોની જાજમ પથરાઈ ગઈ. ગીતની પંક્તિઓ વાંચીને થયું કે જો લીલું પાન દીવાની મસ્તાની જવાનીનું પ્રતીક હોય તો પીળા પર્ણોને શું કહેશું ? તે તો તમારે આ વાંચ્યા પછી જ નક્કી કરવાનું રહેશે.
બગીચાના એક ખૂણામાં ખરી પડેલાં પીળા પર્ણોનો ઢગલો જોઈને ઠૂંઠા વૃક્ષ સામે જોઈને મારી પૌત્રી બોલી, ba I feel sorry for the tree.વૃક્ષને જોઈને મને ખૂબ દુઃખ થાય છે. મેં ખૂબ સહજતાથી સમજાવ્યું કે બેટા સ્પ્રીંગ આવશે ત્યારે
ખરી ગયેલા પાંદડાની જગ્યાએ સરસ નવી કૂંપળો ઉગશે. આ સાંભળતાની સાથે તેની આંખોમાં ચમક આવી હાથ પહોળા કરી તે આશ્ચર્ય આનંદ સાથે બોલી how generous of them ba ! They fell down so that new leaves can grow in their place. તેમની ઉદારતા તો જુઓ તેઓ ખસી ગયા જેથી ત્યાં નવા પાન ઉગે.
મેં આવું કદી વિચાર્યું ન હતું, કેટલી અફસોસની વાત છે. કુટુંબ અને સમાજમાં વૃદ્ધો અને વડીલો યુવા પેઢી સાથે બાંધછોડ કરતાં જ આવ્યા છે. સમય આવે ખસી જાય છે. જેથી નવું લોહી નવા વિચારો અને નવી રીત બહારની પ્રગતિશીલ દુનિયા સાથે કદમ મિલાવી શકે.
પીળા પર્ણો ખાતર બનીને જમીનને રસાળ બનાવે છે તેવી જ રીતે વડીલો - વૃદ્ધોએ સીંચેલ સંસ્કાર, ભાષા અને સંસ્કૃતિ સમાજને સમૃદ્ધ રાખે છે.
વૃદ્ધો સમાજનો મોભો હોય છે. પીળાં પર્ણો જેવો સોનલ વરણો શિરતાજ હોય છે.
કહેવાય છે ઘરડા વહાણ વાળે. તેમના જેવી કોઠાસૂઝ અને ડહાપણ માટે વર્ષોનો અનુભવ જોઈએ. લીલાંમાંથી પીળાં થવું પડે..