કમનસીબે પશ્ચિમમાં ખાલિસ્તાનની માગણીનું વિકરાળ ભૂત ફરી ધૂણી રહ્યું છે જ્યાં કેટલાક શીખો પંજાબ, ભારત અને બાકીના વિશ્વમાં શીખ કોમ્યુનિટી પર તેમની પ્રવૃત્તિઓની કેવી અસર થશે તે સમજ્યા વિના જ ખાલિસ્તાન બાબતે નિવેદનો કરી રહ્યા છે. જ્યારે નહિ ચૂંટાયેલા મુઠ્ઠીભર શીખ લોકો વ્યાપક ડાયસ્પોરા વતી બોલતા હોવાના દાવા સાથે શીખ ગુરુઓએ કદી માંગ્યું ન હતું તેવું રાજ્ય પોતાના માટે માંગી રહ્યા છે તે ખરેખર આઘાતજનક છે. આ બની બેઠેલા નેતાઓ શીખ ગુરુઓ કરતા વધુ દીર્ઘદૃષ્ટા હોવાનું વર્તન કરી રહ્યા છે અને આમ કરીને વિશ્વભરના શીખોના હિતો અને આદરને નુકસાન કરી રહ્યા છે. તેઓ આપણને ભારતવિરોધી વિભાજનવાદી તરીકે ચીતરી રહ્યા છે જ્યારે આપણામાંના મોટા ભાગના લોકો તે ખરેખર નથી અને ભારતના હિન્દુઓ, મુસ્લિમો અને ક્રિશ્ચિયનોની માફક જ શીખો પણ ભારતીયો હોવાનો ગર્વ ધરાવે છે. શીખો હંમેશાંથી ભારતના સંરક્ષણ અને એકતાના મોરચે અગ્રેસર રહ્યા છે અને આજે પણ છે.
નિખાલસપણે કહીએ તો શીખો કદી ખાલિસ્તાન મેળવી શકશે નહિ જેમ કાશ્મીરીઓ પાકિસ્તાનના સપોર્ટ અને ભૂતકાળમાં યુએસએની સહાય છતાં કાશ્મીર મેળવી શકે તેમ નથી. પાકિસ્તાને કાશ્મીર હાંસલ કરવા ચાર લોહિયાળ યુદ્ધો ખેલ્યા છે પણ સફળતા મળી નથી. કાશ્મીરીઓએ અત્યાર સુધી જે હાંસલ કર્યું છે તે સ્વર્ગને પ્રવાસીઓ માટે સ્વપ્ન બનાવી દીધું છે અને તે સાથે અર્થતંત્રને ખરાબે ચડાવી દીધું છે. જો આ મુઠ્ઠીભર શીખો કાળજી નહિ રાખે તો શીખોને ભારતમાં અને બહાર પણ બીજા વર્ગના નાગરિકો બનાવી દેશે અને પંજાબના અર્થતંત્ર અને સમૃદ્ધિનો નાશ કરશે.
પંજાબમાં ઉગ્રવાદી ચળવળ શરૂ થઈ અને ઓપરેશન બ્લુ સ્ટાર હાથ ધરાયું તે પહેલા ભારતના લશ્કરી દળોમાં શીખોની સંખ્યા આશરે 20 ટકા હતી જે ઓપરેશન બ્લુ સ્ટાર પછી કેટલાક શીખ સૈનિકોના બળવાના કારણે આજે ઘટીને માત્ર 2 ટકાના ક્વોટાએ પહોંચી છે. દુઃખની વાત એ છે કે પંજાબમાં રોજગારીની તકોના અભાવથી શીખ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે અને આ પ્રદેશમાં માઝા મૂકી રહેલા ડ્રગ્સના દૂષણની વાત જ થાય તેમ નથી. ગેરમાર્ગે દોરાયેલા આ શીખો જાણેઅજાણે પોતાના જ ગોલ ફટકારી રહ્યા છે અને વિશ્વભરના સાથી શીખો માટે જ નહિ પરંતુ, ગુરુઓના ઉપદેશોને સુસંગત ન હોય તેવા વર્તનથી મહાન ગુરુઓ માટે અનાદર ઉભો કરી રહ્યા છે.
શીખ ગુરુઓ દૂરદર્શી હતા જેમણે ઉદાહરણરૂપ જીવન જીવ્યું હતું અને વિશ્વભરમાં પોતાના અને અનુયાયીઓ માટે સન્માનભાવ હાંસલ કર્યો હતો. શીખ ગુરુઓએ પંજાબમાં જ નહિ, સમગ્ર ભારતમાં માનવ અધિકારો, સ્વતંત્રતા અને ન્યાયને જાળવવા પોતાના જીવન સમર્પિત કર્યા હતા. શીખ ગુરુઓ હંમેશાં પ્રાદેશિક દાવાઓથી અળગા રહ્યા હતા અને તેમણે શીખવેલા સિદ્ધાંતો સરહદો અને સંસ્કૃતિઓની પર પાર હતા. કમનસીબે તેમના કેટલાક અનુયાયીઓ આપણા ગુરુઓના વિઝનથી વિપરીત વર્તન કરી રહ્યા છે અને તેમના પોતાના માટે જ નહિ, આપણા બધા માટે અનાદર સર્જી રહ્યા છે.
આપણને ગર્વ છે કે શીખ ગુરુઓના પ્રયત્નોના કારણે જ ભારત બધા લોકો માટે બહેતર સ્થળ છે. તેમના યોગદાનના કારણે આપણે શીખો સમગ્ર ભારત અને વિશ્વમાં અનહદ સન્માન મેળવી રહ્યા છીએ. મહત્ત્વની બાબત એ છે કે વધુ અને વધુ લોકો માનવતા સંદર્ભે શીખ ગુરુઓની દૃષ્ટિ અને બલિદાનો માટે આદર ધરાવતા થયા છે તેમજ ભારત સરકારે આપણા ગુરુઓના જીવન અને ઉપદેશોની ઉજવણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ધોરણે શરૂ કરી છે. તાજેતરમાં ભારત સરકારે પોતાના ધર્મની જાળવણી માટે શહિદી વહોરનારા સાહિબજાદાઓ (ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો)ના સ્મરણાર્થે 28 ડિસેમ્બરના દિવસને વીર બાળ દિન જાહેર કર્યો હતો.
બ્રિટિશરો ભારતનું ધર્મના ધોરણે વિભાજન કરવા માગતા હતા ત્યારે 1947માં શીખોને કદાચ સ્વતંત્ર રાજ્ય મળી શક્યું હોત. સ્વતંત્ર અને સાર્વભૌમ દેશ તરીકે ભારત કદી તેની ભૂમિનો એક ઈંચ હિસ્સો પણ કોઈને આપશે નહિ, શક્તિશાળી ચીનને પણ નહિ. શીખોએ કાશ્મીરના અનુભવ પરથી શીખવું જોઈએ કે ઓપરેશન બ્લુ સ્ટાર પહેલા અને્ પછી કેટલા નિર્દોષ શીખ યુવાનોએ જાન ગુમાવ્યા છે અને પંજાબના અર્થતંત્રને કેટલો ધક્કો પહોંચ્યો છે તેના વિશે ગંભીર ચિંતન કરવું જોઈએ. શું આપણે પંજાબના ઈતિહાસમાં તેવા જ દુઃખદ અને લોહિયાળ પ્રકરણનું પુનરાવર્તન કરવા ઈચ્છીએ છીએ?
આપણા ગુરુઓએ બલિદાનો આપીને ભારતીયોને મોગલ બાદશાહોના ધાર્મિક જુલ્મો-અત્યાચારોથી આઝાદ કરાવવા, ભારતને તોડવા નહિ, બ્રધરહૂડ ઓફ ખાલસા (ખાલસા પંથ)ની સ્થાપના કરી હતી. 1947માં ભારતના વિભાજનથી લાખો નિર્દોષ લોકોના મોત નીપજ્યા હતા અને 15 મિલિયનથી વધુ લોકો પોતાના જન્મના દેશમાં નિર્વાસિત બની ગયા હતા. શું આપણે માનવતાને છિન્નભિન્ન કરવા ધર્મનો કદી આશ્રય નહિ લેનારા આપણા ગુરુઓનું અપમાન કરીશું? ભારતના કૃત્રિમપણે ઉભા કરાયેલા વિભાજનની અસરો આજે પણ જણાય છે અને હું તો કહું છું કે તે હરહંમેશ અનુભવાશે.
શીખોના મૂળ ભારતમાં છે જ્યાં શીખ ગુરુઓનો જન્મ થયો હતો. પંજ પ્યારે શીખોએ ખાલસા પંથ સ્થાપવામાં મદદ કરી તેઓ ભારતીય હિન્દુ હતા. ગુરુ ગોવિંદસિંહજીએ દરેક ભારતીયના જીવનને સુધારવામાં મદદ કરી હતી. પ્રખ્યાત શીખ યોદ્ધા બંદા સિંહ બહાદુર મહારાષ્ટ્રના હતા. 9મા ગુરુ ગુરુ તેગ બહાદુરજીએ શીખો માટે નહિ પરંતુ, હિન્દુ કાશ્મીરી પંડિતો માટે શહિદી વહોરી હતી.
આપણે યાદ રાખવું જોઈએ કે મલ્હોત્રા, શેઠી, કોહલી, ખુરાના, વોહરા, સભરવાલ, બેદી, સોઢી અને તેના જેવી અનેક વર્તમાન શીખ અટકો મૂળ હિન્દુ અટકો છે. આ દર્શાવે છે કે હિન્દુ પરિવારોએ જ તેમના પ્રથમ પુત્રને શીખ બનાવ્યા હતા. આપણને આપણા મૂળિયાથી અલગ કરવાની વાત આપણા મૂળની હકીકતોનો ઈનકાર ગણાશે. આપણે એ કહે્તા ગર્વ અનુભવવો જોઈે કે આપણી વિશિષ્ટ ઓળખ હોવા સાથે હિન્દુઓ સાથે ઘણું સામ્ય ધરાવીએ છીએ.
આપણે એક ભારતમાં સંપીને રહેવું જોઈએ. જય હિન્દ.