લેબર પાર્ટીએ ભારત સાથે તેમજ યુકેમાં તેની ૧.૫ મિલિયન ડાયસ્પોરા કોમ્યુનિટી સાથે ઐતિહાસિક અને સારા સંબંધોનો અનુભવ કર્યો છે. બ્રિટિશ ભારતીયોની અભૂતપૂર્વ બહુમતીએ પરંપરાગત રીતે લેબર પાર્ટીની તરફેણમાં મતદાન કર્યું છે. અત્યાર સુધી એમ મનાતું હતું કે લેબર પાર્ટી ઈમિગ્રન્ટ કોમ્યુનિટીઓના હિતોનું શ્રેષ્ઠ પ્રતિનિધિત્વ કરતી આવી છે પરંતુ, હવે તેમ નથી.
લેબર પાર્ટી સાથે ભારત અને ભારતીય કોમ્યુનિટીના સંબંધોને સૌથી મોટા આંચકારુપે પાર્ટીએ તાજેતરના તેના વાર્ષિક અધિવેશનમાં એક ઠરાવ પસાર કર્યો હતો, જેમાં કાશ્મીરમાં આત્મનિર્ણય અને આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપની માગણી કરવામાં આવી હતી, જે મને હરહંમેશ યાદ રહેશે.
કદી ન જોવાયેલી સ્પષ્ટતા અને કડકાઈ તેમ જ ઝડપ સાથે ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ શબ્દોમાં તત્કાળ ઠપકો જારી કર્યોઃ ‘સ્પષ્ટપણે આ વોટબેન્કના હિતોની દલાલી કરવાનો પ્રયાસ છે.’ આ પગલાને ‘માહિતી વિનાના અને પાયાવિહોણા’ ગણાવી પ્રવક્તા રવીશ કુમારે જાહેર કર્યું હતું કે ભારત લેબર પાર્ટી અથવા તેના પ્રતિનિધિઓ સાથે આ મુદ્દે કોઈ સંવાદ કરે તેવો કોઈ સવાલ જ નથી.
ભારતના જમ્મુ અને કાશ્મીર રાજ્યને સંબંધિત આ ઠરાવ વિચાર્યા વિનાનો અને અધકચરી માહિતીવાળો છે, જેનાથી બહુમતી ભારતીયો લેબર પાર્ટીથી વધુ વિમુખ બનશે. આર્ટિકલ ૩૭૦ રદ કરવાનો નિર્ણય બંધારણીય, લોકતાંત્રિક અને સ્પેશ્યલ સ્ટેટસના લીધે મહિલાઓ, અલ્પસંખ્યકો, એલજીબીટીક્યુ કોમ્યુનિટીઓને જે અધિકારોનો ઈનકાર કરાતો હતો તે આપનારો હતો. વિચિત્રતા એ છે કે ઉદાર સામાજિક મૂલ્યોના ઐતિહાસિક ઝંડાધારી લેબર પાર્ટી આ ઠરાવ પસાર કરીને આ કોમ્યુનિટીઓનું દમન યથાવત્ રહે તે જોવા માગે છે.
આ આશ્વર્યજનક છે કે આ રેઝોલ્યુશન પાસ કરીને લેબર પાર્ટી આ સમાજનું દમન કાયમ રાખવા આગ્રહ કરી રહી છે. આ પાર્ટી ડાબેરી ઉગ્રવાદીઓ અને જેહાદને સમર્થન આપતા તત્વો દ્વારા હાઇજેક થઇ ગઇ છે. આ બ્રિટિશ સોસાયટીમાં ભંગાણ પાડવાનો રસ્તો છે, અત્યારે બ્રિટનને એવા નેતાઓ જોઇએ છે જે દરેક સમાજ વચ્ચે સેતુ બનાવે અને ભારત જેવા મૈત્રીપૂર્ણ દેશ સાથે સંબંધો અકબંધ રાખે.
સ્વાભાવિક છે કે જેરેમી કોર્બીનની નેતાગીરી હેઠળ આ સંબંધોમાં ભંગાણ પડ્યું છે. કોર્બીને પ્રમુખપદ સંભાળ્યાના થોડા સમય પછી રાજીનામું આપ્યું તે અગાઉ હું ૨૦ વર્ષ કરતા વધુ સમયથી લેબર પાર્ટીનો સભ્ય રહ્યો હતો અને તેના ઘણા કોમ્યુનિટી એન્ગેજમેન્ટ કાર્યક્રમોનું સંચાલન કર્યું હતું. મને તેના બદલાતા ચહેરાનો સ્વાભાવિક અનુભવ છે. આથી, મને એ કહેતા જરા પણ ખચકાટ થતો નથી કે લેબર પાર્ટી હવે ભારત અને ભારતીયો વિરુદ્ધ સંસ્થાગત પૂર્વગ્રહ ધરાવે છે.
લેબર પાર્ટી હવે ઘણાં લોકોની પાર્ટી ન હોવાનું જણાતા જ મેં લેબર પાર્ટી છોડી દીધી હતી. તેના મોટા ભાગની નિર્ણયપ્રક્રિયાને કટ્ટર ડાબેરી ઉગ્રવાદીઓ અને જેહાદીઓ તરફ સહાનુભૂતિ ધરાવતાં ગઠબંધને હાઈજેક કરી લીધી છે. વિશ્વભરમાં અલગાવવાદી અને મોટા ભાગે હિંસક ઉદ્દેશો પ્રત્યે કોર્બીનનો સપોર્ટ જાણીતો છે. તેની નેતાગીરી હેઠળ, લેબર પાર્ટી ઉદારવાદી હોય તેમ બોલવાનો દંભ કરે છે પરંતુ, સૌથી વધુ અસહિષ્ણુ વિચારધારાઓની દલાલી કરે છે. બ્રેક્ઝિટથી વિભાજિત બ્રિટનને તમામ કોમ્યુનિટીઓ તેમજ ભારત જેવા મૈત્રીપૂર્ણ દેશો સાથે સેતુબંધનું નિર્માણ કરી શકે તેવા રાજકારણીઓની આવશ્યકતા છે તેવા સમયમાં આ લપસણો માર્ગ બ્રિટિશ સમાજને વધુ વિભાજન તરફ ખેંચી જશે.
આજે ભારત યુકેમાં સૌથી મોટા ત્રીજા ક્રમનું રોકાણકાર છે અને ભારતીય કંપનીઓ દેશના ઉત્પાદન સેક્ટરમાં સૌથી મોટા એમ્પ્લોયર્સ તરીકે અગ્રેસર છે.
આથી, કોર્બીનના નેતૃત્વ હેઠળની સરકારની સંભાવનાથી બ્રિટિશ ભારતીય મતદારોએ તેમની પરંપરાગત પસંદગીની પાર્ટી તરફ પીઠ ફેરવવા માંડી છે ત્યારે જો ભારતીય કંપનીઓ તેમની યુકેમાં રોકાણોની યોજનાઓનું પુનર્મૂલ્યાંકન કરવાનું આરંભે તો તેમને દોષ દઈ શકાય નહિ. બંને દેશોએ અને તેમની વિભિન્ન સરકારોએ મજબૂત વેપાર, ઈન્વેસ્ટમેન્ટ અને વ્યૂહાત્મક સંબંધોના નિર્માણ માટે વર્ષો સુધી કામગીરી બજાવી છે તેને ધ્યાનમાં લેતાં આ ખરેખર શરમજનક બનશે.
આ લેબર પાર્ટી તેની ઉગ્રવાદી માનસિકતાના પુનઃ સ્થાપનાના પ્રભાવશાળી અવતારનું નવા, આત્મવિશ્વાસી, દૂરોગામી નજર કરતા અને આર્થિક રીતે પ્રગતિશાળી ભારત સાથે સામંજસ્ય સાધી શકી નથી. લેબર પાર્ટીનું રાજકારણ લોકશાહીવાદી ભારતની સાથે બ્રિટનના બિઝનેસ અને વ્યાપક વ્યૂહાત્મક હિતો સાથે તાલમેલ સાધવામાંથી અવિચારીપણે અલગ થઈ ગયું છે.
મારી સંપાદન કરેલી બુક ‘Winning Partnership – India-UK Relations Beyond Brexit’માં ભારતસ્થિત બ્રિટનના પૂર્વ રાજદૂત સર માઈકલ આર્થરને પ્રશ્ન કરાયો હતો કે યુકેને ભારતની વધુ જરૂર છે કે તેનાથી વિપરીત છે. તેમણે ઉત્તર વાળ્યો હતો કે, ‘ભારત બ્રિટનના વૈશ્વિક પ્રસારમાં મહત્ત્વનો હિસ્સો બની રહેશે - જો ભારત તેના હિતોને તે રીતે નિહાળશે તો.’
કોર્બીનની નેતાગીરી હેઠળ નવા લેબર અને તેના મધ્યવર્તી રાજકારણના દિવસો ખરેખર પૂરા થયા છે. પરંતુ, નવા ભારતના દિવસો તો મજબૂતપણે સ્થિર છે. લેબર પાર્ટી ચાની સુગંધ માણે તેના દિવસો પાકી ગયા છે. જોકે, મને લાગે છે કે આ કદાચ ઘણું મોડું થઈ ગયું છે. યુએસના ડેમોક્રેટ્સે પણ આની નોંધ લેવી જોઈએ. (મનોજ લાડવા ઈન્ડિયા ઈન્ક.ના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ અને લેબર પાર્ટીના ઈન્ડિયન કોમ્યુનિટી એન્ગેજમેન્ટ ફોરમના પૂર્વ અધ્યક્ષ છે.)