આત્મનિરીક્ષણ (પોતાના સ્વરૂપને જુઓ)

મારી નજરે

- દેવી પારેખ, એજવેર Saturday 18th April 2026 06:46 EDT
 
 

નરસિંહ મહેતાનું એક ભજન છે કે, આપણે આપણો ધર્મ સંભાળવો. આપણી નજર આપણા જીવન ઉપર આપણા આત્મદર્શન ઉપર નથી હોતી, પણ બીજાના ગુણ-દોષો જોયા કરીએ છીએ. આપણે આપણી જાતને સુધારવા - વ્યસનમુક્ત રહેવામાં શ્રદ્ધા - વિશ્વાસ કેળવવામાં જેટલા મથીએ છીએ, ચિંતન કરીએ છીએ, સુધારવા પ્રયત્નો કરીએ છીએ તેના કરતાં બીજાના ગુણ–દોષો જોવા માટે, ચર્ચા કરવા માટે ઈશ્વરે આપેલી મોટાભાગની અમૂલ્ય જિંદગીને વેડફી નાંખીએ છીએ. આપણે આપણું જીવન સુધારીએ – દ્રષ્ટિમાં દિવ્યતા લાવીએ તો દુનિયા સુધરેલી દેખાય.
વિનોબા ભાવે દ્રષ્ટાંત આપતા કહે છે કે, કોઈ એક પૈસાદારનો દીકરો સહજ એક વખત રમવા બહાર નીકળ્યો હતો. આ તરફ સૂર્યનારાયણની તપશ્ચર્યા આકાશમાં ચાલુ જ હતી. દીકરો ઘણો નાજુક હતો અને સુંવાળો પણ. પગ દાઝવા લાગ્યા. તેથી તેને દુનિયાનો દોસ્ત (સૂર્ય) પણ દુશ્મન લાગ્યો.
પૈસાદારનો દીકરો રહ્યો. આખરે ભેજું વાપરવામાં એક્કો હતો. તેથી તેણે એક તુક્કો શોધી કાઢ્યો. બધી જમીન પર ચામડું પાથરી દીધું હોય તો પગ દાઝે નહીં. તરત જ ઘરે આવીને બાપને વાત સમજાવી. બાપને બાબાની વાત સાંભળીને સાભિમાન આનંદ થયો, પણ તે આનંદને રોકીને કહ્યું કે તું જ તારા પગમાં જોડા પહેર, એટલે પગ દાઝે નહીં. આપણી સ્થિતિ આ પૈસાદારના મુર્ખ છોકરા જેવી છે. તેથી આકાશને બાથમાં લઈ આવવાની મોટી કલ્પનાઓ આપણને સૂઝે છે, પણ સાદા, સરળ અને સહેલાં ઉપાયો સૂઝતા નથી. કોઈ પણ સવાલનો અંદરથી વિચાર ન કરતા આપણને બહારથી વિચાર કરવાની ટેવ જ પડતી હોય છે. ગાંઠ છોડવી હોય તો ત્યારે તે અંદરથી ઉકેલવી પડે છે. બહારથી ખેંચતાણ કરવાથી છૂટી જવાને બદલે તે વધારે ને વધારે મજબૂત થઈ જાય છે - એ આપણને સમજાતું નથી. આ આપણા બધાની જ મનોદશા છે...


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter