ઈન્ડિયા હાઉસ: લંડન, ન્યુયોર્ક અને માંડવી પછી હવે દિલ્હી !

ઘટના દર્પણ

- વિષ્ણુ પંડ્યા Tuesday 03rd June 2025 13:23 EDT
 
 

કેટલાંક બીજ જમીનમાં ઊગે છે અને ખુલ્લાં આકાશમાં વિહાર કરે છે. વિચાર બીજનો એવો જ ઇતિહાસ છે. ભલે સમય લાગે પણ તેની શાખાઓ એકથી બીજી જગ્યાએ વિસ્તરે છે. નહિતર છેક 1905માં લંડનના હાઇ ગેટ પર ત્રણ માળની સુંદર બ્રિટીશ સ્થાપત્ય ધરાવતી ઇમારત છેક કચ્છના માંડવી ગામની લીમડાવાળી ગલીમાં અભણ મા-બાપને ત્યાં જન્મેલો ભાનુશાલી કોમનો શામુ, મોટો થઈને સંસ્કૃતનો પંડિત, ઓક્સફર્ડનો સ્નાતક અને બેરિસ્ટર-ઇન-લો બનેલ, કાશીના વિદ્વાનો દ્વારા ‘પંડિત’ સન્માન-પ્રાપ્ત પંડિત શ્યામજી કૃષ્ણવર્મા ખરીદી લે અને ત્યાં ભારતથી ભણવા આવતા વિદ્યાર્થીઓને, છાત્રવૃત્તિ સાથે રહેવાની વ્યવસ્થા કરે એવું બને? પછી તો ન્યૂ યોર્કમાં પણ માઇરોન ફિલિપ્સ નામે ભારત-પ્રેમી પત્રકારે ઈન્ડિયા હાઉસની સ્થાપના કરી, તે વર્ષ 1907નું.
 ...અને ત્રીજું ઇન્ડિયા હાઉસ, માંડવી કચ્છના મસ્કા ગામ પાસે ક્રાંતિતીર્થ નામે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી છેક જીનીવા જઈને ડો. ફિલિપ્સ પાસે સંચવાયેલા શ્યામજીના અસ્થિકુંભ લઈ આવ્યા હતા, તેની સ્થાપના કરી. એ દિવસ 12 ડિસેમ્બર, 2010નો હતો.
શ્યામજી કૃષ્ણવર્માનું વસિયતનામું શ્યામજીના લંડન-પેરિસના પ્રિય સાથી બેરિસ્ટર સરદારસિંહ રાણાએ અને મોરિસ એસ. હેસ્સે 1936માં સ્થાપિત શ્યામજી કૃષ્ણવર્મા ફાઉન્ડેશનમાં સાચવ્યું હતું અને શ્યામજી તેમજ ભાનુમતી વર્માનાં અસ્થિ પણ. શ્યામજીએ તો કહ્યું હતું કે ભારત આઝાદ થાય તે દિવસે મારાં અસ્થિ પ્રિય વતન ભારતમાં લઈ જજો.
સ્વાધીન ભારતના 1947થી 2010 સુધીનો સમય વીતી ગયો અને આખરે આ મહાન ક્રાંતિકારનાં અસ્થિ સાથેનું ઈન્ડિયા હાઉસ નિર્માણ પામ્યું. 2003થી શરૂ થયેલી સ્મૃતિ-સ્તંભની આ કહાણી ક્રાંતિતીર્થ તરીકે સ્થાપિત થઈ છે. જેવું ઈન્ડિયા હાઉસ લંડનમાં છે, તેવું જ અહીં - ગુજરાતમાં પણ છે, લંડનમાં થેમ્સ નદી અને અહીં સમુદ્રની સાક્ષી.
 હવે તો જીએમડીસીનાં મેનેજિંગ ડિરેક્ટર રૂપવંતસિંહની સજ્જતા સાથે ક્રાંતિતીર્થમાં મ્યુઝિયમ, તસ્વીરો, પ્રતિમાઓ, કાફેટેરિયા, પુસ્તક વેચાણ કેન્દ્ર, લાઇટ એન્ડ સાઉન્ડ પ્રસ્તુતિ સહિતનું આકર્ષક કલેવર લોકોના આકર્ષણનું, ઈતિહાસને જાણવાનું કેન્દ્ર બની ગયું છે. સહેલાણીઓ આ પહેલાં માંડવીનો સમુદ્ર કિનારો માણવા આવતા હતા, હવે તેઓ આ ગુજરાતી ક્રાંતિ-સપુતનાં ઈન્ડિયા હાઉસને જાણવા, વંદન કરવા આવે છે. દસેક લાખ લોકો અહીં આવી ચૂક્યા છે.
તેની સાથે જ એક મહત્ત્વનું પ્રકાશન થયું તે ‘લંડન મેં ઇંડિયન સોશિઓલોજિસ્ટ’ ગ્રંથનું. ભારે મહેનત પછી, 1905થી 1923 સુધીના આ સામયિકના અંકો મળ્યા, મૂળ અંગ્રેજીમાં છે, લંડન, પેરિસ અને જીનીવા એમ ત્રણ સ્થળાંતર સાથે તેનું પ્રકાશન અને તંત્રીકાર્ય પંડિત શ્યામજીએ કર્યું હતું. જે અંકો મળ્યા તે તદ્દન જીર્ણશીર્ણ દશામાં હતા, સામગ્રી વાંચી ના શકાય તેવી ઝાંખી પડી ગઈ હતી. જીએમડીસીના સંકલ્પિત મેનેજર સ્વાગત રાયે તેની મથામણ કરીને ફરી મુદ્રિત કરાવ્યું એટલે બે ગ્રંથો થયા, તે દુનિયાભરમાં સર્વપ્રથમ છે. મારા માટે પણ ઇતિહાસ લેખન-સંપાદન-સંશોધનનો સદૈવ યાદગાર પ્રસંગ બની ગયો. મારાં માટે આ ઈન્ડિયા હાઉસનું સ્થાપિત અને પછી તેનું નવનિર્માણ ઇતિહાસના અનુભવની સફર બની રહી. દિલ્હીના હરબીર સિંઘ અને તેની ટીમને મ્યુઝિયમ અને બીજું કામ સોંપવામાં આવ્યું હતું. અમારી માંડવીની સફર, તથ્યોનું સંપાદન, ટેકનિકલ નિર્માણ વગેરે કાર્યો તેમની સાથે થયા. દેશની ખ્યાત નિર્માણ સંસ્થા છે Pan Intellecom Ltd. આ કંપનીએ દિલ્હીની સંસદ સહિત દેશના જુદા જુદા ભાગોમાં મ્યુઝિયમ બનાવ્યા છે. હરબીર સિંઘની પુત્રી સહજ પાનેસરની મહેનત અને ઉત્સુકતા બંનેએ આ કાર્યને વધુ સહજ બનાવ્યું! અને આખો પરિવાર મિત્ર બની ગયો.
શ્યામજીની જીવન-કથા પોતે જ એક સમર્પિત સ્વાતંત્ર્ય વિચારક અને પ્રેરકની રહી હતી. ઇંગ્લેન્ડમાં ઉચ્ચ અભ્યાસ પછી ભારત આવ્યા અને જૂનાગઢ સહિત કેટલાંક રજવાડામાં દીવાન અને સલાહકાર રહ્યા ત્યારે જ બ્રિટિશ સરકારનાં સત્તાવાદનો અંદાજ આવી ગયો હતો. લોકમાન્ય તિલક અને હરવિલાસ શારદાની સાથે વિચારવિનિમય થતો હતો. અંતે તેમણે તિલકજીની સલાહ પર ઈંગ્લેન્ડ જવાનું, કાયમ રહેવાનું નક્કી કર્યું. પોતાનું મકાન મશવેલ હિલ પર લીધું, ઈન્ડિયા હાઉસની સ્થાપના કરી. હરબર્ટ સ્પેન્સર જેવા પ્રખર સ્વાતંત્ર્યવાદી ચિંતકની મૈત્રી થઈ. લાલા લાજપતરાય સહિત અનેક સેનાનીઓ સાથે સંપર્ક રહ્યો. આઈરિશ સ્વાતંત્ર્યવીરોની દોસ્તી થઈ. ઈન્ડિયા હાઉસમાં તો ક્રાંતિકારમંડળ ઊભું થયું.
વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય, લાલા હરદયાલ, વિનાયકરાવ સાવરકર, વાંચી અય્યર, મદનલાલ ધિંગરા, મેડમ ભિખાઈજી કામા, ગાય-દ-અલ્ડેડ, મેક્સિમ ગોર્કી, બેરિસ્ટર સરદારસિંહ રાણા, દાદાભાઈ નવરોજી, જ્યોર્જ ફ્રીમેન, મુસ્તફા કમાલ પાશા, મહારાજા ગાયકવાડ, ડો. આનંદ કુમારસ્વામી વગેરેની એક યાદી આ ક્રાંતિ-પ્રવૃત્તિ સાથે જોડાયેલી રહી.
જર્મન નેતા ઓગસ્ટ્સ બેબેલ, ફ્રેંચ સમાજવાદી નેતા મોન્શ્યોર જોરિસ, રોઝા લક્ઝ્મબર્ગ, ગેલિક અમેરિકનનો તંત્રી જ્યોર્જ ફ્રીમેન, કાર્લ માર્કસનો પૌત્ર જ્યોં લોગ, જસ્ટિસ અખબારનો હેરી ક્લિનેક, આ બધા તો તે સમયનાં તેજસ્વી નક્ષત્રો હતા.
બેરિસ્ટર જેઠાલાલ પરીખ (કઠલાલ), પ્રાણજીવન મહેતા, દાદાભાઈની પૌત્રી કેપ્ટન પેરીન અને ગોશી, નીતિસેન દ્વારિકાદાસ, નટવરલાલ આચાર્ય (પાટણ), મંચેરશા ગોદરેજ આ ગુજરાતીઓનો પણ ઈન્ડિયા હાઉસની જ્વલંત કથામાં મોટો ફાળો હતો.
....અને દિલ્હીમાં ઈન્ડિયા હાઉસ? હા, એક દિવસે દિલ્હીથી ફોન આવ્યો કે હું કુમાર શુભમ્ બોલું છું. કચ્છ યુનિવર્સિટીના કુલપતિ મોહનભાઇએ તમને મળવાનું કહ્યું છે. મે મહિનાના પ્રારંભે મારાં નિવાસે ચાર યુવા મિત્રો આવ્યા, આઈટીનાં વિદ્યાર્થીઓ. શુભમ દિલ્હીમાં એક સંસ્થા ચલાવે છે. નામ આઈ.આઈ.આઈ. ઈન્ડિયા હાઉસ. ઈંડિવિડ્યુયલ, આઇડિયાઝ, ઈન્સ્ટિટ્યુશન... આ ત્રણ ‘આઈ’ની પ્રવૃત્તિને ઈન્ડિયા હાઉસ નામ સાથે જોડીને સંસ્થા બનાવી છે. સપના મોટા છે. સંશોધન, પ્રેરણા, યુવા મુખ્યત્વે આઈટીનાં યુવક-યુવતીઓની કાર્યશાળા, તાલીમ, વિકાસની વિભાવના, સમાજ નિર્માણ, નીતિ નિર્ધારણ જેવા કામ હાથ પર લીધા છે. કેટલાંક તો સફળતા સુધી પહોંચ્યા. 50 જેટલી સંચાલન-માર્ગદર્શન ટીમ છે. કચ્છીમાડુએ
રાજી થવા જેવું છે કે લંડનથી ઈન્ડિયા હાઉસ માંડવી પછી દિલ્હી પહોંચ્યું છે!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter