પરમાત્માના ચરણોમાં ડો. શરદ ઠાકરના પ્રણામ...
ઈશ્વર એ અનુભૂતિનો વિષય છે. ક્યારેક એની કૃપા વરસે છે તેના ઉપરથી સાબિતી મળે છે કે ઈશ્વર છે. તાજેતરમાં એક સુંદર ઘટના બની ગઈ.
શ્રી સત્યસાંઈ હાર્ટ હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મનોજ ભીમાણીના ગાઢ મિત્ર શૈલેષભાઈ દેસાઈનો જન્મદિવસ હતો. તેમના મનમાં એક શુભ વિચાર આવ્યો કે જન્મદિવસની ઉજવણી શ્રી સત્યસાંઈ હાર્ટ હોસ્પિટલના પરિસરમાં કરવી. સમગ્ર આયોજન ગોઠવાઈ ગયું.
અલગ અલગ ક્ષેત્રના શિર્ષસ્થ મહાનુભાવો લગભગ દોઢસો જેટલી સંખ્યામાં પધાર્યા. માજી મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલના પુત્રી અને જમાઈ, ‘સંદેશ’ અખબારના માલિક શ્રી ફાલ્ગુનભાઈ પટેલના બહેન રીટાબહેન, ‘ગાય’ છાપ બેસનના માલિક શ્રી નીતિનભાઈ પટેલ, સમભાવ ગ્રૂપના શ્રી કિરણભાઈ વડોદરિયા, જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડો. મિલન ચગ, સુપ્રાટેક લેબોરેટરી વાળા ડો. સંદીપ શાહ, શ્રી કંચન ઝવેરી (સુપર સિટી) તેમજ જાણીતા બિઝનેસમેન શ્રી ઉદય પટેલ ઉપસ્થિત હતા.
ઉદયભાઈ પટેલના મનમાં એક વિચાર આવ્યો કે મારા ગાઢ મિત્રના જન્મદિવસે હું એમને શું આપું તો મારા મિત્ર રાજી થાય? એમણે પોતાનો નિર્ણય જાહેર કર્યો કે હું આ હોસ્પિટલ માટે કોઈ ચોક્કસ રકમ ડોનેટ કરવા માંગુ છું. કેટલી રકમ આપવી તે નક્કી કરવા માટે તેમણે કહ્યું, ‘હું 6 લાખ રૂપિયાથી લઈને 60 લાખ રૂપિયા સુધીની કોઇપણ રકમ આપીશ. મારે કેટલા રૂપિયા આપવા તે હું નક્કી કરી શકતો નથી એટલા માટે આપણે અલગ અલગ આંકડો લખેલી છ જેટલી ચિઠ્ઠી બનાવીએ, એમાંથી બર્થડેબોય શૈલેષભાઈ કોઈ પણ એક ચિઠ્ઠી ઉપાડે. તેમાં જે રકમ લખેલી હશે તેટલા રૂપિયા હું આપીશ.’
છ અલગ અલગ ચિઠ્ઠીઓ બનાવવામાં આવી. 6 લાખ, 12 લાખ, 24 લાખ, 26 લાખ, 48 લાખ અને 60 લાખ... આવા આંકડાઓ લખવામાં આવ્યા. ખુબ જ ઉમદા કાર્ય હતું. બધાના મનમાં એવી આશા ધબકતી હતી કે 60 લાખ રૂપિયાની જ ચિઠ્ઠી ખૂલે; બધાના મનમાં એ વાતનો ડર પણ હતો કે કદાચ છ લાખ વાળી ચિઠ્ઠી ખુલશે તો શું થશે? 150 મહાનુભાવોની વચ્ચે મનોજભાઈ ભીમાણી પૂરેપૂરા આશ્વસ્ત હતા. એમણે કહ્યું કે મને ઈશ્વર ઉપર શ્રદ્ધા છે કે સૌથી મોટી રકમની ચિઠ્ઠી જ ખુલશે. બે-ત્રણ મિત્રોએ કહ્યું કે આટલો બધો આત્મવિશ્વાસ તો ત્યારે જ હોઈ શકે જ્યારે છએ છ ચિઠ્ઠીમાં 60 લાખનો આંકડો જ લખવામાં આવ્યો હોય. બધાને ચિઠ્ઠીઓ બતાવી દેવામાં આવી; બધામાં અલગ અલગ આંકડો લખેલો હતો.
ઉદયભાઈએ ચિઠ્ઠીઓ બરાબર મિક્સ કરી અને ઉછાળી. જેમનો જન્મદિવસ હતો તે શૈલેષભાઈએ 6 માંથી એક ચિઠ્ઠી ઉપાડી અને ખોલી. અંદર 60 લાખ રૂપિયાનો આંકડો લખેલો નીકળ્યો. દોઢસો જણા ખુશીથી ઝૂમી ઉઠ્યા.
સાવ ગરીબ બાળકોની જન્મજાત હૃદયની ખામી માટે નિઃશુલ્ક ઓપરેશનો કરી આપવા માટે જ્યારે કોઈ દાતા દાન આપવાનું પસંદ કરે ત્યારે ઈશ્વર કેટલો સુંદર નિર્ણય કરે છે તેની સાબિતી નજર સામે આવી ગઈ.
કોણ કહેશે કે જ્યારે આ સમગ્ર પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે અદ્રશ્ય રૂપે ભગવાન ત્યાં હાજર ન હતા? ૐ નમઃ શિવાય...