એર ઈન્ડિયાના વિક્ટિમ્સને બ્રિટિશ સરકારનો સપોર્ટ ન મળ્યો

કપિલ દૂદકીઆ Tuesday 17th June 2025 15:27 EDT
 
 

અમદાવાદ એરપોર્ટ પરથી ટેઈક ઓફ કરતી વેળાએ જ એર ઈન્ડિયાની ફ્લાઈટ તૂટી પડ્યાની કરૂણાંતિકાએ આપણા બધાની હવા કાઢી નાખી છે. ગુમાવાયેલી પ્રત્યેક જિંદગી પરિવાર, મિત્રો, કોમ્યુનિટી અને ચોક્કસપણે રાષ્ટ્રના આઘાત અને વ્યથાનું પ્રતિનિધત્વ કરે છે. આપણી આંખ સમક્ષ કરૂણાંતિકાને નિહાળવા આપણે બધા જ બેસી રહ્યા હતા. વિમાન તૂટી પડવાની દુર્ઘટનાની વ્યાપકતા અને તેની અસરોને સમજવાનું ભારે મુશ્કેલ હતું. માત્ર એક નસીબવંતા વ્યક્તિ સિવાય તમામ પ્રવાસીએ જિંદગી ગુમાવી એટલું જ નહિ, પોતાનું રોજબરોજનું જીવન જીવતા ભારતીયો પણ આ કરૂણાંતિકામાં લપેટાઈ ગયા અને તેમણે પણ તેમની જિંદગીઓ ગુમાવી છે.

દરેક બ્રિટિશરની કરૂણાંતિકાના સમાચાર બહાર આવતા જાય છે તેમ તેમનું અનોખું જીવન આપણને બધાને જાણવા મળે છે. આપણે લોકોની સારી બાજુ પણ જોઈ છે જેમણે અલગ અલગ પરિવારો માટે નાણા એકત્ર કરવા ‘ગો ફંડ મી’ પેજ ઉભું કર્યું છે. છ આંકડાની રકમ તો એકત્ર થઈ ગઈ છે અને લોકોની માનવીય ભાવના અને ઉદારતાથી વિસ્મિત થઈ જવાય છે. જોકે, આ માનવ કરૂણાંતિકા મધ્યે આપણે કેટલીક નકારાત્મકતાનો પણ સામનો કરવો પડ્યો છે. એક નકારાત્મક બાબતે મને વ્યાકુળ બનાવ્યો છે તે પોતાના પ્રિયજનોને ગુમાવનાર બ્રિટિશ પરિવારોને બ્રિટિશ સરકાર દ્વારા અપાયેલા સપોર્ટનું સ્તર છે.

કેટલાક પરિવારો દ્વારા કરાયેલી ટીપ્પણીઓ આ મુજબની છેઃ

• ‘અહીં યુકેની કોઈ નેતાગીરી ન હતી, હોસ્પિટલમાં પણ મેડિકલ ટીમ ન હતી, કોઈ ક્રાઈસિસ પ્રોફેશનલ્સ પણ હાજર ન હતા’

• ‘અમારા સ્નેહીજનો કોઈ ઓળખ કરાયા વિના કામના ભારે દબાણ અને ઓછાં સ્રોતો સાથેની હોસ્પિટલમાં હતા ત્યારે અમને 20 મિનિટ દૂર હોટેલમાં રહેલા કોન્સ્યુલર સ્ટાફને મળવા એપોઈન્ટમેન્ટ લેવાની ફરજ પડાઈ હતી’

• ‘અમે ચમત્કારોની માગણી કરતા નથી- અમે તો હાજરી, અનુકંપા અને કાર્યવાહીની માગણી કરીએ છીએ’

• ‘અત્યારે તો અમને રઝળતા મૂકી દેવાયાની લાગણી થાય છે’

• ‘અમારા સ્નેહીજનો બ્રિટિશ નાગરિક હતા. તેમને જીવનમાં બહેતરની અપેક્ષા હતી. તેમને મૃત્યુમાં તો ચોક્કસપણે બહેતરની અપેક્ષા હોય’

• ‘અમે ખરેખર માનીએ છીએ કે અમને કોઈ સપોર્ટ ન હોવાની જાણ લોકોને થવી જોઈએ- અને તેઓ બ્રિટિશ નાગરિક હતા. આમ છતાં, સરકારમાંથી કોઈએ અમારો સંપર્ક કર્યો નથી, એ પૂછવા કે, ‘અમે કશી મદદ કરી શકીએ? ’

આ તો થોડી જ ટીપ્પણીઓ છે. મને આશ્ચર્ય થઈ રહ્યું છે કે ધારો કે આવો અકસ્માત યુએસએ અથવા યુરોપમાં થયો હોત તો બ્રિટિશ સરકારે વિક્ટિમ્સ અને તેમના પરિવારો સાથે આ પ્રકારનો વ્યવહાર કર્યો હોત?

હું આશા જ રાખું કે આ કોમેન્ટ્સ કદાચ એ લોકો તરફથી હશે જેઓ નેટમાંથી બહાર નીકળી ગયા હોય અને તમામ પરિવારોનો આવો અનુભવ નહિ હોય. બ્રિટિશ સરકારની એ જવાબદારી છે કે તેણે તત્કાળ સ્થાનિક, સુલભ અને બધાને આવરી લેતા સપોર્ટની વ્યવસ્થા કરે. આપણી સમક્ષ એવા 53 બ્રિટિશ પરિવારો છે જેમણે સ્નેહીજનને ગુમાવ્યા હોય અને કેટલાક કિસ્સામાં તો એક કરતાં વધુ પ્રિયજન ગુમાવ્યા હોય. ચોક્કસપણે આ સરકાર આ પરિવારોના જીવનમાં સૌથી મુશ્કેલ સમયમાં ઓછામાં ઓછું તેમની પડખે ઉભા રહેવાનું તો કરી જ શકે.

ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (FCDO)ની મહિલા પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘અમારો સ્ટાફ આ દુર્ઘટનાથી અસરગ્રસ્તોના પરિવારો અને સ્નેહીજનોને સપોર્ટ કરવા યુકે અને ભારતમાં ઘડિયાળના કાંટે સતત કાર્યરત રહ્યા છે. અમે અમદાવાદ એરપોર્ટ નજીક ઉમ્મેદ હોટેલ ખાતે રિસેપ્શન સેન્ટર ઉભું કર્યું છે અને બ્રિટિશ નાગરિકોના પરિવારો અને મિત્રો માટે સપોર્ટ અને સલાહ પૂરી પાડવા સમર્પિત હેલ્પલાઈન પણ સ્થાપી છે. પરિવારો અથવા મિત્રોએ પર કોલ કરવો જોઈશે. જો તમે ભારતમાં હો તો તમારે સપોર્ટ માટે +91 (11) 24192100ને કોલ કરવો જોઈશે. બ્રિટિશ નાગરિકોના પરિવારોને સપોર્ટ કરવા કોન્સ્યુલર સ્ટાફ હાજર હશે અને તેમની સાથે હોસ્પિટલમાં જવાનો સપોર્ટ પણ આપશે.’

કેટલાક પરિવારોના અનુભવોને ધ્યાનમાં લેતાં એવું જણાય છે કે FCDOએ આશા રાખી હોય તે મુજબના સંકલનનું સ્તર વાસ્તવિક વ્યવહારમાં જોવાં મળ્યું નથી. આ એવો સમય છે જ્યારે આપણે બધા એક જ સ્તરે હોવાની જરૂર છે. હું આશા રાખું કે જરૂરિયાતમંદોનું આક્રંદ FCDOએ સાંભળ્યું હશે અને તેઓ સ્થાનિક સ્તરે કોઈ પણ નિષ્ફળતા અથવા ઉણપનું તત્કાળ નિરાકરણ લાવી શક્યા હોય.

હું વિમાન તૂટી પડવાના કારણો સંદર્ભે અટકળોમાં પડવા માગતો નથી. મીડિયાના ઘણા લોકો તેમજ કેટલાક રાજકારણીઓએ આ કરૂણાંતિકા બાબતે તેમના તથાકથિત ‘નિષ્ણાત’ અભિપ્રાયો વ્યક્ત કર્યા છે. જેમ બને તેમ વેળાસર કારણો જાણવા મહત્ત્વના છે કારણકે કોઈ ટેકનિકલ સમસ્યા હોઈ શકે તો બાકીના કાફલાના વિમાનો સારી હાલતમાં છે તેની ચોકસાઈ કરી શકાય. જોકે, સોશિયલ મીડિયા પર ક્લિ્ક્સ મેળવવા અથવા તમારી પાસે ચોક્કસ ગુપ્ત માહિતી હોવાનો ખોટો પ્રભાવ પાથરવા અટકળો કરવાની બાબત મારા મતે જરા પણ સ્વીકાર્ય નથી. આ સમય આપણાથી શક્ય હોય તેમ કોઈ પણ રીતે પરિવારોને સપોર્ટ કરવાનો છે. ઘણી વખત આવી અટકળો નહિ કરવા અને વાતને વણસવા નહિ દેવાથી પણ સપોર્ટ આપી શકાય છે. મારો બિનનિષ્ણાત અભિપ્રાય રજૂ કરવાનું વાજબી લેખાય કે કેમ તેમ વિચારતા પહેલાં સત્તાવાર રિપોર્ટ બહાર આવે તેની રાહ જોનારાઓમાં હું એક છું.

આજના સમયે આપણે ચિરવિદાય લેનારા દિવંગતો, તેમના સ્નેહીજનો અને સમગ્ર કોમ્યુનિટી માટે પ્રાર્થના કરીએ.

ઓમ શાંતિ, શાંતિ, શાંતિ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter