ઓપરેશન સિંદૂરની વાસ્તવિકતા અને સત્ય

કપિલ દૂદકીઆ Wednesday 14th May 2025 05:21 EDT
 
 

આતંકવાદી રાષ્ટ્ર પાકિસ્તાને 22 એપ્રિલે કાશ્મીરમાં નિર્દોષ ભારતીયો પર હુમલો કરાવ્યો જેનું એકમાત્ર લક્ષ્ય નિર્દોષ હિન્દુઓની હત્યાનું જ હતું. આ ઈસ્લામિક કટ્ટરવાદીઓએ વિશ્વ સમક્ષ પ્રતિપાદિત કર્યું છે કે તેમનું જંગલી કૃત્ય માત્ર તેમના ધર્મના આધારે જ હતું અને કોઈ પણ હિસાબે હિન્દુઓને શોધી તેમના સ્નેહીજનોની સામે જ તેમની હત્યા કરવા માટેનું હતું. મિત્રો, સરહદ પારના પાકિસ્તાની ટેરરિઝમનો આ સાચો અને વરવો ચહેરો છે.

સ્વાભાવિક રીતે જ ભારતમાં રોષ ફેલાઈ ગયો અને ભારતે સ્પષ્ટ કરી દીધું કે તેની પાસે આત્મરક્ષા તેમજ જેઓની હત્યા કરાઈ છે તેમના માટે ન્યાયનો અધિકાર તે અબાધિત રાખે છે. ભારતે ‘ઓપરેશન સિંદૂર’ અમલમાં મૂકતા પહેલા લાંબી રાહ જોઈ હતી. ઓપરેશન સિંદૂરની સાચી સફળતા ઘણા લોકોના ધ્યાનમાં આવી નહિ હોય કારણકે તેની મોટા ભાગની સફળતા જોઈ શકાતી નથી અને તે અદૃશ્ય રહે તેવી જ યોજના ઘડાઈ હતી. આમ છતાં, આ પ્રકારનાં લશ્કરી ઓપરેશન્સની સફળતા એવી હોય છે જેની નોંધ આપણે તત્કાળ લઈ શકીએ છીએ. 9 આતંકી છાવણીઓનો નાશ કરાયો- એવી છાવણીઓ જેના અસ્તિત્વને પાકિસ્તાન નકારતું આવ્યું છે! પાકિસ્તાનની અંદર ઘૂસીને ઊંડે હુમલા કરવામાં આવ્યા. ભારતે પાકિસ્તાનમાં 165 કિલોમીટર ઊંડે આવેલા લક્ષ્યોને તહસનહસ કરી નાખ્યાં.

આતંકવાદ વિરુદ્ધ નવી આદર્શ નીતિઃ ભારતે એક બાબત સ્પષ્ટ કરી છે કે સરહદ પારના આતંકવાદની કોઈ પણ ઘટનાને સ્વયં યુદ્ધના કૃત્ય તરીકે ગણવામાં આવશે. આના પરિણામે પાકિસ્તાનનો સમગ્ર વિસ્તાર ભય હેઠળ રહેશે કારણકે ભારતે હવે સમગ્ર પાકિસ્તાન પર હુમલાનો અધિકાર આરક્ષિત રાખ્યો છે. ભારતે પાકિસ્તાની હવાઈરક્ષણની નબળાઈનો પર્દાફાશ કરી નાખ્યો છે. પાકિસ્તાને અત્યાર સુધી જેઓ તેમની બડાશોને સાંભળતા રહ્યા તેમની સમક્ષ પોતાની હવાઈ શ્રેષ્ઠતાનું જૂઠાણું ચલાવે રાખ્યું હતું. જોકે, ભારતે દર્શાવ્યું છે કે તે પોતાની ઈચ્છાનુસાર પાકિસ્તાનની અંદર ઘૂસી શકે છે, લક્ષ્યાંકોને તોડી શકે છે અને પાકિસ્તાન તેમાં કશું જ કરી શકતું નથી. પાકિસ્તાનના મિલિટરી એસ્ટાબ્લિશમેન્ટને ભારે નુકસાન કરાયું છે જેમાં નૂર ખાન, રફિકી, મુરિદ, સક્કર, સિઆલકોટ, પશરૂર, ચુનિઆન , સરગોધા, સકારુ, ભોલારી અને જેકોબાબાદ સહિત 11 થાણાં પણ જોરદાર હુમલાઓ કરાયા છે.

સિંધુ જળસંધિને સુષુપ્તાવસ્થામાં મૂકીને ભારતે હવે તેના પોતાના જળરાશિને પોતાને યોગ્ય લાગે તેમ ઉપયોગ કરવાનો અંકુશ મેળવી લીધો છે. ભારતે દાયકાઓ સુધી પાકિસ્તાન પ્રત્યે જે ઉદારતા દાખવી હતી તેનો કલમના એક ઈશારે જ અંત આવી ગયો છે અને પાકિસ્તાન ઘૂંટણિયે પડી ગયું છે. આ પછી, પાકિસ્તાને સિમલા કરારને રદ કરીને મહા ભયંકર ભૂલ કરી નાખી છે. તે ભૂલી ગયું કે આ કરારનો એક માત્ર ઉદ્દેશ પાકિસ્તાનનું અને તેણે ગેરકાયદે આક્રમણથી હાંસલ કરેલા ભારતીય પ્રદેશોનું રક્ષણ કરવાનો હતો. હવે આ કરાર અમલમાં ન રહેવાથી પાકિસ્તાને વાસ્તવમાં લાઈન ઓફ કન્ટ્રોલ પાર કરવાનો ભારતને સંપૂર્ણ અધિકાર ભેટ ધરી દીધો છે.

ઓપરેશન સિંદૂરને એટલી સફળતા મળી છે કે પાકિસ્તાને એક દેશ તરીકે અસ્તિત્વ જાળવવા ભીખનો કટોરો લઈ લોન મેળવવા IMF પાસે દોડી જવાની ફરજ પડી છે. સંઘર્ષવિરામના 24 કલાક અગાઉ ભારતે પાકિસ્તાનને એટલું જોરદાર રીતે ઠમઠોર્યું હતું કે તેણે હસ્તક્ષેપ કરવાની આજીજી સાથે અમેરિકા સમક્ષ દોડવું પડ્યું. ભારતે પાકિસ્તાનની ન્યુક્લીઅર ક્ષમતાના કેન્દ્ર પર જ નિશાન સાધવામાં સફળતા હાંસલ કરી હતી. આનાથી અમેરિકા રાતોરાત સફાળું જાગ્યું કે પાકિસ્તાનનો તેમનો પ્રિય પ્રોજેક્ટ ભારત દ્વારા ફરી એક વખત માર ખાવાના નિશાના પર હતો.

ઓપરેશન સિંદૂરની સાચી સફળતા આગામી સપ્તાહો અને મહિનાઓમાં જોવાં મળશે. હું ફરી એક વખત ચાવીરૂપ નિરીક્ષણો તમારી સમક્ષ રજૂ કરવા ઉત્સુક છું પરંતુ, મને જણાવાયું છે કે ઓપરેશનલ કારણોસર હાલ પૂરતું મારે આમ કરવું ન જોઈએ. આમ છતાં, હું કેટલાક વિચારો રજૂ કરીશ અને કદાચ ચતુર લોકો ઓપરેશન સિંદૂરની સંપૂર્ણ અને સાચી સફળતાના સંકેતો પારખી શકશે.

ભારતે વિશ્વને સંદેશો પાઠવ્યો છે કે તેણે શું કરવું, ક્યારે તે કરવું અને કેવી રીતે તે કરવું તેનો નિર્ણય ભારત ખુદ કરશે. દેશ પર હુમલો કરાયો છે તેનો નિર્ણય ભારત કરશે, અને ભારત જ નિર્ણય લેશે કે તેની સામે કરાયેલા કોઈ પણ અત્યાચારનો બદલો કોણે ચૂકવવો પડશે. ભારતને યુએન, યુએસએ. ઈયુ અથવા અન્ય કોઈ પણ દેશ પાસેથી કોઈ પ્રકારની સહમતિની જરૂર નથી. વિશ્વતખતા પર અધિકારપૂર્ણ ભૂમિકા ભજવવામાં ભારતનું આ મહત્ત્વપૂર્ણ કદમ છે. ભારતે માત્ર પાકિસ્તાનને જ નહિ પરંતુ, સમગ્ર વિશ્વને દેખાડી દીધું છે કે તેના સ્વદેશી મિસાઈલ્સ અન્ય કોઈ દેશના ઉચ્ચ શક્તિશાળી મિસાઈલ્સ કરતાં બહેતર નહિ હોય તો પણ ઘણાં સારા અને શક્તિશાળી છે. આ સંદેશો ચીન માટે પણ છે! આનાથી, બલોચ અને સિંધના સ્વાતંત્ર્યવીરોને ભારે પ્રોત્સાહન સાંપડ્યું છે. તેઓ હવે માને છે કે તેમની આઝાદી ઘણી દૂર રહી નથી. હવે સવાલ માત્ર તેઓ પાકિસ્તાનના કબજામાંથી ક્યારે મુક્ત થશે તેના સમયનો જ રહ્યો છે.

મારા મતે સંઘર્ષવિરામ સાદો ક્ષણિક વિરામ છે ભારત પ્રેસિડેન્ટ ટ્રમ્પના પાકિસ્તાન પરના ભરોસાને તૂટવાની છૂટ આપી રહ્યું છે. આપણે બધા જ પાકિસ્તાન અને તેના સરમુખત્યારશાહો, તેના જૂઠાણાં અને વચનો તોડવાની તેની પ્રકૃતિને જાણીએ છીએ. પાકિસ્તાન ટ્રમ્પને આપેલું વચન તોડે તેમાં કોઈ વિલંબ થવાનો નથી. આ સમયે પાકિસ્તાન જેવા આતંકી દેશ પર ભરોસો રાખનારો ચહેરો ક્યાં સંતાડવો તેની યુએસને ખબર પણ નહિ રહે. આપણે એ પણ જાણીએ છીએ કે ટ્રમ્પ તેને મૂર્ખ દેખાડાય ત્યારે શું કરી શકે છે. ભારતે ટ્રમ્પને એ સ્થાને લાવી મૂક્યા છે. આ દોરી ટૂંકી છે જે પાગલ પાકિસ્તાનના હાથમાં છે. આપણે તો બસ બેસીને શોની મજા માણવાની છે.

પાકિસ્તાનની ન્યુક્લીઅર ફેસિલિટીઝને નિશાન બનાવી ભારતે સ્પષ્ટ સંદેશો પાઠવ્યો છે કે અણુશસ્ત્રોની ખોખલી ધમકીઓથી તે ડરી જશે નહિ. વાસ્તવમાં, અણુશસ્ત્રોની ધમકી ભારત કરતાં તો અમેરિકનોને વધુ ડરાવે છે! સમગ્ર વિશ્વે વડા પ્રધાન મોદીના ,‘આતંકવાદ અને વાતચીત એક સાથે થઈ શકે નહિ. ત્રાસવાદ અને વેપાર પણ એક સાથે થઈ શકે નહિ. પાણી અને લોહી એક સાથે વહી શકે નહિ.’ નિવેદનનો ગર્ભિત અર્થ સમજી લેવાની જરૂર છે.

સાચું ઓપરેશન સિંદૂર તો હજું શરૂ થવાનું બાકી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter