જ્ઞાનવાપી મસ્જિદઃ કાશીમાં મંદિર તોડીને મસ્જિદ બનાવાઈ હતી?

Wednesday 14th April 2021 06:13 EDT
 
 

વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાંથી મંદિરના અવશેષ શોધવા માટે સિવિલ કોર્ટે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇંડિયા (એએસઆઇ)ને આદેશ આપ્યા પછી મંદિર-મસ્જિદ વિવાદ ફરી ચર્ચામાં છે. કોર્ટના આ આદેશ સાથે હવે આ વિવાદને કાનૂની માન્યતા મળી ગઈ છે. જોકે, સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડ અને જ્ઞાનવાપી મસ્જિદનું મેનેજમેન્ટ આ આદેશને હાઈ કોર્ટમાં પડકારવાના છે.

વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર અને તેની બરાબર નજીકમાં ઉભેલી જ્ઞાનવાપી મસ્જિદના નિર્માણ તથા પુનર્નિમાણ અંગે જાતજાતની ધારણાઓ છે. આ ઉપરાંત તે અંગેના ઐતિહાસિક તથ્યો પણ આ બાબતમાં બહુ સ્પષ્ટ માહિતી આપતાં નથી. સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે આ જગ્યા પર પહેલાંથી એક મંદિર હતું જેને ઔરંગઝેબે તોડાવી નાખ્યું હતું અને તેના પર મસ્જિદ બંધાવી હતી. પરંતુ દસ્તાવેજોના આધારે આ હકીકત અંગે સ્પષ્ટ નિવેદન આપવું સરળ નથી. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે જ્ઞાનવાપી મસ્જિદને ૧૪મી સદીમાં જૌનપુરના શર્કી સુલતાનોએ બંધાવી હતી. તેના માટે તેમણે વિશ્વનાથ મંદિરને તોડાવ્યું હતું. જોકે, શર્કી સુલતાનોએ મસ્જિદ બંધાવી હોવાના કોઈ પુરાવા નથી મળતા. આ જ રીતે મંદિર તોડવામાં આવ્યું હતું તે વાતના પુરાવા પણ નથી.
નિર્માણના સમયગાળા અંગે મતભેદ
કાશી વિશ્વનાથ મંદિરને બાંધવાનો શ્રેય અકબરના નવરત્નો પૈકી એક રાજા ટોડરમલને અપાય છે. રાજા ટોડરમલે ૧૫૮૫માં અકબરના આદેશના પગલે દક્ષિણ ભારતના વિદ્વાન નારાયણ ભટ્ટની મદદથી મંદિર બંધાવ્યું હતું. વારાણસીસ્થિત કાશી વિદ્યાપીઠમાં ઇતિહાસ વિભાગના પ્રોફેસર રાજીવ દ્વિવેદી કહે છે: ‘શર્કી સુલતાનોએ બનારસમાં આવીને કોઈ નિર્માણકાર્ય કરાવ્યું હતું કે કોઈ બાંધકામ ધ્વસ્ત કર્યું હતું તે સમજવું મુશ્કેલ છે કારણ કે બનારસ પોતે એક રાજ્ય હતું. વળી, તે જૌનપુરના શર્કી શાસકોને આધીન ન હતું. શર્કી શાસકો એટલા મજબૂત પણ ન હતા કે બનારસમાં તેઓ પોતાની મનમાની કરી શકે.’ તેઓ વિશ્વનાથ મંદિરના નિર્માણ અંગેની થિયરીને માન્યતા આપતાં કહે છે, ‘વિશ્વનાથ મંદિરનું નિર્માણ રાજા ટોડરમલે કરાવ્યું હતું તે વાતના ઐતિહાસિક પુરાવા છે અને ટોડરમલે આ પ્રમાણે બીજાં કેટલાંક નિર્માણ પણ કરાવ્યાં હતાં. બીજી એક વાત, આ બાંધકામ તેમણે અકબરના આદેશથી કરાવ્યું હતું તે વાત પણ ઐતિહાસિક રીતે આધારભૂત નથી. અકબરના દરબારમાં રાજા ટોડરમલનો એટલો પ્રભાવ હતો કે તેમને આ કામ માટે અકબરના આદેશની જરૂર ન હતી.’ પ્રોફેસર રાજીવ દ્વિવેદી કહે છે કે વિશ્વનાથ મંદિરનું પૌરાણિક મહત્ત્વ રહ્યું છે, પરંતુ અત્યંત વિશાળ મંદિર અહીં પહેલેથી હતું તેની ખબર પડતી નથી. ટોડરમલે બંધાવેલું મંદિર બહુ વિશાળ ન હતું. બીજી તરફ ઐતિહાસિક રીતે પણ એક વાતને સ્વીકારાય છે કે જ્ઞાનવાપી મસ્જિદનું નિર્માણ મંદિર તુટ્યા પછી થયું હતું તથા મંદિર તોડવાનો આદેશ ઔરંગઝેબે આપ્યો હતો. પરંતુ જ્ઞાનવાપી મસ્જિદના મેનેજમૅન્ટ સાથે સંકળાયેલા લોકો આવું નથી માનતા.’
‘મંદિર-મસ્જિદ બંનેનું નિર્માણ અકબરે જ કરાવ્યું હતું’
જ્ઞાનવાપી મસ્જિદની સારસંભાળ રાખનારી સંસ્થા અંજુમન ઇંતજામિયા મસાજિદના સંયુક્ત સચિવ સૈયદ મોહમ્મદ યાસીન કહે છે કે સામાન્ય રીતે એવું જ માનવામાં આવે છે કે મસ્જિદ અને મંદિર બંનેનું નિર્માણ અકબરે ૧૫૮૫ની આસપાસ પોતાના નવા ધર્મ ‘દીન-એ-ઇલાહી’ હેઠળ કરાવ્યું હતું. પરંતુ તેના જે દસ્તાવેજી પૂરાવા મળ્યા તે બહુ સમય પછીના છે. સૈયદ મોહમ્મદ યાસીન કહે છે, ‘ઔરંગઝેબે મંદિરને તોડાવી નાખ્યું કારણ કે તેઓ 'દીન-એ-ઇલાહી'ને નકારતા હતા.’ તેઓ મંદિર તોડીને મસ્જિદ બનાવાઈ હોવાની વાતને નકારતાં કહે છે: ‘મંદિરને તોડીને મસ્જિદ બનાવાઈ હતી એવું નથી. તે મંદિરથી બિલકુલ અલગ છે. અહીં એક કૂવો છે અને તેની અંદર શિવલિંગ છે તેવી વાતો પણ સાવ ખોટી છે. વર્ષ ૨૦૧૦માં અમે કૂવાની સાફસફાઈ કરાવી હતી. તેમાંથી કંઈ નીકળ્યું ન હતું."
ઔરંગઝેબે ખરેખર મંદિર તોડવ્યું હતું?
કાશી વિશ્વનાથ મંદિર મામલે અરજદાર વિજય શંકર રસ્તોગીનો દાવો છે કે ઔરંગઝેબે પોતાના શાસન દરમિયાન કાશી વિશ્વનાથ મંદિરને તોડવાનો આદેશ આપ્યો હતો પરંતુ મસ્જિદ બનાવવાનો હુકમ આપ્યો નહોતો. રસ્તોગીના મતે બાદમાં મંદિરના અવશેષો પર જ મસ્જિદ બંધાઇ હતી. ઇતિહાસકાર પ્રોફેસર રાજીવ દ્વિવેદી કહે છે કે મંદિર તુટ્યા પછી અહીં મસ્જિદ બની હોય તો તેમાં કોઈ નવાઈની વાત નથી. કારણ કે તે યુગમાં આવું ઘણી વખત થતું હતું.
વારાણસીમાં વરિષ્ઠ પત્રકાર યોગેન્દ્ર શર્માએ જ્ઞાનવાપી મસ્જિદ અને વિશ્વનાથ મંદિર વિશે ઘણું સંશોધન કર્યું છે. તેઓ સ્પષ્ટ રીતે કહે છે, ‘અકબરના સમયમાં ટોડરમલે મંદિર બંધાવ્યું હતું. લગભગ ૧૦૦ વર્ષ પછી ઔરંગઝેબના સમયમાં મંદિર તોડી પાડવામાં આવ્યું. ત્યાર પછી લગભગ ૧૨૫ વર્ષ સુધી અહીં કોઈ વિશ્વનાથ મંદિર ન હતું.’ તેઓ આ મંદિરની પુરાણોમાં ઉલ્લેખિત વિશ્વનાથ મંદિર સાથે કોઈ સામ્યતા છે કે કેમ તે પ્રશ્ન અંગે સ્પષ્ટતાનો અભાવ હોવાનું જણાવે છે. તેઓ કહે છે કે, ‘૧૭૩૫માં ઇંદોરનાં મહારાણી દેવી અહલ્યાબાઈએ વર્તમાન મંદિરનું નિર્માણ કરાવ્યું. પુરાણોમાં જે વિશ્વનાથ મંદિરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેનો આ મંદિર સાથે કોઈ સંબંધ છે કે નહીં તેની કોઈ માહિતી નથી.’ શર્મા કહે છે કે, ‘હા, જ્ઞાનવાપી પાસે આવેલા આદિવિશ્વેશ્વર મંદિર વિશે ચોક્કસ કહેવામાં આવે છે કે આ એ જ મંદિર છે જેનું પુરાણોમાં વર્ણન છે. મંદિર તુટ્યા પછી જ મસ્જિદ બંધાઇ હતી. ઐતિહાસિક દસ્તાવેજો ભલે ગમે તે દર્શાવતા હોય, પરંતુ જ્ઞાનવાપી મસ્જિદ વર્તમાન સ્વરૂપમાં ૧૮૮૩-૮૪માં જોવા મળે છે જ્યારે મહેસૂલ ખાતાના દસ્તાવેજોમાં તેનું નામ જામા મસ્જિદ જ્ઞાનવાપી તરીકે નોંધાયું હતું.’ સૈયદ મોહમ્મદ યાસીન કહે છે, ‘મસ્જિદમાં તેના પહેલાંની એવી કોઈ ચીજ નથી જેના પરથી તે ક્યારે બની હતી તે કહી શકાય. મહેસૂલી દસ્તાવેજ જ સૌથી જૂના પુરાવા છે. તેના આધારે જ ૧૯૩૭માં કેસનો ચુકાદો આવ્યો હતો અને અદાલતે તેને મસ્જિદ તરીકે સ્વીકારી હતી. અદાલતે એ બાબત માન્ય રાખી કે નીચેથી ઉપર સુધી આ એક મસ્જિદ છે અને વકફ પ્રોપર્ટી છે. ત્યાર પછી હાઈ કોર્ટે પણ ચુકાદાને યોગ્ય ઠરાવ્યો હતો.’ સૈયદ યાસીન જણાવે છે કે, ‘મસ્જિદની પશ્ચિમ બાજુએ બે કબર છે જેના પર દર વર્ષે ઉર્સ યોજાય છે. તે મુજબ ૧૯૩૭માં કોર્ટના ચુકાદામાં પણ ઉર્સની મંજૂરી અપાઈ હતી.’ તેઓ કહે છે કે આ કબરો હજુ પણ જળવાયેલી છે, પરંતુ હવે ઉર્સ નથી યોજાતો. બંને કબર ક્યારની છે તેની માહિતી તેમની પાસે નથી.
૧૯૯૧ પહેલાંની અરજીઓ
ગયા અઠવાડિયે જ્ઞાનવાપી પરિસરના સર્વેક્ષણના આદેશ ૧૯૯૧માં દાખલ થયેલી અરજીના અનુસંધાને આપવામાં આવ્યા છે. તે જ વર્ષે સંસદે પૂજાસ્થળનો કાયદો પણ બનાવ્યો હતો. ૧૮ સપ્ટેમ્બર ૧૯૯૧માં બનેલા આ કાયદા મુજબ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭થી અગાઉ અસ્તિત્વમાં આવેલા કોઈ પણ ધર્મના પૂજાસ્થળને બીજા ધર્મના પૂજાસ્થળમાં રૂપાંતરિત કરી શકાશે નહીં. કોઈ વ્યક્તિ આવું કરવાનો પ્રયાસ કરે તો તેને એકથી ત્રણ વર્ષની જેલ અને દંડ થઈ શકે છે. અયોધ્યા સાથે સંકળાયેલો કેસ આઝાદી પહેલાંથી કોર્ટમાં પેન્ડિંગ હતો, તેથી અયોધ્યા મામલો આ કાયદામાંથી બાકાત હતો. સ્થાનિક લોકોએ જણાવ્યા પ્રમાણે મંદિર-મસ્જિદ અંગે ઘણી વખત વિવાદ થયા છે, પરંતુ આ વિવાદ આઝાદી પહેલાંના છે, ત્યાર પછીના નહીં.
મોટા ભાગના વિવાદ મસ્જિદ પરિસરની બહાર મંદિરના વિસ્તારમાં નમાજ પઢવાને લગતા હતા. તેમાં સૌથી મહત્ત્વનો વિવાદ ૧૮૦૯માં થયો હતો જેના કારણે કોમી તોફાનો પણ થયાં હતાં. વારાણસીના પત્રકાર અજય સિંહ જણાવે છે, ‘૧૯૯૧ના કાયદા પછી મસ્જિદની ચારેબાજુ લોખંડની જાળીની દીવાલ બનાવવામાં આવી હતી. જોકે, તેનાથી અગાઉ અહીં કોઈ પણ પ્રકારના કાનૂની અથવા સાંપ્રદાયિક વિવાદની કોઈ ઘટના બની ન હતી.’ મસ્જિદની વ્યવસ્થાપન સમિતિના સંયુક્ત સચિવ સૈયદ મોહમ્મદ યાસીન પણ આ વાતની પુષ્ટિ કરે છે. તેઓ કહે છે કે, ‘વર્ષ ૧૯૩૭માં લેવાયેલા નિર્ણય મુજબ મસ્જિદનો વિસ્તાર નક્કી કરાયો હતો. પરંતુ ૧૯૯૧માં માત્ર મસ્જિદના નિર્માણક્ષેત્રને જ ઘેરવામાં આવ્યો અને હવે મસ્જિદના હિસ્સામાં એટલી જ જગ્યા છે. આ જગ્યા કેટલી છે તેનું માપ કાઢવામાં આવ્યું નથી. અમારી જાણકારી મુજબ ક્યારેય વિવાદ થયો નથી. જુમ્માની નમાજ અને શિવરાત્રી એક જ દિવસે આવી હોય એવા પ્રસંગો પણ આવ્યા છે. પરંતુ તે સમયે પણ બધુ શાંતિપૂર્ણ થયું હતું.’
૧૯૯૧માં સર્વેક્ષણ માટે અદાલતમાં અરજી દાખલ કરનાર હરિહર પાંડેય જણાવે છે કે, ‘૧૯૯૧માં અમે ત્રણ લોકોએ કેસ કર્યો હતો. મારા ઉપરાંત સોમનાથ વ્યાસ ને સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના પ્રોફેસર રહી ચૂકેલા રામરંગ શર્મા પણ હતા. આ બંને લોકો હવે જીવિત નથી.’ કેસ દાખલ થયાના કેટલાક દિવસ પછી મસ્જિદ વ્યવસ્થાપન સમિતિએ કેન્દ્ર સરકાર દ્વારા ઘડાયેલા પૂજાસ્થળ ૧૯૯૧ના કાયદાને આધાર બનાવીને તેને હાઈ કોર્ટમાં પડકાર્યો હતો. અલાહાબાદ હાઈ કોર્ટે ૧૯૯૩માં સ્ટે આપીને યથાવત સ્થિતિ જાળવવા આદેશ આપ્યો હતો. પરંતુ સ્ટે ઓર્ડરની કાયદેસરતા અંગે સુપ્રીમ કોર્ટના એક આદેશ બાદ વર્ષ ૨૦૧૯માં વારાણસી કોર્ટમાં ફરીથી આ મામલે સુનાવણી શરૂ થઈ અને આ સુનાવણી પછી જ મસ્જિદ પરિસરના પુરાતત્વીય સર્વેક્ષણની મંજૂરી અપાઇ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter