નેતાજી સુભાષચંદ્ર બોઝઃ દેશભક્તોના દેશભક્ત

Wednesday 19th January 2022 04:34 EST
 
 

ગાંધીજીએ જેમને ‘દેશભક્તોના દેશભક્ત’નું બિરુદ આપ્યું હતું તેવા સુભાષચંદ્ર બોઝ માટે કહેવાય છે કે જો હિન્દુસ્તાનના ભાગલા વેળા તેઓ હયાત હોત તો ભારતને વિભાજનનો માર વેઠવો ન પડત. આ વાતનો સ્વીકાર ખુદ ગાંધીજીએ પણ કર્યો હતો. સ્વતંત્રતા આંદોલનના મહાનાયક નેતાજી સુભાષચંદ્ર બોઝે બીજા વિશ્વયુદ્ધ દરિમયાન આઝાદ હિન્દ ફોજની રચના કરી હતી. તેમણે ‘જય હિન્દ’ જેવું રાષ્ટ્રીય સૂત્ર આપ્યું હતું. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં નેતાજીના અતુલ્ય યોગદાન બિરદાવવા ભારત સરકારે આ વર્ષથી પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો પ્રારંભ નેતાજીની જન્મજયંતી ૨૩ જાન્યુઆરીના રોજથી શરૂ કરવાનો સ્તુત્ય નિર્ણય કર્યો છે.
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના આ મહાનાયકનો જન્મ ૨૩ જાન્યુઆરી ૧૮૯૭ના રોજ ઓડીસાના કટક શહેરમાં થયો હતો. તેમના માતાનું નામ પ્રભાવતિ અને પિતાનું નામ જાનકીનાથ હતું. તેમના પિતા જાણીતા ધારાશાસ્ત્રી હતા અને તેમણે કટકની મહાનગરપાલિકામાં લાંબા સમય સુધી સેવા આપી હતી. ઉપરાંત તેઓ બંગાળ વિધાનસભાના સદસ્ય પણ રહ્યા હતા. અંગ્રેજ સરકારે તેમને રાયબહાદુરનો ખિતાબ આપ્યો હતો.
બાળપણમાં સુભાષ કટકની રેવિન્શો કોલેજીયેટ હાઈસ્કુલમાં ભણતા હતા. તેમના શિક્ષક વેણીમાધવદાસે સુભાષમાં નાનપણથી જ દેશપ્રેમની ભાવના પ્રજ્વલિત કરી હતી. માત્ર ૧૫ વર્ષની કિશોરવયે તેઓ ‘ગુરુ’ની શોધમાં હિમાલય ગયેલા પરંતુ તેમનો પ્રવાસ અસફળ રહ્યો હતો. જોકે સ્વામી વિવેકાનંદથી પ્રભાવિત થઈને સુભાષજી તેમના શિષ્ય બન્યા હતા.
કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કર્યો, પણ ઝળહળતી કારકિર્દીના બદલે તેમણે દેશહિતને પ્રાધાન્ય આપ્યું. દેશહિત કાજે મરી ફિટવા તૈયાર યુવાન સુભાષબાબુએ સ્વતંત્રતા સેનાની દેશબંધુ ચિત્તરંજનદાસને પત્ર પાઠવીને તેમની સાથે કામ કરવાની ઈચ્છા કરી. તે દિવસોમાં ગાંધીજીએ અંગ્રેજ સરકાર સામે અસહયોગનું આંદોલન છેડ્યું હતું જેમાં દિનબંધુએ કોલકતાનું નેતૃત્વ કર્યું હતું અને યુવાન સુભાષે આંદોલનમાં સક્રિય ભુમિકા ભજવી હતી.
૧૯૨૨માં દેશબંધુએ કોંગ્રેસની નિશ્રામાં સ્વરાજ્ય પાર્ટીની સ્થાપના કરી. વિધાનસભામાં અંગ્રેજ સરકારનો વિરોધ કરવા કોલકતા મહાનગરપાલિકાની ચૂંટણીમાં સ્વરાજ્ય પાર્ટી ઝંપલાવ્યુ અને પાર્ટી ચૂંટણી જીતી ગઈ. ત્યારપછી દાસબાબુ કોલકતાના મેયર બની ગયા. તેમણે સુભાષબાબુને મહાનગરપાલિકાના પ્રમુખ કાર્યકારી અધિકારી બનાવ્યા હતા.
સુભાષબાબુએ પોતાના કાર્યકાળ દરમિયાન કોલકતા મહાનગરપાલિકાના ઢાંચામાં પાયાના ફેરફારો કર્યા અને શહેરના રાજમાર્ગોના વિલાયતી નામો બદલીને ભારતીય નામો આપવામાં આવ્યા. સ્વતંત્રતા સંગ્રામમાં પ્રાણોની આહુતિ આપનારા શહીદોના પરિવારજનોને મહાનગરપાલિકામાં રહેમરાહે નોકરી આપવાનું ભગીરથ કાર્ય પણ તેમના હાથે શરૂ થયું હતુ.
કોંગ્રેસના પ્રમુખ પદે
૧૯૩૮માં દક્ષિણ ગુજરાતના હરિપુરામાં યોજાયેલા સંમેલનમાં તેઓ સર્વસંમતિથી કોંગ્રેસના અધ્યક્ષપદે ચૂંટાયા. ૧૯૩૯માં જ્યારે કોંગ્રેસના નવા પ્રમુખની વરણી કરવાનો સમય આવ્યો ત્યારે સુભાષબાબુની ઈચ્છા હતી કે, નવા પ્રમુખ એવા હોવા જોઈએ જે કોઈ પણ દબાણને વશ ન થાય. જોકે કોઈ વ્યકિત આગળ નહીં આવતાં અંતે તેમણે જ કોંગ્રેસની સુકાન સંભાળવાનો પ્રસ્તાવ મૂક્યો. કવિ રવિન્દ્રનાથ ઠાકુરે પણ ગાંધીજીને પત્ર લખીને સુભાષબાબુને અધ્યક્ષ બનાવવાની વિનંતી કરી. પ્રફુલ્લચંદ્ર રાય અને મેઘનાદ સાહા જેવા વૈજ્ઞાનિકો પણ નેતાજીને ફરીથી અધ્યક્ષ બનાવવા માગતા હતા. અંતે કોંગ્રેસ અધ્યક્ષના પદ માટે ચૂંટણી યોજવામાં આવી. જબલપુરના તિલવારા ઘાટ પર આવેલા ત્રિપુરીમાં યોજાયેલા અધિવેશનમાં કોંગ્રેસના અધ્યક્ષપદ માટે સુભાષચંદ્ર અને સિતારમૈયા વચ્ચે જંગ જામ્યો. કેટલાક માનતા હતાં કે સિતારમૈયાના ટેકામાં મહાત્મા ગાંધી હોવાથી તમને ચૂંટણી જીતવામાં સરળતા રહેશે. જોકે સુભાષબાબુને આ ચૂંટણીમાં ૧૮૮૦ મત અને સીતારમૈયાને ૧૩૭૭ મત મળ્યા. આમ સુભાષબાબુ ૨૦૩ મતે કોંગ્રેસના અધ્યક્ષની ચૂંટણી જીતી ગયા. જોકે પ્રમુખ તરીકે તેમનો કાર્યકાળ બહુ ટૂંકો રહ્યો. થોડા સમય બાદ ત્રિપુરામાં યોજાયેલા કોંગ્રેસના અધિવેશન દરમિયાન સુભાષબાબુ બીમારીની ગર્તામાં ધકેલાઈ ગયા હતા. પરંતુ તેઓ સ્ટ્રેચર પર સુઈને પણ અધિવેશનમાં હાજરી આપવાનું ચૂકતા ન હતા. જોકે ગાંધીજી આ અધિવેશનમાં ઉપસ્થિત રહ્યાં ન હતાં. આખરે ૨૯મી એપ્રિલ ૧૯૩૯ના રોજ કોંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામુ આપી દીધું અને આઝાદ હિન્દ ફોજના સેનાનાયક બનીને માતૃભુમિની રક્ષા કાજે અંગ્રેજો સામે યુદ્ધના મંડાણ કર્યા.
અંતિમ પ્રવાસ, મૃત્યુના ભેદભરમ
દ્વિતીય વિશ્વયુદ્ધમાં જાપાનના પરાજય બાદ ૧૮ ઓગસ્ટ ૧૯૪૫ના રોજ નેતાજી વિમાન મારફતે મંચુરીયા તરફ જતા હતા તે સમયે તેમનું વિમાન રહસ્યમય રીતે લાપતા થઈ ગયું. ત્યારપછી તેઓ ક્યારે કોઈને જોવા મળ્યા નથી. ૨૩મી ઓગષ્ટ ૧૯૪૫ના દિવસે જાપાનની ‘દોમઈ’ સંસ્થાએ વિશ્વમાં સમાચાર આપ્યા કે, ૧૮મી ઓગસ્ટના રોજ નેતાજીનું વિમાન તાઈવાન નજીક દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ દુર્ઘટનામાં સુભાષબાબુએ પ્રાણ ગુમાવ્યા હતા.
સ્વતંત્રતા મળ્યા પછી ભારતે આ ઘટનાની તપાસ કરાવવા માટે ૧૯૫૬ તથા ૧૯૭૭માં બે વખત તપાસ પંચની નિયુક્તિ કરી હતી. દુર્ઘટનામાં નેતાજીનું મોત થયું હોવાનો રિપોર્ટ બંને વખત થયેલી તપાસ બાદ જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ એક પણ તપાસ પંચે તાઈવાન સરકાર સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરી ન હતી. ૧૯૯૯માં મનોજકુમાર મુખર્જીના નેતૃત્વમાં ત્રીજા તપાસ પંચની રચના કરવામાં આવી હતી. તપાસ દરિમયાન ૨૦૦૫માં તાઈવાન સરકારે મુખર્જી આયોગને જણાવ્યું હતું કે, ૧૯૪૫માં તાઈવાનની ભૂમિ પર કોઈ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું જ ન હતું. ૨૦૦૫માં મુખર્જી આયોગે ભારત સરકારને પોતાનો રિપોર્ટ સુપરત કર્યો, જેમાં તેમણે દર્શાવ્યું હતું કે, નેતાજીનું મૃત્યુ વિમાન દુર્ઘટનામાં થયું હોવાના કોઈ પુરાવા નથી. ભારત સરકારે મુખર્જી આયોગનો આ રિપોર્ટનો અસ્વીકાર કરી દીધો. ૧૮મી ઓગસ્ટ, ૧૯૪૫ના દિવસે નેતાજી ક્યાં ગુમ થઈ ગયા અને ત્યાર પછી શું બન્યું, તે ભારતના ઈતિહાસમાં અનુત્તર રહેલો સૌથી અઘરો પ્રશ્ન બની ગયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter