પતિ ફિરોઝ ગાંધીને ફાસિસ્ટ લાગ્યાં હતાં ઈંદિરા

ઈતિહાસના નીરક્ષીર

ડો. હરિ દેસાઈ Monday 21st August 2017 06:12 EDT
 
 

ભારતીય વડા પ્રધાનોમાં શ્રેષ્ઠ કોણ એવો પ્રશ્ન ‘વોક ધ ટોક’ ઈન્ટરવ્યુ કરતા શેખર ગુપ્તાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા (સરસંઘચાલક) કુપ્પસ્વામી સીતારામૈયા સુદર્શનને પૂછ્યો તો તેમનો સીધો જ ઉત્તર હતોઃ ‘ઈંદિરા ગાંધી’. સ્વાભાવિક અપેક્ષા હતી કે એ અટલ બિહારી વાજપેયીનું નામ લેશે. સુદર્શનજીના આ ઉત્તરથી નારાજ વાજપેયી-અડવાણીની બેલડીની નારાજગી દૂર કરવા સરસંઘચાલકજીએ કહ્યુંઃ ‘મીડિયાને આ વાતને વિકૃત કરીને મૂકી હતી.’ ટીવી પર સ્પષ્ટ દેખાતું અને ઈંડિયન એક્સપ્રેસમાં શબ્દશઃ પ્રકાશિત ઈન્ટરવ્યૂમાં એના મુખ્ય તંત્રી ગુપ્તાએ જ લીધેલી મુલાકાતમાં પણ ઈંદિરાજીનું નામ પ્રગટ્યા પછી ખુલાસો નિરર્થક હતો.

ક્યારેક ૧૯૭૧ના બાંગ્લાયુદ્ધ પછી સ્વયં અટલજીએ જ સંસદમાં ઈંદિરાજીને ‘દુર્ગા’ કહ્યાં એ વેળા પણ ભારે ઉહાપોહ મચ્યો હતો. રાજકીય વિરોધીઓની રાષ્ટ્રહિતની કામગીરીને બિરદાવવા જેવી ઉદારતા દાખવવામાં કશું ખોટું નથી. ભારતનાં વડાં પ્રધાનપદે અત્યાર લગી સૌથી લાંબો સમય રહેલા શ્રીમતી ઈંદિરા ગાંધી પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુનાં દીકરી હતાં એ સાચું, પણ બાળવયથી જ કોંગ્રેસના સ્વાતંત્ર્યસંગ્રામ સાથે જોડાયેલાં રહેલાં હતાં. ઈંદિરા માર્ચ ૧૯૪૨માં અલ્લાહાબાદના આનંદ ભવનમાં પિતા નેહરુ સહિતનાની સાક્ષીએ હિંદુ વિધિથી પારસી-જરથોસ્ત્ર ફિરોઝ ગાંધી સાથે લગ્નસંબંધે જોડાયાં. બે મહિના હનીમૂન માટે કાશ્મીર ગયાં અને પાછાં ફર્યાં ત્યારે ગાંધીજીએ જગાવેલી ‘ક્વિટ ઈન્ડિયા’ની આહલેકમાં ઓગસ્ટ ૧૯૪૨માં જેલવાસી થયાં હતાં.

ઈમર્જન્સી ફેઈમ ઈંદિરાની શહીદી

જૂન ૧૯૭૫માં વડાં પ્રધાન ઈંદિરા ગાંધીએ રાયબરેલીમાંથી ચૂંટણી જીતવા માટે ગેરરીતિ આચરી હોવાના કારણસર એમને ગેરલાયક ઠરાવતો ચૂકાદો અલ્લાહાબાદની વડી અદાલતે આપ્યો અને ઈંદિરાજી સમક્ષ હોદ્દો છોડવાનો વખત આવ્યો. એમના સિદ્ધાર્થ શંકર રે અને રજની પટેલ જેવા દરબારીઓએ સત્તામાં ચીટકી રહેવા ‘ઈમર્જન્સી’ લાદવાની સલાહ આપી. સત્તાકાંક્ષી શ્રીમતી ગાંધીએ વિપક્ષના તમામ નેતાઓએ જેલમાં ઠૂંસી દીધા અને ઈમર્જન્સી દરમિયાન અસ્સલ ફાસિસ્ટ તરીકેનું સ્વરૂપ એમણે અને એમના પુત્ર સંજય ગાંધીએ દર્શાવ્યું. જોકે, શ્રીમતી ગાંધીના ફાસિસ્ટ તરીકેના સ્વરૂપને છેક ૧૯૯૫માં એમણે કેરળની ચૂંટાયેલી સામ્યવાદી સરકારને જિદે ચડીને બરખાસ્ત કરાવી. ત્યારે એમના પતિ અને કોંગ્રેસના સાંસદ ફિરોઝ ગાંધીએ નિહાળ્યું હતું. બેઉ વચ્ચે એ મુદ્દે સંબંધો ઓર વણસ્યા હતા. એ વેળાના વડા પ્રધાન નેહરુએ પણ પોતાની લાડકી દીકરી અને કોંગ્રેસની રાષ્ટ્રીય અધ્યક્ષ ઈંદિરા ગાંધીની સલાહ માનવી પડી હતી.
વિશ્વમાં પહેલી વાર કોમ્યુનિસ્ટોની ચૂંટાયેલી સરકાર ઈએમએસ નમ્બૂદિરીપાદના વડપણ હેઠળ કેરળમાં રચાઈ હતી, પણ એની એ પહેલી મુદ્દત પૂરી ના થાય એટલા માટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં એ નિષ્ફળ રહ્યા સહિતના અનેક ઘોંચપરોણા શ્રીમતી ગાંધીના ઈશારે કરાતા રહ્યા હતા. અંતે કેરળ સરકારને બરખાસ્ત કરાઈ હતી. શ્રીમતી ગાંધી ભારતીય રાજકારણમાં બળૂકાં નેતા તરીકે ઉપસ્યાં હતાં.
ઈમર્જન્સી પછીની લોકસભાની ચૂંટણીમાં એ રાયબરેલીમાં હાર્યાં. એમના શાહજાદા સંજય ગાંધીનો પણ અમેઠીમાં પરાજ્ય થયો હતો. જોકે, એ ચિકમંગલૂરમાંથી ચૂંટણી લડીને લોકસભામાં વિપક્ષે પહોંચ્યા અને પછી તો મોરારજી સરકારને ગબડાવવામાં એમને ચરણસિંહ હાથવગા મળ્યા. ૧૯૮૦માં શ્રીમતી ગાંધીની કોંગ્રેસ રાખમાંથી બેઠી થઈને ભવ્ય બહુમતી સાથે ફરી સત્તામાં આવી. ૧૯૮૪માં એમણે અમૃતસરના સુવર્ણ મંદિરનો કબજો લઈને બેસનારા ભિંડરાંવાલે અને સાથીઓને ખદેડવા માટે લશ્કરને સુવર્ણ મંદિરમાં મોકલવાનું ‘અધર્મી’ કૃત્ય કર્યું અને એમનાં જ સુરક્ષામાંના બે શીખ જવાનોએ વડાં પ્રધાનને ગોળીએ દેતાં એ શહીદ થયાં હતાં. સંયોગ તો જુઓ કે તેમને આ બે શીખ સુરક્ષાકર્મીઓને દૂર કરવાની ગુપ્તચર વિભાગે સલાહ આપી હતી, પણ એમણે એ વાતને માની નહોતી.

વિલાયતમાં પ્રેમમાં પડ્યાં બેઉ

વિલાયતમાં ભણતાં ઈંદિરા અને ફિરોઝ બેઉ પ્રેમમાં પડ્યાં. પિતા નેહરુ અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પાસેથી જિદ કરીને સંમતિ મેળવીને બેઉ લગ્નસંબંધે જોડાયાં. દિલફેંક ફિરોઝ અનેક મહિલાઓ સાથે ફાગ ખેલવા માટે નામચીન બન્યા. વડા પ્રધાન નેહરુના સત્તાવાર નિવાસ તીનમૂર્તિમાં એ રહેવા આવ્યા. અહીં ઈંદિરા ફર્સ્ટ લેડી તરીકે વધુ માનપાન ભોગવતાં હતાં એટલે પોતે હીણપત અનુભવતા રહ્યા. ખુલ્લેઆમ તીનમૂર્તિમાં પોતાના દરબારમાં મહિલાઓ સાથે સંબંધ રાખતા રહ્યા. કોંગ્રેસના ઉમેદવાર તરીકે એ ૧૯૫૨માં એ ચૂંટાયા, પણ ઈંદિરા કોંગ્રેસના પ્રમુખ થયાં એટલે બેઉ વચ્ચે જાણે કે અણબનાવ વધ્યા. ૧૯૫૪માં લોકસભામાં પોતાના સસરાની સરકારના પ્રધાન ટી. ટી. કૃષ્ણામાચારી અને ઈંદિરાજીના કહેવાતા પ્રેમી અને નેહરુના અંગત સચિવ એમ. ઓ. મથાઈ સામે ઉહાપોહ મચાવ્યો. મુંદરા કૌભાંડ સંદર્ભે ટીટીકેએ રાજીનામું આપવું પડ્યું. મથાઈએ પણ રાજીનામું આપવાનો વખત આવ્યો. પતિ-પત્ની વચ્ચેના સંબંધો વણસ્યા. સંતાનો રાજીવ અને સંજય બોર્ડીંગ સ્કૂલમાં રહીને ભણતાં હતાં.

દુઃખી લગ્નજીવન અને છૂટાછેડા

ડાબેરી ઝોક ધરાવતા સાંસદ ફિરોઝ ગાંધી સંસદમાં સત્તાપક્ષના સભ્ય હોવા છતાં વિપક્ષના નેતાની જેમ નેહરુ સરકારને ભીંસમાં લઈ રહ્યા હતા. પુપુલ જયકર જેવાં અંગત સખી સમક્ષ શ્રીમતી ગાંધીએ વ્યથા ઠાલવી પણ ખરી કે હું હવે ફિરોઝને છૂટાછેડા આપવાની છું, પણ એટલામાં જ બીજી વારના હૃદયરોગના હુમલામાં ફિરોઝનું દિલ્હીની હોસ્પિટલમાં મૃત્યુ થયું. બે મનેખના મોંઢાનો મેળાપ પણ ના થયો. જોકે પાછળથી અંતરંગ મિત્રોએ જીવનકથાઓમાં નોંધ્યું ય ખરું કે ઈંદિરાના અનેકોની સાથેના આડા સંબંધની વાત ફિરોઝ પોતે જ ફેલાવતા હતા. બાકી હતું તે મથાઈ થકી વાતો ફેલાવાી. જોકે, અંગતજીવનની વેદનાઓ છતાં ઈંદિરા ગાંધી ભારતનાં શ્રેષ્ઠ વડાં પ્રધાન ગણાય એવું શાસન કરી શક્યાં.

(વધુ વિગતો માટે વાંચો અંક Asian Voice તા. 26th August 2017 અથવા ક્લિક કરો વેબલિંકઃ http://bit.ly/2vRI2a5)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter