પહેલગામમાં આતંકવાદી હુમલાઓ પછી, ભારતે ઓપેરેશન સિંદૂરનું પગલું લીધું અને ફરી વાર બંને દેશોનો ઇતિહાસ બદલાઈ ગયો. આ પહેલાં છેક 1947માં કાશ્મીર પરના આક્રમણથી આજ સુધીની પાકિસ્તાની નાદાનિયત ચાલુ રહી. સરહદ પારથી ત્રાસવાદીઓને ભારતમાં મોકલીને હિંસાચાર ફેલાવવો, કાશ્મીરમાં કાયમ અલગાવવાદી થાણા ઊભાં કરવાં તેને રાજકીય અને મઝહબી રંગ આપવો (દેશમાં ત્યાંનાં અલગાવવાદી સંગઠનોમાંથી 80 ટકાના નામ સાથે મજહબ જોડાયેલો છે!), સરહદો પર આક્રમણ કરવાં, કાશ્મીર, જૂનાગઢનો મુદ્દો વિવાદાસ્પદ રાખવો... આ બધું ચાલુ જ રહ્યું. એ કેવી વિડંબના છે કે આપણાં દેશમાં હિન્દુ-મુસ્લિમ ભાઈ તરીકે ગણાતા હતા. 1857નો સંગ્રામ સાથે રહીને ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સામે લડ્યા, તે જ ‘ભાઈઓ’એ અલગ દેશ માંગ્યો અને કાયમ માટે ભારતની સાથે શત્રુવટ રાખી. આનું કારણ શું? ઇતિહાસ ભણતો વિદ્યાર્થી માથું ખંજવાળે છે.
મ્યાંમારના બર્મીઝ, શ્રીલંકાના સિંઘલ કે નેપાળના હિન્દુ પાડોશી જ છે, છતાં આટલો લોહીલુહાણ ઇરાદો પાકિસ્તાનનો સૌથી વધુ! પૂર્વ પાકિસ્તાન તેમાંથી બાકાત થયું તેનું મુખ્ય કારણ પશ્ચિમ પાકિસ્તાનનું - પંજાબી મુસ્લિમ સેનાનું પૂર્વ પાકિસ્તાનના શોષણ અને જુલમનું હતું. હવે આ જ ઘર્ષણ બલોચિસ્તાનનું છે. બાંગ્લા દેશનું નિર્માણ બંગાળી ભાષાના રાષ્ટ્રવાદ અને પાકિસ્તાનથી રાજકીય મુક્તિની ઝંખનાને લીધે થયું. ભારતીય સેનાએ મુક્તિવાહિનીને તમામ રીતે મદદ કરીને ‘પૂર્વ પાકિસ્તાન’ નામ દુનિયાની ભૂગોળમાંથી ભૂંસી નાખ્યું. પણ હવે, ત્યાં કટ્ટરવાદી સંગઠનોએ આતંક શરૂ કર્યો છે. મોહમ્મદ યુનુસને શાંતિવાદી કહેવામાં આપણાં કેટલાક ભલા નેતાઓ પણ સામેલ હતા. ગુજરાતીમાં તેની પ્રશંસા કરતું એક પુસ્તક ‘વંચિતોના વાણેતર’ પણ પ્રકાશિત થયું હતું. તેના માટે તે સમયે ઉત્સાહી સનત મહેતા આજે જીવતા હોત તો પાકિસ્તાન અને કટ્ટરવાદીના ‘વાણોતર’ બનેલા યુનુસની આકરી ટીકા કરી હોત!
પાકિસ્તાનના ભારત-વિરોધનું કારણ શું? રાજકીય પંડિતો તેને માટે મોટાભાગે બ્રિટિશ નીતિને કારણરૂપ ગણે છે. પણ આ અર્ધ સત્ય છે, મૂળમાં તો પ્રખર ચિંતક હમીદ દલવાઇએ કહ્યું હતું તે છે. અમદાવાદમાં લીધેલી દીર્ઘ મુલાકાતમાં અને તેમના પુસ્તકોમાં કહેવાયું છે કે, મુસ્લિમ પ્રજાએ લાંબા સમય સુધી ભારત પર રાજ કર્યું એટલે મુસ્લિમોની માનસિકતા પેદા થઈ કે અમે જ દેશ પર રાજ કરવા જન્મ્યા છીએ. 1947 પછી એવું ના બન્યું અને ભારતમાં લોકતંત્ર બન્યું. તેમાં તો દરેકને મતાધિકાર હોય એટલે પ્રતિનિધિઓની સરકાર બને. મુસ્લિમ લીગ કે હૈદરાબાદનું એઆઈએમએમ સંગઠન એટલા મત ક્યાંથી મેળવી શકે? પણ માનસિકતા હજુ પોતે જ બાબરો, ઔરંગઝેબો, અકબરો, અને સુલતાનોના સામ્રાજ્યની સાથે જોડાયેલી રહી છે. આ વાત મુસ્લિમ વિચારક હમીદ દલવાઇએ કહી છે. વી.એસ. નાઇપોલે પણ આવું જ વિધાન કર્યું હતું.
આ કાયમ શાસક રહેવાનો નિરર્થક અહંકાર મજહબી રીતે ‘ખિલાફત’ અને ખલિફાઈ સાથે જોડાયેલો છે. આ સંગઠન દુનિયામાં ‘પાન-ઈસ્લામિક’ માન્યતાને પંપાળીને જુદા જુદા દેશોમાં અલગાવી કટ્ટરતા પેદા કરે છે. બદલાતી ભૂ-રાજકીય સ્થિતિમાં આ શક્ય નથી છતાં ક્યાંક તેઓ ઈસાઈ-વિરોધી ‘કૃસેડ’ યુદ્ધોને યાદ રાખે છે. તેને ઈસ્લામિક ઇતિહાસકારો ‘ધર્મયુદ્ધ’ પણ ગણાવે છે ને અત્યારે જે સંગઠનો, મુલ્લા-મૌલવી-મૌલાનાઓ જાહેરમાં સર્વોપરિતાનું ઝેર ફેલાવતા ભાષણો કરે છે, તેની પાછળ આ જ અહંકાર છે, જે બદલાતી સ્થિતિમાં ક્યાંય ચાલે તેવો રહ્યો નથી. ઈરાન તેનું કેન્દ્ર છે. અફઘાનિસ્તાન પણ હતું, પરંતુ ત્યાંનાં તાલિબાનોએ તો પાકિસ્તાનની સામે જંગ જાહેર કરી દીધો છે.
પાકિસ્તાન આવી છાવણીઓને સાચવે છે. ઓસામા બિન લાદેન જેવાને દુનિયામાં ક્યાંય જગ્યા ના મળી એટલે પાકિસ્તાનમાં રહ્યો. દાઉદ પણ પાકિસ્તાનમાં જ સુરક્ષિત છે. જો અમેરિકા અને બ્રિટન જેવા દેશોએ લાલ આંખ ના બતાવી હોત અને ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આવા આતંકવાદી અડ્ડા સમાપ્ત ના કર્યા હોત તો હજુ ત્યાંનાં નેતાઓ દુનિયાભરના આતંકવાદીઓને પોતાને ત્યાં રહેવાની વ્યવસ્થાઓ કરી જ હોત. હજુ પણ અમેરિકા જેવી સત્તાઓ દૂધમાં અને દહીંમાં બંને પગ રાખવાની રાજનીતિ કરશે તો આવું જ પરિણામ આવશે.
પાકિસ્તાનનું પાડોશી હોવું ભારતે તો 1947થી જ માન્ય રાખ્યું હતું. કાશ્મીરમાં યુદ્ધવિરામથી માંડીને તાશકન્દ અને સિમલા કરારોમાં ભારત સરકારે પોતાનાં જ કાંડા કાપ્યા હોવાનું ઘણા રાજકીય પંડિતો માને છે. તેને કોઈ રીતે મિત્ર બનવું નથી એવું લાગે છે. તે બાંગ્લા દેશને પણ લલચાવશે. મુસ્લિમ દેશોએ તેની તરફેણ તો કરી પણ ટેકો બે દેશોનો જ મળ્યો. કેનેડામાં ખાલિસ્તાની અલગાવનો ટેકો મળ્યો અને ચીને પણ એવું જ કર્યું.
આપણાં આ બીજા પાડોશી, અને થોડો સમય પંચશીલ અને શાંતિના કબૂતરો ઉડાડીને ભારતના મિત્ર હોવાનો ઢોંગ ચીને પણ કર્યો. એશિયાનાં નકશામાં ચીન અને ભારત બંને મજબૂત મિત્રો બને તો તેનો પ્રભાવ દુનિયાના દેશોમાં રહે. આવી સાનુકૂળ સ્થિતિ પણ છે.
ચીનમાં ભારતમાંથી બૌદ્ધ ધર્મ પહોંચ્યો હતો. ઘણા પૂર્વ રાજવીઓએ તેનો સ્વીકાર કર્યો હતો. પણ માઓની ‘ક્રાંતિ’એ પરિસ્થિતિ બદલી નાખી. કમ્યુનિસ્ટો ભારત સહિત બધે ‘લાલ ક્રાંતિ’ની થીસિસમાં માનતા હતા. 1947 માં તેવું શેખચલ્લીપણું તૂટી પડ્યું. છેક તાશકન્દમાં ભારતીય એમ.એન. રોયે ભારતની સામ્યવાદી પાર્ટી સ્થાપી હતી તે કામ ના આવી અને લેનિન સાથેના મતભેદોથી રોયે સામ્યવાદી પક્ષ અને વિચારમાંથી મુક્ત થઈને રેડિકલ હયુમનિસ્ટ સંસ્થા બનાવી. વિશ્વવ્યાપી મજદૂર ક્રાંતિ રશિયા, ચીન, ક્યુબાથી આગળ વધી નહિ. માઓને પોતાના દેવ માનનારા માઓવાદીઓ જુદા-જુદા નામે ભારતમાં ક્રાંતિ કરવા નીકળ્યા, તેમાના મોટા ભાગના તો પોતે જ ખંડણીખોર બની ગયા! ચીન તેના સામ્યવાદની કબર પર નર્યું સામ્રાજ્યવાદી સત્તાનું પ્રતીક બની ગયું. સામ્રાજ્યવાદ માત્ર બ્રિટન કે ફ્રાન્સ કે અમેરિકાનો જ હોય તે વાતને ફેરવી નાખી, કેટલા બધા દેશો અગાઉ રશિયાથી (તાજું ઉદાહરણ યુક્રેનનું) અને ચીનનો ભોગ બન્યા છે? આપણી નજર સામે તિબેટ છે. યુદ્ધ વિના પણ અરુણાચલને પોતાનું માને છે! આમ આપણે પાડોશી પણ મિત્ર નહિ એવા બે દેશોના વર્તમાનમાં જીવીએ છીએ!