બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)ને પ્રચંડ બહુમતી મળી ગઈ છે. તેના નેતા તારિક રહેમાન વડાપ્રધાન બન્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તારિક રહેમાન અને તેઓની પાર્ટીને ભવ્ય જીત અંગે વધાઈ આપી દીધી છે. ભારત માટે આ ચૂંટણી અને તેમાં બીએનપીને મળેલ બહુમતી ભારત માટે પણ મહત્વની બની રહી છે. વિશેષતઃ તો જ્યારે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના ભારતમાં રાજયાશ્રય લઈ રહ્યા છે અને બાંગ્લાદેશમાં ભારત વિરોધી જુવાળ ઉપસ્થિત કરવામાં આવ્યો હતો. ત્યારે બીએનપીનો વિજય ખૂબ મહત્વનો બની રહ્યો છે. હવે તે માટેના 6 મુદ્દાઓ જોઈએઃ
• બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)નો વિજય અને તારિક રહેમાનનુ નેતૃત્વ ભારત માટે એક ટેસ્ટ કેસ બની રહેશે. ભારત માટે સંરક્ષણ સહકાર, વિદેશ નીતિમાં સંતુલન અને આર્થિક ભાગીદારી મહત્વની બની રહેશે. જો બીએનપી સરકાર વિશ્વાસ સાથે કામ કરે તો ભારત સહકાર વધારશે. ભારત સંપૂર્ણ રીતે વ્યવહારૂ બનીને તેના વિકલ્પો તોળે છે અને તે ઉપરથી આગળનો નિર્ણય લેશે.
• ભારત માટે એક બાબત તો સ્પષ્ટ છે કે તે હંમેશા જનાદેશનું સન્માન કરે છે. આ વખતે પણ તે તેમ જ કરશે. વડાપ્રધાન મોદીએ મીડીયા પ્લેટફોર્મ X ઉપર તારિક રહેમાનને વધાઈ દેતાં લખ્યું : હું બાંગ્લાદેશમાં ચૂંટણીમાં બીએનપીને નિર્ણાયક જીત અપાવવા માટે મિસ્ટર તારિક રહેમાનને હાર્દિક વધામણી આપું છું. આ વિજય આપતા નેતૃત્વમાં બાંગ્લાદેશની જનતાનો વિશ્વાસ દર્શાવે છે. ભારત લોકતાંત્રિક, પ્રગતિશીલ તથા સમાન દ્રષ્ટિવાળા બાંગ્લાદેશની સાથે હંમેશા ઊભો રહીશ. હું આપણા બહુઆયામી સબંધો મજબૂત કરવા તથા આપણા સામાન્ય વિકાસ લક્ષ્યાંકોને આગળ ધપાવવા આપની સાથે કામ કરવા ઉત્સુક છું.
• આ વખતે બાંગ્લાદેશ એક નાજુક વળાંક પર આવ્યો છે. દેશમાં કટ્ટરપંથી તાકાતો ખુલ્લેઆમ સક્રિય છે. અંતરિમ સરકારના નેતા મુહમ્મદ યુનુસના નેતૃત્વમાં ભારત વિરોધી માહોલ બન્યો હતો. તેમાં દિલ્હીની ચિંતા, કટ્ટરપંથી જમાત-એ-ઇસ્લામી અંગે હતી. જે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈના પ્રભાવમાં હોવાનું સ્પષ્ટ છે. તેથી દિલ્હીને આશા હતી કે, ત્યાં બીએનપી સરકાર બને. બન્યું પણ એવું.
• પાકિસ્તાન સતત ભારતવિરોધી વિકલ્પ (જમાત-એ-ઇસ્લામી)ને સમર્થન આપતું આવ્યું છે. શેખ હસીનાના રાજયકાળમાં બાંગ્લાદેશ પાકિસ્તાનથી દૂર રહી ભારત તરફી રહ્યું હતું.
• હવે ભારતે બીએનપીને પૂરી રીતે ગ્રીન સિગ્લન આપ્યું છે. પછી તેમાં ખાલીદા ઝીયાની માંદગી ઉપર ચિંતા વ્યકત કરવાની હોય કે તેઓનાં નિધન સમયે વિદેશમંત્રીને મોકલી વડાપ્રધાનનો શોક સંદેશો તારિક રહેમાનને મોકલવાનો હોય. ઉત્તરમાં તારિક રહેમાને પણ આભાર વ્યક્ત કર્યો હતો. વચમાં બીએનપીની સરકાર હતી ત્યારે બંને દેશોના સંબંધો કઠીન બન્યા હતા. તે અલગ વાત છે.
• જમાત-એ-ઈસ્લામીને બદલે બીએનપી સત્તારૂઢ થતાં ત્યાં વસતા હિન્દુઓ માટે રાહત થશે તેમ લાગે છે. બીએનપીએ જમાત સાથે છેડો ફાડયા પછી હિન્દુઓને લગભગ બીએનપી તરફે મતદાન કર્યું હોવાનું મનાય છે.
ટૂંકમાં કહીએ તો, પાકિસ્તાનની ચાલબાજી નિષ્ફળ ગઈ છે તેવું અત્યારે તો દેખાય છે.


