પાર્લેઃ મુંબઇના પરાંમાંથી નીકળેલાં આ ટોફી-બિસ્કિટમાં સમાયો છે ઇતિહાસ

(વ્હોટ્સએપના ચોતરેથી...)

Monday 25th May 2026 11:01 EDT
 
 

સન 1929માં મોહનલાલ દયાલ ચૌહાણે મુંબઈના વિલે પાર્લે વિસ્તારમાં એક જૂની, કાટ ખાયેલી ફેક્ટરી ખરીદી. તેઓ ટોફી, બિસ્કિટ બનાવવાની કળા શીખવા જર્મની ગયા હતા અને ત્યાંથી એક વિશાળ, અત્યાધુનિક મશીન લઈને પાછા આવ્યા હતા.

ચૌહાણ પરિવાર મશીન ચલાવવાની મથામણમાં એટલો બધો વ્યસ્ત હતા કે તેઓ કંપનીનું નામ રાખવાનું જ ભૂલી ગયા! જ્યારે લોકો પૂછતા કે આ ટોફી ક્યાંથી આવી, ત્યારે તેઓ કહેતા કે ‘પાર્લેની ફેક્ટરી’માંથી. બસ, આ રીતે ‘પાર્લે’ બ્રાન્ડનો જન્મ આમ જનતાના ભરપૂર પ્રેમથી થયો.

કિસમી: ભારતની પહેલી ‘રોમેન્ટિક’ કેન્ડી
1960ના દાયકા પહેલાં ભારતનું કેન્ડી માર્કેટ મોર્ટન અને મેકિન્ટોશ જેવી બ્રિટિશ બ્રાન્ડના કબજામાં હતું. તેઓ મોંઘી લોઝેન્જીસ વેચતા, જે માત્ર અમીરો માટે હતી. ‘પાર્લે’એ સામાન્ય જનતા માટે કેન્ડી બનાવવાનું નક્કી કર્યું. તેમને સમજાયું કે ભારતીયોને માત્ર ખાંડ નહીં, પણ એલચી અને કેરામેલ (Caramel)નો સ્વાદ ગમે છે.
આથી તેમણે એક એવી ટોફી બનાવી જે દેખાવમાં અંગ્રેજી હતી પણ, તેનો આત્મા ભારતીય હતો. તેમણે તેનું નામ રાખ્યું ‘કિસમી’ (Kismi). આ નામ માત્ર ‘Kiss-Me’નો પર્યાય નહોતું, પણ યુવાનો માટે તે પશ્ચિમી અને ‘કૂલ’ લાગતું હતું, જ્યારે તેનો સ્વાદ 100 ટકા સ્વદેશી હતો.

પોપિન્સ એટલે મેલ્ટ-પ્રૂફ મેઘધનુષ
1960ના દાયકામાં જ પાર્લેએ ‘પોપિન્સ’ લોન્ચ કરી. ભારતીય ગરમીમાં રંગબેરંગી કેન્ડી ઓગળીને એક ચીકણું મિશ્રણ બની જતી હતી. પાર્લેના એન્જિનિયરોએ એક અનોખું ‘ડ્રાય-ગ્લેઝ’ કોટિંગ વિકસાવ્યું. આ ટેકનોલોજીને કારણે જામફળ, કાળી દ્રાક્ષ અને નારંગી જેવા 10 અલગ-અલગ સ્વાદ એક જ રોલમાં બાજુ-બાજુમાં હોવા છતાં એકબીજાને સ્પર્શ્યા વગર રહી શકતા. તે સાચ્ચે જ એક ‘કેમિકલ માર્વેલ’ હતું જે પેકિંગ વગર પણ કલાકો સુધી ગરમીમાં ટકી શકતું.

મેલોડી ઇતની ચોકલેટ ક્યો હૈ?!
1984 દાયકામાં મેલોડીએ ભારતીય બજારમાં પગ મૂક્યો અને થોડા જ સમયમાં બાળકોથી લઈને મોટા લોકો સુધીની પહેલી પસંદ બની ગઈ. આ ટોફીની ખાસિયત એ છે કે તેની બહાર કેરામેલની મીઠી પીતળી લેયર હોય છે અને અંદર ચોકલેટી ક્રીમ ભરેલી હોય છે. આ અનોખો સ્વાદ જ તેને બીજી ટોફીથી અલગ - અનોખી બનાવે છે. એક સમય હતો જ્યારે આ ટોફી માત્ર 50 પૈસામાં મળતી હતી. ભાવ વધ્યા છતાં આજે પણ ભારતમાં લગભગ દરેક દુકાન પર આ ટોફી માત્ર 1 રૂપિયામાં સરળતાથી મળી જાય છે.

અને બિસ્કિટ બન્યા દેશભક્તિનું પ્રતીક
1947માં ભાગલાના સમયે દેશમાં ઘઉંની ભારે અછત સર્જાઈ હતી. ચૌહાણ પરિવારે લોકપ્રિય ‘પાર્લે ગ્લુકો’ બિસ્કિટનું ઉત્પાદન અટકાવીને ફેક્ટરીમાં જવ (Barley) આધારિત બિસ્કિટ બનાવવાનું શરૂ કર્યું, જેથી કોઈ ભૂખ્યું ન રહે.

તેમણે કિંમતો એટલી ઓછી રાખી કે ગરીબમાં ગરીબ પણ તે ખરીદી શકે, ખાઇ શકે. જે બિસ્કિટ બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટિશ ઇન્ડિયન આર્મીના ફેવરિટ હતા, તે હવે ભારતની અડગતાનું પ્રતીક બન્યા. પાર્લેએ ભારતીયોને વિનંતી કરી કે જ્યાં સુધી ઘઉં પાછા ન આવે ત્યાં સુધી જવના બિસ્કિટથી ચલાવી લેવું. આ સેવાભાવને કારણે જ પાર્લે-જી આજે દુનિયામાં સૌથી વધુ વેચાતું બિસ્કિટ છે.

રહસ્યમયી બાળકી (The Ghost Girl)
દાયકાઓથી લોકો ચર્ચા કરે છે કે ‘પાર્લે-જી’ના પેકેટ પરની નાની છોકરી કોણ છે? કોઈ તેને નીરુ દેશપાંડે કહે છે તો કોઈ વળી સુધા મૂર્તિ ગણાવે છે. ઇન્ટરનેટર તેના અંગે જાતભાતની વાતો ફરે છે, પણ હકીકત તો એ છે કે તે કોઈ જીવતી વ્યક્તિ નથી. તે 1960ના દાયકામાં કલાકાર મગનલાલ દહિયા દ્વારા બનાવવામાં આવેલું એક ચિત્ર (Illustration) છે. તે ભારતીય બાળપણની નિર્દોષતાનું પ્રતીક છે.

આમ, પાર્લેનું સામ્રાજ્ય કોઈ એર-કન્ડિશન્ડ બોર્ડ રૂમમાં નહીં, પણ એવી રસોઈમાં બન્યું હતું જેણે બ્રિટિશ રેસિપી વાપરવાનો ઈન્કાર કરી દીધો હતો. લાલ અને સફેદ પેકિંગવાળી ‘કિસમી’ કે રંગબેરંગી ‘પોપિન્સ’ માત્ર કેન્ડી નથી, પણ એવા ‘ઔદ્યોગિક હથિયારો’ હતા જેણે પશ્ચિમને કહી દીધું: ‘અમારે તમારી ખાંડની જરૂર નથી, અમારી પાસે અમારી પોતાની મીઠાશ છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter