પ્રભુનું નામ લઇ

આપણી કવિતાનો અમર વારસો...

- હરજી લવજી દામાણી ‘શયદા’ Wednesday 11th June 2025 09:23 EDT
 
 

(જન્મઃ 24-10-1892 • નિધનઃ 30-06-1962)

હરજી લવજી દામાણી એટલે ‘શયદા’ના નામે અત્યંત લોકપ્રિય શાયર. શાયરોના શાયર કહી શકાય. એમને ‘ગઝલસમ્રાટ’નું બિરુદ મળેલું. નવલકથા પણ લખતા. માત્ર ચાર ચોપડીનું શિક્ષણ. કોઠાસૂઝ એમની કલમસૂઝ.

પ્રભુનું નામ લઇ

તમારા પગ મહીં જ્યારે પડ્યો છું;
હું સમજ્યો એમ – આકાશે ચડ્યો છું.
જતાં ને આવતાં મારે જ રસ્તે,
બની પથ્થર, હું પોતાને નડ્યો છું.
ઊછળતું દૂર ઘોડાપૂર જોયું,
અને પાસે જતાં ભોંઠો પડ્યો છું.
તમો શોધો તમોને એ જ રીતે,
હું ખોવાયા પછી મુજને જ્ડ્યો છું.
ખુશી ને શોક, આશા ને નિરાશા,
નિરંતર એ બધાં સાથે લડ્યો છું.
પરાજય પામનારા, પૂછવું છે –
વિજય મળવા છતાં હું કાં રડ્યો છું?
પ્રભુ જાણે કે મારું ઘર હશે ક્યાં?
અનાદિ કાળથી ભૂલો પડ્યો છું!
મને ‘શયદા’ મળી રહેશે વિસામો,
પ્રભુનું નામ લઈ પંથે પડ્યો છું.

•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter