મહાશિવરાત્રી: શિવજીએ વિષપાન કર્યું, જગતને અમૃતપાન કરાવ્યું

પર્વવિશેષઃ મહાશિવરાત્રી (18 ફેબ્રુઆરી)

Wednesday 15th February 2023 09:34 EST
 
 

મહાશિવરાત્રી ભગવાન શંકરના પૂજનનું આ સૌથી મોટું પર્વ છે. એવું માનવામાં આવે છે કે મહા વદ ચૌદશ (આ વર્ષે 18 ફેબ્રુઆરી) એટલે કે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શંકરનું રુદ્ર રૂપમાં અવતરણ થયું હતું. આ સિવાય પણ કેટલીયે કથાઓ મહાશિવરાત્રીના મહાપર્વ સાથે જોડાયેલી છે. કથા કોઈ પણ હોય, પરંતુ શિવજીને પ્રસન્ન કરવાનો શ્રાવણ માસ બાદ આ બીજો શ્રેષ્ઠ અવસર છે તે વાતનો ભાગ્યે જ કોઇ શિવભક્ત ઇન્કાર કરશે.

એક વાર માતા પાર્વતીએ ભગવાન ભોળાનાથને પૂછયું કે, ‘એવું તે કયું શ્રેષ્ઠ તથા સરળ વ્રત-પૂજન છે, જેનાથી મૃત્યુલોકનાં પ્રાણીઓ તમારી કૃપા સહજપણે પ્રાપ્ત કરી લે છે?’ આ પ્રશ્નના ઉત્તરમાં શિવજીએ પાર્વતીજીને મૃગ પરિવાર અને શિકારીની કથા કહી સંભળાવી.
શિકારી બીલીપત્રના વૃક્ષ ઉપર બેસીને શિકારની પ્રતીક્ષા કરી રહ્યો હતો. વૃક્ષ નીચે જ શિવલિંગ હતું. તેણે ભોજન કર્યું નહોતું તેથી ઉપવાસ થઈ ગયો અને બીલી તોડી-તોડીને નીચે નાખવાથી અનાયાસે જ બીલીપત્ર દ્વારા શિવજીની પૂજા પણ થઈ ગઈ અને શિકારની રાહ જોવામાં રાત્રિ જાગરણ પણ થઈ ગયું.
આ દરમિયાન શિકારીને એક મૃગ મળ્યું. તે બાણ ચલાવવા જાય તે પહેલાં મૃગે મૃત્યુ પૂર્વે પરિવારને આખરી વાર મળી લેવા માટેની અંતિમ ઇચ્છા વ્યક્ત કરી. સાથે સાથે જ તેણે શિકારીને વચન પણ આપ્યું કે તે પરિવારને મળીને અવશ્ય તેની પાસે પાછું ફરશે. આમ, એક એક કરીને ચાર મૃગનો પરિવાર ત્યાં આવી ગયો. દરેકને શિકારીએ તેમના શબ્દો પર ભરોસો મૂકીને વચન પર મુક્ત કર્યાં. છેલ્લે ચારેય મૃગનો પરિવાર પોતાનું વચન પાળવા શિકારી સમક્ષ હાજર થયો, પરંતુ પશુઓની આવી સત્યતા, વચનપાલન અને પ્રેમભાવના જોઈને શિકારીને ગ્લાનિ થઈ. તેનાં નેત્રોમાંથી આંસુઓ વહેવાં લાગ્યાં. તેણે મૃગ પરિવારનો શિકાર ન કરતાં, પોતે જીવ હિંસા છોડી દીધી. શિકારી દ્વારા અનાયાસે થયેલી શિવભક્તિથી પ્રસન્ન થઈને શિવજીએ શિકારી અને મૃગ પરિવારને મોક્ષ પ્રદાન કર્યો.
આમ મહાશિવરાત્રીનું વ્રત-પૂજન સૌથી શ્રેષ્ઠ છે. તેનાથી સરળતાથી કોઈ પણ મનુષ્ય ભોળાનાથ શંકરની કૃપા પ્રાપ્ત કરી લે છે.

ભગવાન શંકરના વિવાહનો ઉત્સવ
મહાશિવરાત્રીના ઉત્સવને ભગવાન શંકરના વિવાહનો ઉત્સવ માનવામાં આવે છે. મહાશિવરાત્રીના દિવસે જ મહાદેવે પાર્વતીજી સાથે એક ધ્યેયપૂર્ણ વિવાહ કર્યા હતા. શિવજીના પાર્વતીજી સાથે વિવાહ દેવોના સેનાપતિ કુમાર કાર્તિકેયના જન્મ માટે થયા હતા, તેમના હાથે જ તાડકાસુરનો વધ થવાનો હતો.
તાડકાસુરના વધ માટે શિવજીના પુત્રનું સેનાપતિત્વ અનિવાર્ય હતું. તેથી તપસ્યામાં લીન શિવજીના મનમાં પાર્વતી પ્રત્યે અનુરાગ ઉત્પન્ન કરવો જરૂરી હતો. તેથી કુમારના જન્મને શક્ય બનાવવા માટે દેવતાઓએ કામદેવને શિવજીના મનને હરવા માટે મોકલ્યા. કામદેવે દૂર ઊભા રહીને શિવજી પર પોતાનાં કામબાણ ચલાવ્યાં. તેનાથી શિવજીનું ધ્યાન તો ભંગ થયું સાથે પાર્વતીજીની સેવાનું પણ જ્ઞાન થયું. પાર્વતી પર કૃપા, સ્નેહ અને અનુરાગ તો ઉત્પન્ન થયા, પરંતુ કામદેવ પર ક્રોધ પણ આવ્યો. તેથી ક્રોધવશ તેમણે પોતાનું ત્રીજું નેત્ર ખોલીને કામદેવને બાળીને ભસ્મ કરી નાખ્યા. ત્યારબાદ રતિ અને દેવતાઓની પ્રાર્થના સાંભળી કામદેવને ફરીથી પોતાનું અસલી રૂપ પાછું આપ્યું.
શિવજીના મનમાં પાર્વતી પ્રત્યે જે અનુરાગ ઉત્પન્ન થયો તે અશરીર જ રહ્યો. આ જ આપણો જીવન આદર્શ છે. આ જ વાતના સ્મરણ માટે મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. વિવાહ એ માત્ર બે વ્યક્તિ કે પરિવારોનું જ મિલન નથી, પરંતુ સમગ્ર સૃષ્ટિમાં વ્યાપ્ત આસુરી શક્તિઓનો વિનાશ કરીને શુભ સંસ્કારોનું પોષણ કરવા માટે વિવાહ સંસ્કાર છે.

આત્માને નિર્મળ બનાવવાનું મહાવ્રત
હિન્દુ સંસ્કૃતિમાં મહાશિવરાત્રીને ભગવાન શંકરનો સૌથી પવિત્ર દિવસ માનવામાં આવે છે. મહાશિવરાત્રીને પોતાના આત્માને નિર્મળ બનાવવાનું મહાવ્રત માનવામાં આવે છે. મહાશિવરાત્રીનું વ્રત કરવાથી મનુષ્યનાં સમસ્ત પાપોનો નાશ થાય છે. વ્યક્તિમાં દયા, કરુણા જેવા ભાવો પેદા થાય છે. ઈશાન સંહિતામાં મહાશિવરાત્રીનો ઉલ્લેખ આ પ્રમાણે છે -
શિવરાત્રી વ્રતમ્ નામ સર્વપાપ્ પ્રણાશનમ્ ।
આચાણ્ડાલ મનુષ્યાણમ્ ભુક્તિ મુક્તિ પ્રદાયકં ।।
અર્થાત્ શિવરાત્રી નામનું વ્રત સમસ્ત પાપોનું શમન કરનારું છે. આ દિવસે વ્રત કરવાથી દુષ્ટ મનુષ્યને પણ ભક્તિ અને મુક્તિ મળે છે.
આમ તો શિવરાત્રી દરેક મહિનાની ચતુર્દશી તિથિએ હોય છે, પરંતુ મહા વદ ચૌદશને મહાશિવરાત્રી કહેવામાં આવી છે. શિવનો અર્થ છે કલ્યાણ કરવું. તેથી મહાશિવરાત્રીના દિવસે શિવજીની કૃપા મળે છે. ચંદ્રનો સીધો સંબંધ મનુષ્યના મન સાથે છે. ભૌતિક સંતાપ મનુષ્યને ચારે બાજુથી ઘેરી લે છે, માનસિક ચંચળતા, અસ્થિરતા અને અસંતુલનથી મનુષ્યને વિવિધ કષ્ટોનો સામનો કરવો પડે છે. ધર્મગ્રંથોમાં ચંદ્રને શિવજીના મસ્તક પર સુશોભિત જણાવાયો છે. જેને ભગવાન શિવની કૃપા મળી હોવાથી ચંદ્રદેવની કૃપા આપોઆપ મળી જાય છે. તેના ચંદ્ર સંબંધી દોષનું નિવારણ થાય છે. મહાશિવરાત્રીને શિવજીની ખૂબ જ પ્રિય તિથિ માનવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter