મા જગદંબાઃ સમગ્ર સૃષ્ટિના હિતકર્તા અને શક્તિદાતા

પર્વવિશેષઃ નવરાત્રિ (25 સપ્ટેમ્બર - 5 ઓક્ટોબર)

Wednesday 21st September 2022 07:41 EDT
 
 

શરદ ઋતુમાં આસો સુદ એકમથી દસમ (આ વર્ષે 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર) સુધી આવતો નવરાત્રિ મહોત્સવ આજે તો વિશ્વભરમાં પ્રચલિત છે. દુનિયાભરમાં જ્યાં જ્યાં ભારતીયો જઈને વસ્યા છે, ત્યાં ત્યાં ઉમંગ અને ઉત્સાહ સાથે આ પર્વ ઉજવાય છે. નવ દિવસના પર્વનો પ્રત્યેક દિવસ ‘નોરતા’ના નામે પ્રચલિત છે. નવરાત્રિના નવ દિવસ કોરી માટીના કાણાવાળા રંગબેરંગી ઘડામાં ઘીનો અખંડ દીવો અને રાત્રે માની આરતી સાથે રંગબેરંગી નરનારીઓ ગરબો ઘૂમે છે. ‘ગરબો’ શબ્દનું મૂળ ગર્ભ છે. માટી અને ઘડો સર્જનનાં પ્રતીકો છે.

આદ્યશક્તિ નવદુર્ગાનાં નવ સ્વરૂપ અને નવ નામ છે. માર્કંડ પુરાણમાં એવી કથા છે કે સ્વર્ગલોક અને પૃથ્વી પર હાહાકાર મચાવનાર મહિષાસુર નામના રાક્ષસનો પરાશક્તિ નવદુર્ગાએ નવ દિવસ સુધી યુદ્ધ કરીને સંહાર કર્યો. આ યુદ્ધમાં નવદુર્ગાની ઉગ્રતા વધતી જ ગઈ અને એની સાથે સાથે તેમનાં રૌદ્ર રૂપો પણ બદલાતાં ગયાં. એમનાં નવ સ્વરૂપો ચંડા, ચંડવતી, ચંડરૂપા, ચંડનાયિકા, રુદ્રચંડા, ચંડોગ્રા, પ્રચંડા, અતિચંડા અને ઉગ્રચંડાના નામે પ્રચલિત છે. તેમનાં નવ નામ પણ દુર્ગા, નીલદુર્ગા, રુદ્રદુર્ગા, અગ્નિદુર્ગા, રિપુરીદુર્ગા, જયદુર્ગા, જલદુર્ગા અને વિંધ્યવાસી દુર્ગા તરીકે જાણીતાં છે.

મહાતેજમાંથી નવદુર્ગાનું પ્રાગટ્ય
કહેવાય છે કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ ત્રણેય દેવોએ યોગબળથી મહાતેજ પ્રગટાવ્યું જેની તીવ્ર જ્યોતિમાંથી નવદુર્ગા પ્રગટ થયાં. એ ત્રિદેવે પોતાનાં ખાસ શસ્ત્રોની મહાન શક્તિ નવ દુર્ગાને આપી. વિષ્ણુના ચક્ર, શિવજીના ત્રિશૂળ, કુબેરની ગદા, વિશ્વકર્માના ફરસુ, વાયુનાં સૂર્યબાણ, વરુણના શંખ અને સાગરે આપેલી મોતીમાળાને ધારણ કરીને સિંહના વાહન પર આરુઢ થઈ જગદંબાએ નવ દિવસ સુધી મહિષાસુર સાથે યુદ્ધ કરી તેને હણી, ત્રણેય લોકને ભયમુક્ત કર્યાં. અંતે દૈવી શક્તિનો વિજય થયો. આપણે પણ આસુરી શક્તિની નાગચૂડમાંથી મુક્ત થવા નવેનવ દિવસ અખંડ દીપ પ્રગટાવીને મા જગદંબાની પૂજા કરી તેની પાસેથી શક્તિનું વરદાન માગીએ. સાત્વિક વૃત્તિના વિજય માટે શક્તિની ઉપાસના જરૂરી છે.

સત્ - અસત્ વચ્ચે સંઘર્ષ
અનાદિ કાળથી સત્-અસત્ વચ્ચે સંઘર્ષ ખેલાતો આવ્યો છે. આસુરી વૃત્તિએ દૈવી વૃત્તિ ઉપર વિજય મેળવવાના પ્રયત્નો વારંવાર કર્યા છે. આ સંઘર્ષમાં સાત્વિક વૃત્તિના વિજય માટે શક્તિની ઉપાસના કરવાનું જરૂરી બન્યું છે. વેદોમાં પણ શક્તિની ઉપાસનાનું મહત્ત્વ બતાવ્યું છે. પાંડવોને શક્તિની ઉપાસનાનું મહત્ત્વ સમજાવતાં મહર્ષિ વ્યાસે કહ્યું હતું. ‘જો તમારે ધર્મનાં મૂલ્યો ટકાવવાં હોય તો શક્તિની ઉપાસના કરવી પડશે.’ અર્જુનને પણ દિવ્ય શસ્ત્ર મેળવવા માટે સ્વર્ગમાં જવાનું સૂચન તેમણે જ કર્યું હતું.

ભક્તિ - ભાવનાનું કેન્દ્ર ‘શક્તિ’
નવરાત્રિના દિવસો દરમિયાન ગરબા કે રાસ રૂપે આપણે માની આસપાસ ઘૂમીએ છીએ. આપણી ભક્તિ અને ભાવનાનું કેન્દ્ર ‘શક્તિ’ હોય છે. માટીના ઘડામાં કાણાં કરી એ ઘડામાં દીવો મૂકી એની ઉપાસના કરવામાં આવે છે. એમાંથી પ્રગટતું તેજ આપણાં આંગણાને તેમજ અંતરને અજવાળે છે. અનિષ્ટ તત્ત્વો સામે દિવ્ય રટણની પ્રેરણા એ જ આપણી પ્રાર્થના બની જાય છે.
નવરાત્રિના નવ દિવસ માતાજીનો ગરબો અખંડ જલે છે. માટીનો આ ગરબો માનવ દેહનું પ્રતીક છે. પંચમહાભૂતનો બનેલો આ માનવદેહ માટીના ગરબા જેવો જ સ્થુળ છે, જડ છે. ગરબામાં જે છિદ્રો દષ્ટિગોચર થાય છે તે મનુષ્યની એકાદશ ઇન્દ્રિયો અને તેમાંથી વિવિધ રીતે પ્રગટ થતી વૃત્તિઓનું આડકતરી રીતે સૂચન કરે છે. ગરબાની અંદર જલતી જ્યોત ચૈતન્યતત્ત્વ અથવા શક્તિનું પ્રતીક છે. આ દિવ્યજ્યોતની તેજસ્વી પળો પ્રકાશતી હશે તો જ ઇન્દ્રિયોરૂપી છિદ્રો અને પ્રજ્વલિત પ્રકાશનું વહન કરી શકશે અને તો જ ગરબારૂપી દેહની ચોતરફ તેજની આભા પ્રગટ થશે. નવરાત્રિ વ્રત દરમિયાન આ જ્યોત ઝાંખી ન પડે કે બુઝાઈ ન જાય તેનું ધ્યાન રાખવું જોઈએ.

ગુજરાતમાં નવરાત્રિ, બંગાળમાં દુર્ગાપૂજા
ગુજરાતમાં નવરાત્રિના નામે ઓળખાતો આ તહેવાર બંગાળમાં દુર્ગાપૂજા કહેવાય છે. દુર્ગાપૂજા એ નવરાત્રિની સાથે બંગાળમાં અવિનાભાવે સંકળાયેલી છે. માત્ર બંગાળમાં રહેતા બંગાળીઓ જ નહિ, પરંતુ દુનિયાભરમાં કોઈ પણ સ્થળે રહેતા બંગાળીઓ આ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. દુર્ગાની શક્તિશાળી અને સુંદર છબી આપણી આંખ સામે આવે છે. એનું વાહન સિંહ છે. એના દશ હાથમાં દશ યુદ્ધનાં શસ્ત્રો છે. એમનું ત્રિશૂળ પાડાની એક તરફ ઘૂસાડેલું હોય છે. એ પાડાના શરીરમાંથી અનિષ્ટના પ્રતીક જેવો મહિષાસુર પ્રગટે છે, જેને માત્ર ઇષ્ટ તત્ત્વ કે દૈવી શક્તિ જ હણી શકે. દેવીના માથા ઉપર શિવની નાની આકૃતિ હોય છે, જે દેવીના પતિ અને ઇષ્ટ તત્ત્વના પ્રાણરૂપ છે. આ દેવીની સાથે સાથે એમનાં ચાર સંતાનો પણ હોય છે. વિદ્યાદેવી સરસ્વતી, સમૃદ્ધિની દેવી લક્ષ્મી, સફળતાના સ્વામી ગણેશ અને પવિત્રતા તથા યુદ્ધના દેવ કાર્તિકેય એમનાં ચાર સંતાનો છે. ગણપતિ વિસર્જનની જેમ દુર્ગામાતાનું પણ દશમીને દિવસે ધામધૂમથી વિસર્જન થાય છે.

આર્યોના આગમન પૂર્વે ભારતમાં વસતા દ્રાવિડોમાં માતૃપ્રધાન સંસ્કૃતિ હતી, જેમાં સ્ત્રીને અનન્ય મહત્ત્વનું સ્થાન હતું. નવરાત્રિનો ઉત્સવ આપણને માની અનન્ય શક્તિની યાદ અપાવે છે. ‘મધુ’ અને ‘કૈટભ’ જેવા રાક્ષસોને વિષ્ણુએ મહાકાળીની સહાયથી હણ્યા. બધા દેવોને સ્વર્ગની બહાર કાઢી મૂકનાર મહિષાસુર જેવા માયાવી રાક્ષસને માતા મહાલક્ષ્મીએ એકલા હાથે હણ્યા. તેમ જ ‘શુંભ’ અને ‘નિશુંભ’ જેવા ગર્વિષ્ઠ રાક્ષસોનો ઉચ્છેદ મહાસરસ્વતીએ કર્યો. સર્જન, રક્ષણ અને વિનાશનાં ત્રણેય કાર્યો શક્તિ એકલી જ કરી શકે તેથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશથી શક્તિનું સ્વરૂપ પર છે.
નવરાત્રિનું વ્રત એટલે જીવનની દિશા પલટાવતું પરમ વ્રત. આ વ્રતની ઉજવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય કેવળ પરમ શક્તિને પામવાનો બની રહેવો જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter