વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 વર્ષના શાનદાર શાસનકાળમાં સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસનું સુત્ર સુપેરે સાર્થક કરી બતાવ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નમૂનેદાર કામગીરી કરનાર નરેન્દ્ર દામોદરદાસ મોદીએ 26 મે 2014ના રોજ દેશની શાસનધૂરા સંભાળી ત્યારે તેમની સજ્જતા-ક્ષમતા અને રાજકીય કૂનેહ અંગે અનેકના મનમાં શંકા-કુશંકા હતી, પરંતુ હીરાબાના આ પુત્રે એક નેતા તરીકે એવું નમૂનેદાર કામ કરી દેખાડ્યું કે આજે તેઓ કરોડો ભારતીયોના હૃદયમાં બિરાજે છે. કાળું નાણું, ગંદકી, પ્રદૂષણ, કરચોરી જેવા દેશમાં ફેલાયેલા ‘દુશ્મનો’ને નાથવાની વાત હોય કે પછી પાડોશી દેશમાં પોષાતા આતંકવાદ જેવા દુશ્મનોને પાઠ ભણાવવાની વાત હોય, દરેક વખતે તેમણે એવો આગવો અને અસરકારક અભિગમ અપનાવ્યો કે સહુકોઇને તેની નોંધ લેવી પડી છે. આજે વિશ્વતખતે ભારતનું નામ ગાજી રહ્યું છે તેનો યશ નરેન્દ્રભાઇની રાજદ્વારી કૂનેહને આપવો રહ્યો.
26 મે 2014 અને 26 મે 2025
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ સોમવાર - 26 મેના રોજ પહેલી વખત ગુજરાત મુલાકાતે પહોંચ્યા, અને વડોદરા આગમન થયું ત્યારે પ્રચંડ ઉમંગ-ઉલ્લાસ સાથે તેમનું સ્વાગત થયું હતું. આ જ વડોદરાની લોકસભા બેઠક પરથી તેઓ પહેલી વખત સંસદમાં ચૂંટાયા હતા, અને દેશનું નેતૃત્વ સંભાળ્યું હતું તેથી વડોદરાવાસીઓનો ઉત્સાહ સમજાય તેવો છે. પરંતુ બીજી હકીકત એ પણ છે કે નરેન્દ્ર મોદીએ 2014ની આ જ 26 મેના રોજ પહેલી વાર વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. જો આ રીતે જોવામાં આવે તો મોદી 26 મે - સોમવારે વડોદરા પહોંચ્યા તે જ દિવસે તેમણે વડાપ્રધાનપદે 11 વર્ષ પૂર્ણ કર્યા હતા.
2014માં લોકસભા ચૂંટણી જીત્યા બાદ નરેન્દ્ર મોદી વડોદરામાં પ્રચંડ જાહેર સભાને સંબોધીને પછી દિલ્હી જવા રવાના થયા હતા, અને શપથગ્રહણ કરી વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તે વેળા, નવનિયુક્ત વડાપ્રધાન તરીકે હજુ તેમને દેશના વિકાસને આકાર આપવાનો હતો, જ્યારે આ વખતે તેઓ ગુજરાત આવ્યા ત્યારે અધધધ 80,000 કરોડ રૂપિયાના વિકાસકાર્યોની ભેટ આપીને ગયા છે. આમ વડોદરાથી શરૂ થયેલા અને દાહોદ, અમદાવાદ, ભુજ, ગાંધીનગરને આવરી લેતા ગુજરાતના બે દિવસના ઝંઝાવાતી પ્રવાસમાં એક નવું સીમાચિહન અંકિત થયું એમ કહી શકાય. આ એક સંયોગ જ કહી શકાય કે બરાબર 11 વર્ષ પછી નરેન્દ્ર મોદી ફરી એક વાર વડોદરા પહોંચ્યા હતા, જ્યાં આ વખતે ઓપરેશન સિંદૂર માટે તેમનું ભવ્ય સ્વાગત થયું હતું.
ઉલ્લેખનીય છે કે મોદી ભારતના સૌથી પહેલા એવા વડાપ્રધાન છે જે આઝાદી પછી જન્મ્યા છે. તેમણે બીજી વખત 30 મે 2019ના રોજ જ્યારે 9 જૂન 2024ના રોજ ત્રીજા કાર્યકાળ માટે શપથ લીધા હતા. 26 મે, 2014ના રોજ રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં આછા સોનેરી કુર્તા અને આત્મવિશ્વાસપૂર્ણ ચહેરા સાથે નરેન્દ્ર મોદીએ દેશના 14મા વડાપ્રધાન તરીકે શપથ લીધા. એ દિવસ ઐતિહાસિક હતો, કારણ કે ગુજરાતના એક નાના શહેરથી દેશના વડાપ્રધાન બનવા સુધીની સફર સરળ નહોતી. જોકે આજે બિનકોંગ્રેસી વડાપ્રધાન તરીકે સૌથી લાંબો સમય શાસન કરવાનો વિક્રમ તેમના નામે નોંધાયેલો છે.
વીતેલા 11 વર્ષમાં ઘણું બદલાયું...
નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે 11 વર્ષ પહેલાં દિલ્હીથી શરૂ કરેલી યાત્રા આજે વૈશ્વિક ઓળખ બની છે. આ 11 વર્ષમાં દેશની નીતિઓ બદલાઈ છે, ભારતનો અને દુનિયાનો એકમેક પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાયો છે. આજે ભારતના અભિપ્રાયનું વજન પડે છે, વિશ્વતખતે તેના શબ્દોની નોંધ લેવાય છે તે નાનીસૂની સિદ્ધિ નથી. અલબત, દેશની નીતિરીતિના મામલે ઘણા મુદ્દે પ્રશંસા થઇ હશે તો કેટલાક મુદ્દે ટીકા કે મતભેદ પણ સર્જાયા હશે, પણ ભારત ઝડપભેર વિકાસપંથે પ્રગતિ કરતું રહ્યું છે તેનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરી શકશે. આજે ભારતના અર્થતંત્રે જાપાનને પાછળ રાખીને વિશ્વના ચોથા સૌથી મોટા અર્થતંત્ર તરીકે ઓળખ મેળવી છે તે સિદ્ધિ નાનીસૂની નથી.
...પરંતુ આમાં કોઇ બદલાવ નથી!
વીતેલા 11 વર્ષમાં - નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં - દેશમાં ભલે ઘણુંબધું બદલાઇ ગયું હોય, પરંતુ ‘કેટલીક બાબતો’માં રતિભાર બદલાવ જોવા મળ્યો નથી! અને આ કેટલીક બાબતો એટલે નરેન્દ્ર મોદીનો આત્મવિશ્વાસ, મક્કમતા, દૃઢતા, વિઝન. એક વખત નિર્ણય લેવાય ગયા બાદ ગમેતેવા પડકારજનક સંજોગો સર્જાય તેમને પીછેહઠ પસંદ નથી. પછી આ વાત કાશ્મીરને વિશેષાધિકાર આપતી કલમ 370ની નાબૂદીની હોય કે ટ્રિપલ તલાક હોય કે જીએસટીના અમલની વાત હોય. દરેક નિર્ણય તેમણે દૃઢતાથી લાગુ કર્યા છે. દૂરંદેશીભર્યો અભિગમ અને હંમેશા પડકારમાં અવસર નિહાળવાની કૂનેહ. કદાચ આ જ પરિબળો તેમને અન્ય રાજનેતાઓ કરતાં મુઠ્ઠીઊંચેરા સાબિત કરે છે.
•••
11 વર્ષમાં 11 સીમાચિહન
• જનધન યોજના: 2014માં શરૂ થયેલી આ યોજના દેશના કરોડો ગરીબ લોકોને બેંકિંગ સિસ્ટમ સાથે જોડવાનું માધ્યમ બની. પહેલીવાર મોટી વસતિને બેંક ખાતા, વીમો અને નાણાકીય સમાવેશનો સીધો લાભ મળ્યો.
• સ્વચ્છ ભારત મિશન: ગાંધીજીના સ્વપ્નને સાકાર કરવા માટે સ્વચ્છતાને એક ચળવળ બનાવી. 10 કરોડથી વધુ શૌચાલય બનાવાયાં અને ખુલ્લામાં શૌચ કરવાના દરમાં ભારે ઘટાડો થયો.
• જીએસટીનો અમલ: વિવિધ કર નાબૂદ કરવાથી સમગ્ર દેશ ‘એક રાષ્ટ્ર, એક કર’ની નીતિ હેઠળ આવ્યો. આનાથી વ્યવસાય પ્રક્રિયા સરળ બની અને કરપ્રણાલી પારદર્શક બની.
• આયુષ્માન ભારત: ઓછી આવક ધરાવતાં અને 70 વર્ષથી મોટી વયના નાગરિકો માટે 5 લાખ રૂપિયા સુધીનો આરોગ્ય વીમો આપતી વિશ્વની સૌથી મોટી સરકારી આરોગ્ય યોજના. કરોડો લોકોને હોસ્પિટલમાં મફત સારવાર મળી.
• ડિજિટલ ઇન્ડિયા: આધુનિક ટેક્નોલોજીને જનતા સુધી પહોંચાડી. યુપીઆઇ, ડિજીલોકર, ડિજિટલ પેમેન્ટ જેવા પ્લેટફોર્મ સામાન્ય નાગરિકના જીવનનો એક ભાગ બની ગયા છે.
• ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તેજી: એક્સપ્રેસવે, રેલવે, એરપોર્ટ અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ. ભારતમાં દરરોજ સરેરાશ 37 કિમી હાઇવેનું નિર્માણ.
• આંતરરાષ્ટ્રીય માન્યતા: નરેન્દ્ર મોદીએ વિદેશનીતિને એક નવું પરિમાણ આપ્યું. યુએનથી લઈને અમેરિકા, જાપાન અને યુએઈ સુધી ભારતની વૈશ્વિક છબિ મજબૂત બનાવી.
• આત્મનિર્ભર ભારત અભિયાન: કોવિડ-19 પછી આત્મનિર્ભરતાને વિકાસનો મંત્ર બનાવવામાં આવ્યો. સ્થાનિક ઉત્પાદન અને મધ્યમ અને લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન.
• કલમ 370ની નાબૂદી: જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 દૂર કરીને મોદી સરકારે એક મોટો ઐતિહાસિક નિર્ણય લીધો.
• રામ મંદિરનું નિર્માણ: સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની પ્રક્રિયાનું નેતૃત્વ કર્યું. એને શાંતિપૂર્ણ અને ગૌરવપૂર્ણ બનાવ્યું.
• નારીશક્તિ અને કાયદો: ટ્રિપલ તલાક કાયદો, લશ્કરી સેવામાં મહિલાઓનો પ્રવેશ અને બેટી બચાવો, બેટી પઢાઓ જેવાં અભિયાનો દ્વારા મહિલા સશક્તીકરણને પ્રાથમિકતા આપવામાં આવી.