- શાંતિ પમાડે તેને સંત કહીએ
- બાપુ ગાયકવાડ
(જન્મઃ ઈ.સ. 1777 - નિધનઃ 1843)
બાપુ મહારાજ કે બાપુ સાહેબ તરીકે ઓળખાતા જ્ઞાનમાર્ગી કવિ.
•
શાંતિ પમાડે તેને તો સંત કહીએ;
એના દાસના તે દાસ થઈને રહીએ રે... ભાઈ રે શાંતિ.
કલ્પવૃક્ષ સેવ્યે દારિદ્ર રહ્યું ઊભું;
ત્યારે તેના તો ગુણ શીદ ગાઈએ રે?... ભાઈ રે શાંતિ.
રાજાની ચાકરી નિત્ય રહી ઊભી;
ત્યારે પારકી તો વેઠ શીદ વહીએ રે?... ભાઈ રે શાંતિ
વિદ્યાનું મૂળ જ્યારે પૂરું ના ભણાવ્યું,
ત્યારે પંડ્યાનો માર શીદ ખાઈએ રે?... ભાઈ રે શાંતિ.
લીધો વળાવો ને લૂંટવા રે લાગ્યો;
ત્યારે તેની સંઘાતે શીદ જઈએ રે?... ભાઈ રે શાંતિ.
વૈદ્યનો સંગ કરે રોગ રહ્યો ઊભો;
ત્યારે વૈદ્યની તે ગોળી શીદ ખાઈએ રે?... ભાઈ રે શાંતિ.
કીધી બાંધણી ને માથું વઢાવે;
ત્યારે તેને તે ઘેર શીદ જઈએ રે?... ભાઈ રે શાંતિ.
નામ અનામ સદ્ગુરુ બતાવ્યું;
તે નામ ચોંટયું છે મારે હઈયે રે?... ભાઈ રે શાંતિ.
બાપુ તેની કાયા તો નરવો સ્નેહ છે;
અમે એવા સ્વામીને લેઈને રહીએ રે?... ભાઈ રે શાંતિ.
•••