મેં ગત બે દાયકા દરમિયાન ઘણી વખત લખ્યું છે કે મારી માન્યતા અનુસાર ભારત હજુ ગુલામ રાષ્ટ્ર છે. તેની માનસિકતામાં ગુલામ છે, તેની જ્યુડિશિયલ સિસ્ટમમાં ગુલામ છે, તેના ઊર્જાસ્રોતોમાં ગુલામ છે, તેના સંરક્ષણમાં ગુલામ છે, તેના વૈશ્વિક બજારના સ્થાનમાં ગુલામ છે, તેની ડિપ્લોમસીમાં ગુલામ છે અને તેના ભૂતકાલીન સામ્રાજ્યવાદી માસ્ટર્સના પાલતુઓને રીઝવવામાં ગુલામ છે.
વડા પ્રધાન મોદીના એક દાયકા પછી પણ ઈન્ડિયાએ સાચા અર્થમાં સંપૂર્ણ આઝાદી તરફનું આખરી કદમ લીધું નથી. ભારત આગેકૂચ કરીને તેની સાચી પ્રકૃતિ એટલે કે ભારત હોવા તરફ આગળ વધે તેવો સમય આખરે આવી ગયો છે? જ્યારે પાકિસ્તાનના ઈશારાઓ પર નાચતા આતંકવાદીઓએ 22 એપ્રિલે પહેલગામમાં ભારતના નિર્દોષ નાગરિકો પર ક્રૂર હુમલો કર્યો ત્યારે કદાચ તેનાથી દાયકાઓ સુધી વિલંબિત રહેલા માર્ગસુધારાને ગતિશીલ બનાવવાની શરૂઆત થઈ હોય. ઓપરેશન સિંદૂર ભારતનો પ્રત્યાઘાત હતું. જ્યારે સમગ્ર દેશ અને વિશ્વમાં પણ ઘણા બધાએ વિચાર્યું કે સંપૂર્ણ યુદ્ધ હાથવેંતમાં છે જે વાસ્તવમાં ઈન્ડિયાના વ્યૂહાત્મક લક્ષ્યાંકોને સુસંગત અંકુશિત આક્રમણ બની રહ્યું.
તેના થકી ભારતે આ તકો હાંસલ કરી લીધીઃ
1. ઈચ્છાનુસાર પાકિસ્તાનમાં છેક અંદર હુમલો કરવો.
2. પાકિસ્તાનમાં ઘૂસી જઈ લક્ષ્યાંકિત ત્રાસવાદી છાવણીઓ પર હુમલા કરવા.
3. મુખ્ય આતંકવાદી નેતાઓને ખતમ કરવા.
4. પાકિસ્તાની આર્મીના ઘણા થાણાઓ ઉડાવી દેવા.
5. તેની ન્યુક્લીઅર ફેસિલિટીઝના આંગણે જ હુમલા કરવા.
6. ઈન્ડિયાની સંરક્ષણ વ્યવસ્થાની તાકાત દર્શાવી.
7. સ્વદેશી મિસાઈલ સિસ્ટમ્સનું પ્રદર્શન કરવું.
લડાઈ અચાનક બંધ થઈ જવાથી ઘણા લોકોને ગૂંચવણો સર્જાઈ અને પાકિસ્તાને તેનો લાભ લઈ પોતાની અભેદ્યતા વિશેની બડાશો હાંકવા માંડી હતી. હકીકત છે કે પાકિસ્તાનના જૂઠાણાંથી મૂર્ખ બની જાય તેવા લોકો પણ વિશ્વમાં છે. બીજી તરફ, ભારતે પોતે શું કર્યું હતું તેના સાબિત કરી શકાય તેવા પુરાવા ગણતરીના દિવસોમાં જ જાહેર કરી દીધા. મોટા ભાગે આ અન્ય સરકારોને સંકેતો મોકલવા માટે જ હતા. આનાથી પણ મોટો સંકેત એ રહ્યો કે અમેરિકાએ આજીજી કરવાથી જ યુદ્ધવિરામ થયો હતો. હા, તમે બરાબર વાંચી રહ્યા છો.
અહીં જ પ્રેસિડેન્ટ ટ્રમ્પે તેમની મોટી ભૂલ કરી નાંખી. તમે જુઓ છો કે ટ્રમ્પ અમેરિકાની અંદર ઉથલપાથલ કરી નાખે તો કોને દરકાર છે? જ્યારે ટ્રમ્પ યુક્રેન, ઈયુ, રશિયા, ઈરાન અને અન્યત્ર ઉથલપાથલ કરી નાખે તો કોને દરકાર છે? ટ્રમ્પ તેમના ઉશ્કેરણીજન્ય વ્યવહાર, મોટી બડાશો સાથેના બખાળા અને પોતાને વિશ્વનેતા જાહેર કરતી ઘોષણાઓ અને પોતાના અહંકારી વર્તન માટે ઘણા જાણીતા છે. આ તો ટ્રમ્પ છે, તમે તેવા માણસને બદલી શકતા નથી. એ જે કાંઈ કરે, જે કાંઈ કહે તેને તમારે મીઠાંની મોટી ચપટી સાથે લેવું પડે. એક સારી બાબત એ છે કે તેઓ ચોક્કસપણે પશ્ચિમમાં દરેકને પોતાની પૂંછડીઓ સંતાડવામાં વ્યસ્ત રાખે છે. તેઓ ભારત માટે સારી ખલેલ બની રહે છે. બાઈડેન અને મળતિયા કાવતરાખોર ડેમોક્રેટ્સથી વિપરીત ટ્રમ્પ તદ્દન નિરંકુશ આખલા જેવા છે જેમને તમે માઈલ દૂરથી પણ સાંભળી અને નિહાળી શકો છો. તમારે માત્ર તેમને બરાબર રમાડવાના રહે છે.
આ જ એ મુદ્દો છે જ્યારે ઈન્ડિયાએ ભારત બનવાનું રહે છે. ભારતે અમેરિકી પ્રેસિડેન્ટના માર્ગો પર ચાલવાની જરૂર નથી. ભારત કુટનીતિ વાપરી તેમને તેમનું સ્થાન બતાવી શકે છે. વધારે મહત્ત્વનું તો એ છે કે ભારતે સામાન્ય રાજદ્વારી કુનેહને ખાડામાં નાંખી તેમને પોતાનું સ્થાન બતાવી દેવું જોઈએ. દાદાગીરીનો સામનો કરવાની એક જ રીત તેના નાક પર અવારનવાર જોરથી મુક્કો મારવાની છે. આ તેમને પસંદ પડશે.
ભારતે પણ થોડી કૂટનીતિ અજમાવી છે. ટુંક સમયમાં તેઓ વિશ્વના અગ્રણી દેશોમાં પ્રતિનિધિમંડળો મોકલી રમતની પરિસ્થિતિથી માહિતગાર કરશે. આ બરાબર છે પરંતુ, આ બ્રીફિંગ કોથળામાં પાંચશેરીના વજન સાથે માથે મરાય તો જ તે બરાબર કામ કરશે. અને ઘણી વખત તમારે સ્પષ્ટ સંકેત મોકલવા માટે કેટલાક માથાં ભાંગવા જ પડે છે. ભારત માટે આ સમય શરમાળ કે બીકણ બની રહેવાનો નથી. જો આમ થશે તો પુરાણા ઈન્ડિયા બની રહેવું પડશે. એવો દેશ જે હજુ ગુલામીના ભૂતકાળના આગવા રાક્ષસોની ચુંગાલમાં ફસાયેલો છે.
સમગ્ર વિશ્વ એક પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે. ભારતે અંદરથી એકસંપ અને બહારથી તાકાતવર બની રહેવાની જરૂર છે. તેણે કોઈ પણ રાષ્ટ્રવિરોધી એજન્ડાનો સામનો કઠોરતાથી કરવાની જરૂર છે. તેણે ભારત સાથે પહોંચ ધરાવતી તુર્કિશ કંપનીઓને ફગાવી દેવાનું શરૂ કર્યું છે. ભારતના કોઈ પણ સંવેદનશીલ વિસ્તારોમાં કોઈ વિદેશી એકમ પહોંચી શકે તેવી પરવાનગી કોઈ દેશ કેવી રીતે આપી શકે તે મારી સમજની બહાર છે. શું આપણે શીખ્યા નથી કે પશ્ચિમ અને હવે પૂર્વમાં પણ દેશો મહત્ત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ પર નિયંત્રણો ધરાવતા હોવાથી આપણને દબાવી શકે છે? ઈન્ડિયાએ જો સાચા ભારત બનવું હશે તો પોતાના સનાતની આત્માને ઢંઢોળવાની જરૂર છે. તેણે ભારતીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સના કોઈ પણ પાસા પર પરોક્ષ અથવા પ્રત્યક્ષ નિયંત્રણો ધરાવતા તમામ બાહ્ય પરિબળોને ધરમૂળથી દૂર કરવાની જરૂર છે. તેણે ભારતને નીચાજોણું કરાવવાનું ષડયંત્ર રચતા કોઈ પણ વિદેશી એકમ સાથે સંપર્ક ધરાવતા કોઈ પણ NGO (શું તમે જાણો છો કે આશરે 3.3 મિલિયન NGO છે)ને નાબૂદ કરવાની જરૂર છે. કેન્સરની વાઢકાપ કરવાનો તેમજ આક્રમકોના નેરેટિવ્ઝ અને પ્રભાવના કોઈ પણ આખરી અવશેષોને ખતમ કરવા સમગ્ર દેશને કીમોથેરાપી અને રેડિયોથેરાપીથી આવરી લેવાનો સમય પાકી ગયો છે.
ઈન્ડિયા માટે તો વ્હાઈટ હાઉસમાંથી ટ્રમ્પના બખાળા જ છે. તેના નકામા વાણી, વર્તન, વ્યવહારને આવકારી તમારા લાભ માટે ઉપયોગમાં લઈ લેવાય. તેણે દર્શાવ્યું છે કે તે કોઈના મિત્ર નથી. તેને કોઈ ધારાધોરણોની દરકાર નથી. તેમની પાસે ત્રણ વર્ષનો સત્તાકાળ છે જે સમયગાળામાં તેમનો પરિવાર અને મિત્રો બિલિયન્સ ડોલર્સની કમાણી કરી લેશે. આ તેમની આખરી રમત છે. ભારતની આખરી રમત મોટી છે અને લાંબા સમયગાળાની છે. જોકે, તેણે વહેલી તકે પાકિસ્તાનને વેરવિખેર કરી નાખવું પડશે જેથી ભારતને ફરી મહાન બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય.
શું ઈન્ડિયા ભારત બની શકશે? હા તે અવશ્ય બની શકે પરંતુ, તમામ પ્રકારની દાદાગીરીનો સામનો કરવા કરવા તે પોતાની વિરાસતમાંથી આત્મશ્રદ્ધા અને શક્તિ મેળવી શકે તો આ થઈ શકશે.