- સમજણ વિના રે
- અખો
- નરસિંહના પ્રભાતિયાં, મીરાંના પદ તેમ અખાના છપ્પા. અખો જ્ઞાનમાર્ગી કવિ છે. ભક્તિભાવના પ્રભાવ હેઠળ ઘણું લખાયું, અખાનો વિરોધ ભક્તિ કે ધર્મ સામે નથી; પણ વિરોધ ધર્મ ઢોંગીઓ સામે છે. એની વાણીમાં સવીર્યતા અને તેજાબ છે. એ તો એવી ભક્તિના પંખીને સ્વીકારે કે જ્ઞાન, વૈરાગ્ય જેની બે પાંખ હોય.
સમજણ વિના રે...
સમજણ વિના રે સુખ નહીં જંતને રે;
વસ્તુગતિ કેમ કરી ઓળખાય;
આપમાં દીસે છે આપનો આતમા રે,
તેણે કાંઈ જીવપણું નવ જાય.
રવિ રવિ કરતાં રે રજની નહિ મટે રે,
અંધારૂં તો ઉગ્યાં પૂંઠે જાય;
રુદે રવિ ઉગે રે નિજ ગુરુજ્ઞાનનો રે,
થનાર જે હોય તે સહેજે થાય.
જળ જળ કરતાં તૃષ્ણા નવ ટળેરે,
ભોજન કહેતાં ન ભાગે ભૂખ;
પ્રેમરસ પીતાંરે તૃષ્ણા તુરંત ટળે રે,
એમ મહાજ્ઞાનીઓ બોલે છે મુખ.
પારસમણી વિનારે જે પથરા મળે રે,
તેણે કાંઈ કાંચન લોહ ન થાય;
સમજણ વિનારે જે સાધન કરે રે,
તેણે કાંઈ જીવ પણું નવ જાય.
દશ મણ અગ્નિરે લખિયે કાગળે રે,
એને લઈ રૂમાં જો અલપાય;
એની અગ્નિથી રૂ નથી દાઝતું રે,
રતી એક સાચે પ્રલય જ થાય.
જીવપણું મટે રે અનહદ ચિંતવ્યે રે,
એ તો વાણી રહિત છે રે વિચાર;
જે જે નર સમજ્યા રે તે તે તો ત્યાં સમ્યા રે,
કહે અખો ઊતર્યા પેલે પાર.
•••