(લેખકનો પરિચયઃ
પ્રા. ચંદ્રકાન્ત પટેલઃ અવિરત યાત્રી
પ્રા. ચંદ્રકાન્ત પટેલે વિશ્વના 65 દેશોનો પ્રવાસ કર્યો છે, જેમાં 33 જેટલા દેશોમાં પરિવારોમાં રહ્યા છે. આવા વિરલ યાત્રી જીવનના નવ દશકા વટાવી ચૂક્યા છે છતાં તેમના પ્રવાસ અને યાત્રા અવિરત રહ્યાં છે. દરિયાપાર વસતા ગુજરાતીઓને તેમના દેશમાં, તેમના ઘરે કે ઓફિસે મળીને જે વિપુલ પ્રમાણમાં તેમણે લખ્યું છે એટલું ગુજરાતી ભાષામાં બીજાએ લખ્યું હોય તેવો ખ્યાલ નથી. ભારતીય સંસ્કૃતિના ચાહક અને અભ્યાસી પ્રા. પટેલનાં 115 જેટલા પુસ્તકો પ્રગટ થયાં છે. જુદાં જુદાં અખબારો અને સામયિકોમાં તેમની કોલમ અંતર્ગત હજારો લેખો છપાયા છે અને છપાતા રહ્યાં છે. કેટલાક વર્ષ તેમણે ‘ગુજરાત સમાચાર’ સાપ્તાહિકમાં પણ કોલમ લખી હતી. રાષ્ટ્રવાદી વિચારો, ગુણદર્શન અને મહિમામંડન એ તેમની આગવી ઓળખ છે. તેનાં લખાણોથી દુનિયાના કેટલાક દેશોમાં વસતા ગુજરાતી પરિવારો તેમની સાથે મૈત્રીનો નાતો ધરાવે છે. ગુજરાતમાં ઈઝરાયેલને લેખો અને પ્રવચનો દ્વારા જાણીતું કરવામાં તેમનું આગવું પ્રદાન છે. તેમની મારફત એકાદ ડઝન વ્યક્તિઓ ત્યાંની સંસ્થાઓ કે સરકારના ખર્ચે ઈઝરાયેલ પહોંચીને અભ્યાસ કરી શકી હતી. ઉપરાંત 100 કરતાં વધારે વ્યક્તિઓને ઈઝરાયેલના કિબુત્ઝમાં છ અઠવાડિયાં રહેવા, જમવાની સગવડ મળી હતી. પ્રા. ચંદ્રકાન્ત પટેલ 1973માં ઈઝરાયેલના વિદેશ ખાતાના આમંત્રણથી ઈઝરાયેલ ગયા હતા. 1975માં ગુજરાત સરકારે તેમના ‘ઈઝરાયેલ’ પુસ્તકને પારિતોષિકથી નવાજ્યું હતું. ચંદ્રકાન્ત પટેલ છેલ્લા ત્રણ દસકા કરતાં ય વધુ સમયથી તેમનાં પુત્રો સમીર / હેતલ અને પત્ની વર્ષાબહેન સાથે અમેરિકા રહે છે.)
•••
દુનિયામાં ઝડપથી ઈસ્લામીકરણ થતું જાય છે. આજે 50 દેશોમાં મુસ્લિમોની બહુમતી છે. જોકે, મુસ્લિમ રાષ્ટ્રોના સંગઠનમાં 57 દેશો છે. ખ્રિસ્તીઓની મિશનરી પ્રવૃત્તિ છતાં વિશ્વમાં મુસ્લિમો વધતા જાય છે. 1951માં ભારતમાં હિંદુ 84 ટકા હતા આજે 74 ટકા છે. 1947માં ભાગલા પછી માત્ર ત્રણેક કરોડ મુસ્લિમ હતા આજે 30 કરોડથી વધુ છે. કોંગ્રેસે બિનસાંપ્રદાયિકતાને નામે આજે પણ મુસ્લિમોને જ પોષવાનું અને હિંદુઓને રોહિંગ્યા, બાંગ્લાદેશી અને અન્ય દેશોમાંથી આવતા મુસ્લિમોને મદદગાર અને રક્ષક થવાનું કામ કર્યું છે. કોમવાદને મત માટે પોષીને ભાગલા પાડવા અને પ્રેરવાનું કામ કર્યું છે. ત્યારે વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ ધરાવનાર ઈન્ડોનેશિયાનું એક રાજ્ય બાલી હિંદુઓને ટકવા અમૃત સંજીવની જેવી સમાજરચના દ્વારા પ્રેરક છે.
બાલીમાં હિંદુ
બાલીની વસતિમાં 87 ટકા હિંદુ છે. બાલીમાં ઠેર ઠેર હિંદુ મંદિરો છે. બાલીની ધાર્મિક માન્યતાઓમાં હિંદુ અને બૌદ્ધ બંને ધર્મની માન્યતાઓનું મિશ્રણ છે. અહીં ત્રિદેવનું મહત્ત્વ છે. ત્રિદેવ એટલે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ. આ ઉપરાંત ગણેશ, સરસ્વતી, દુર્ગા, દેવીશ્રી વગેરેની પ્રતિમાઓ પણ હોય છે. આ બધાં કરતાંય વધુ મહત્ત્વનું એ છે કે નવા જમાનામાં આપણાં સૌ હિંદુ હોવા છતાં કેટલાકના ઘરમાં કોઇપણ ભગવાનનો, દેવ કે દેવતાનો ફોટો કે મૂર્તિ હોતાં નથી. ત્યારે બાલીમાં દરેક ઘરમાં પ્રવેશતા પહેલાં જ નાનું મંદિર હોય છે. જેના ઘરમાં પ્રવેશતા પહેલાં મંદિર ના હોય તે હિંદુ જ ના ગણાય!
જાહેર મંદિરોની ખાસિયતમંદિરમાં પ્રવેશવા માટે ભક્તોએ ગણવેશ પહેરવો ફરજિયાત છે. સ્થાનિક ભક્તો ગણવેશ પહેરીને આવે. બહારગામથી આવનાર કે વિદેશી મુલાકાતીઓ પાસે ગણવેશ ના હોય. એકાદ વખત દર્શન માટે ગણવેશ ખરીદવો ના પોષાય. આ માટે મંદિર ગણવેશ ભાડે આપે. મંદિરના પ્રવેશદ્વારે જ ચોકીદાર હોય ત્યાં ગણવેશ આપવામાં આવે. ગણવેશ એટલે? તમારો પોતાનો પોશાક તમારે પહેરી રાખવાનો પણ ઉપરના ભાગ - ખભાથી કેડ સુધી પહેરવાનો ત્રાંસો એક પટ્ટો હોય છે. એ પહેરનાર જ મંદિરમાં જઇ શકે. મંદિર પોતે એ ડ્રેસ કે પટ્ટો આપે. દર્શન પછી પાછા આવીને એ દરવાજે આપી દેવાનો. આ ડ્રેસનું કોઈ ભાડું હોતું નથી. તમને દરવાજે એક નોટબુક આપે એમાં તમને ફાવતી રકમ લખવાની અને આપવાની હોય છે. આ ટોકન રકમ સ્વૈચ્છિક હોય છે. તમને સૂઝે, પોષાય, ગમે તે લખો. ત્યાંના ચલણમાં પછી દસ - વીસ પૈસા રકમ લખો કે સો, બસો, પાંચસો રૂપિયા જેટલી લખો. કોઈ તમને કંઈ કહે નહીં. લખો તો આપો.
આ મંદિરોમાં પૂજા માટે ક્યારેય ફૂલ વેચાતાં આવતાં નથી. દરેક મંદિરની આસપાસ ખૂબ ફૂલ-છોડ હોય છે. ફળ-વૃક્ષો હોય છે.
મંદિર એને વેચે નહીં, મંદિર માટે વાપરે છે. અહીંનાં મંદિરો પૈસા કમાવા, કોઈને કોઈ નિમિત્તે ભક્તો પાસેથી પૈસા લેવાની કોઈ પ્રવૃત્તિ કરતાં નથી.
મરણ પછી અંતિમક્રિયાની વિશિષ્ટતા
દુનિયામાં ક્યાંય ન હોય તેવી અંતિમ વિધિ અહીં છે. માણસનું મરણ થતાં સૌપ્રથમ તેના શબનું દફન કરી દેવામાં આવે. આ પછી તેનો પુત્ર કે અનુગામી પંડિત પાસે જાય. પંડિત એટલે બ્રાહ્મણ. અહીં આર્યોની વર્ણવ્યવસ્થા હજુ ચાલે છે. સમાજ પંડિત, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એવા ચાર વર્ણમાં વહેંચાયેલો છે. પંડિત એનું ટીપણું ખોલે. મૂરત જુએ. મૃત વ્યક્તિના સગા પંડિતને પગે લાગીને, દક્ષિણા આપીને પૂછે, ‘પોતાના દફનાવેલ સંબંધીને જમીનમાંથી ક્યારે બહાર કાઢવાના છે?’ પંડિત જ્યારે શુભ મુરત આપે ત્યારે જ બહાર કઢાય. શુભ મુરત નજીકમાં આપે અને પુત્ર કે સગાં પાસે બાકીની અંતિમ વિધિ માટે પૈસા ના હોય કે ખૂટતા હોય તો વળી ગોરબાપાને વધારે દક્ષિણા આપીને મૂરત બદલાવી પણ શકાય.જ્યારે મૂરત મળે અને શબને ભૂમિમાંથી બહાર કાઢે ત્યારે શબની પાલખીયાત્રા કાઢે. સગાં-સંબંધી, મિત્રો પાલખીમાં શબને મૂકીને શોભાયાત્રા કાઢે અને સમુદ્ર તટે લઈ જાય.
અહીં શબનો અગ્નિસંસ્કાર કરે. પહેલી ક્રિયા ભૂમિમાં દાટે તે ભૂમિદાહ, બીજી ક્રિયા અગ્નિદાહ. અહીં શબને પૂરું બળવા ના દે. આગ બુઝાવી દે અને હાડકાં અને દેહના બાકીના અવશેષો દરિયામાં પધરાવી અને જળદાહ કરે. આમ એક દેહ પર ભૂમિદાહ, અગ્નિદાહ અને જળદાહ એવી ત્રણ ક્રિયા થાય તો જ આત્માનો ઉદ્ધાર થાય.
બાલીમાં હિંદુ ના ઘટે
અહીં લવજેહાદ થાય કે હિંદુઓ અન્ય ધર્મી સાથે લગ્ન કરે, પણ હિંદુ વસતિ ના ઘટે તેવી સમાજ વ્યવસ્થા છે. પિતૃ પ્રધાન સમાજ-વ્યવસ્થા એ અહીંની ખાસિયત છે. વળી સામાજિક રિવાજ હિંદુ જનસંખ્યા ના જ ઘટે તેવો છે. અહીં હિંદુ છોકરી જો મુસલમાન કે ખ્રિસ્તીને પરણે તો છોકરીના પતિએ હિંદુ થવું જ પડે. હિંદુ છોકરો મુસ્લિમ કે ખ્રિસ્તી છોકરીને પરણે તો હિંદુને પરણનારે હિંદુ બનવું જ પડે એ રિવાજનું બરાબર પાલન થાય છે. આથી બાલીમાં હિંદુઓની સંખ્યા સતત વધતી જ જાય છે. વસતિ ઘટવાનો પ્રશ્ન જ નથી.
બાલીના સમાજમાં હજુ પણ બ્રાહ્મણ ઊંચા મનાય છે, પ્રજા શૂદ્રને અસ્પૃશ્ય માનતી નથી.
બાલીના મારા પ્રવાસ દરમિયાન બાલીના એક ગુજરાતી ઉદ્યોગ સાહસિક પ્રીતમલાલ દોશીને ત્યાં મારે તેમના ઉદ્યોગ ગૃહમાં પહોંચવાનું હતું. એમનો વ્યવસાય હતો થ્રી-ડાયમેન્શન પ્રતિમાઓ અને ફોટો બનાવવાનો. કોઈપણ પ્રતિમાને ગમે ત્યાં ગોઠવો પણ એની આંખ તમને જોતી હોય એવું લાગે. મહાપુરુષો, દેવો, સંતો અને રાજવીઓની પ્રતિમાઓ એ બનાવે છે. એમની મેનેજર મને લેવા આવી હતી. કારમાં વાતો કરતા જતા હતા. કાર ટ્રાફિકમાં ફસાઈ. અંગત વાતો ચાલી. પેલી મેનેજર મને કહે, ‘હું શૂદ્ર છું, પણ મારા પતિ પંડિત છે. અમારે ત્યાં જેને જેની સાથે પરણવું હોય તેને પરણવાની છૂટ છે. સમાજ પિતૃ પ્રધાન છે. બાળકની અટક કે ઓળખ પિતાની જાતિ પરથી થાય છે. મારાં સંતાન પંડિત ગણાશે, પણ ધારો કે મારી દીકરી કોઈ શૂદ્રને પરણે તો તેનાં સંતાન શૂદ્ર ગણાય. અહીં વર્ણ ફક્ત ધંધાની ઓળખ છે. આથી માન-સન્માનમાં ફેર પડતો નથી. હું શૂદ્ર છું અને પંડિતને પરણી તેમ પંડિતપુત્રી પણ શૂદ્રને પરણી શકે છે.’વર્ષો પહેલાં ભારતમાં કેટલાક શૂદ્ર ખ્રિસ્તી કે મુસલમાન બનેલા તે સામાજિક ભેદભાવને કારણે. બાલીમાં હિંદુઓની સંખ્યા ના ઘટવાનું આ પણ એક કારણ છે.
બાલીમાં દક્ષિણ ગુજરાત છોડીને પેઢીઓ પહેલાં સિંગાપોર વસેલા ખત્રી પરિવારના કિરીટકુમાર મંછારામ અને તેમનાં પત્ની કૈલાસબહેનની કેટલીક મોટેલો અને રિસોર્ટ છે. જે મારા બાલી પ્રવાસમાં યજમાન બનવા સિંગાપોરથી બાલી આવીને એમનાં રિસોર્ટમાં રોકાયેલાં. બીજા પણ કેટલાક ગુજરાતીઓ બાલીમાં વિવિધ વ્યવસાયમાં છે.


