ગની દહીંવાલા તરીકે મશહૂર શાયરનું મૂળ નામ અબ્દુલગની અબ્દુલકરીમ. જન્મ 17 ઓગસ્ટ 1908. સવિશેષ ગઝલ લખે. ‘ભિખારણનું ગીત’ પ્રસિદ્ધ છે જે ‘સંસ્કૃતિ’માં છપાયું. સરળતા, વેધકતા, ઉર્દૂ શબ્દો, તત્સમ અને તદ્ભવ શબ્દો સાહજિકતાથી પ્રયોજી શકે. ‘ગાતાં ઝરણાં’ એમનો સંગ્રહ. ‘દિવસો જુદાઈના જાય છે’ એ સંચય સંપાદનરૂપે પ્રગટ થયો છે. ગનીસાહેબે પાચમી માર્ચ 1987ના રોજ આપણી વચ્ચેથી વિદાય લીધી.
•
સ્વજન સુધી
દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી;
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.
ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી;
અહીં આપણે તો જવું હતું, ફકત એકમેકના મન સુધી.
હજી પાથરી ન શકયું સુમન, પરિમલ જગતના ચમન સુધી;
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.
છે અજબ પ્રકારની જિંદગી, કહો એને પ્યારની જિંદગી,
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.
તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી, તો હદયથી જાઓ નયન સુધી.
તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી!
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.
જો હદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.
•••