‘દેશ’ના અસ્તિત્વની યે કેવી સંઘર્ષ કહાણી?

ઘટના દર્પણ

વિષ્ણુ પંડ્યા Wednesday 20th December 2023 05:27 EST
 
 

આજકાલ બે મોટી લોહિયાળ લડાઈ ચાલી રહી છે. કોઈ હારશે કે કોઈ જીતશે આટલા ઘમાસાણ યુદ્ધ પછી પણ નક્કી નથી થઈ શક્યું. યુક્રેન અને રશિયામાં આવી સ્થિતિ છે, તો ગાઝા પેલેસ્ટાઇન અને ઈઝરાયેલ વચ્ચે પણ હુમલાઓ અને ખુવારી સિવાય કોઈ ઉપાય દેખાતો નથી. આ બધાંની વચ્ચે એક મોટો સવાલ ચર્ચાઇ રહ્યો છે કે આખરે ‘દેશ’નું શું થશે? કેવી રીતે તેને ‘રાષ્ટ્ર’ તરીકે બચાવી શકીશું? બે વિશ્વયુદ્ધોએ અનેક દેશોનું નામોનિશાન મિટાવી દીધું અને નવા દેશો પણ સર્જાયા. કેટલાકના ભાગલા થયા અને અલગ દેશો રચાયા. આમાં પરંપરાની નજરે રાષ્ટ્રની વ્યાખ્યા હતી, તે પણ બદલાતી ગઈ. રશિયા યુએસએસઆર ના રહ્યું, હંગેરી, ચેકોસ્લોવેકિયા, પોલૈંડ વગેરેએ પોતાની અસ્મિતાને પ્રાપ્ત કરી. યુક્રેન વિષે પણ આવો વિવાદ છે. રશિયા તેની સંપૂર્ણ નાબૂદી નથી ઇચ્છતું પીએન પોતાનો પડછાયો બનીને રહે. નાટોમાં ના ભલે એવું દ્રઢતાત્ઘિ મને છે કેમ કે જો યુક્રેન અમેરિકા અને યુરોપની સાથે થઈ જાય તો રશિયન સત્તા નબળી પડે. યુક્રેનનો મિજાજ આટલા વર્ષો સ્વતંત્ર રહ્યા પછી પોતાના અધિકારો માટે વધુ સજાગ બન્યો છે. ઝેલેંસ્કી તે પ્રજાનો અવાજ બની ગયો છે. અમેરિકા, ફ્રાંસ, ઈંગ્લેન્ડ તેને ટેકો આપે તે સ્વાભાવિક છે.
રશિયા ગોર્બાચોફના ઐતિહાસિક પગલાઓથી સામ્યવાદી પરંપરાથી મુક્ત થયું અને તેના રાજ્યો પોતાની રીતે અસ્તિત્વમાં આવ્યા. પણ પુટીનનો કોઈ આદર્શ હોય તો એટલોજ કે પોતાની સત્તા સાથેનું રશિયા ટકાવી રાખવું. એક રશિયન આલોચકે તો એવું પણ કહ્યું છે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન રશિયન પ્રજાની જે પોતાની જન્મભૂમિ (જેને પિતૃ ભૂમિ -ફાધરલેન્ડ ગણવામાં આવી હતી.) પ્રત્યે જે પ્રચંડ પ્રેમ અને શ્રદ્ધા રાખતી હતી એવું હવે દેખાતું નથી. કારણ એ છે કે સ્તાલિનથી પુટીન એકસરખા રાજકીય સત્તાના મહત્વકાંક્ષીઓ છે. તે પ્રજા જાણી ચૂકી છે. યુક્રેન સામેના યુદ્ધને નિરર્થક માનનારો એક મોટો વર્ગ ત્યાં અસ્તિત્વમાં આવ્યો છે, જે આ લડાઈનો વિરોધ કરે છે. પુટીન તેને સામ-દામ-દંડ-ભેદથી નષ્ટ કરી રહ્યો છે. કેટલાંક ના તો રહસ્યમય મૃત્યુ થયાં છે.
તેના બીજા છેડે યુક્રેનની પ્રજા પોતાના દેશને બચાવવા અડીખમ છે. દુનિયાના જુદા જુદા દેશોમાં સ્થાયી થયેલા યુક્રેનવાસીઓ સ્વદેશ પાછા ફર્યા છે અને રશિયા સામેના યુદ્ધમાં સૈનિક બનીને સામેલ થયા. હવે તો ત્યાના કવિઓ અને નાટ્યકારો પણ એવું સર્જન કરી રહ્યા છે, જેમાં પડકારનો મિજાજ વ્યક્ત થાય છે. તેઓ યુદ્ધ નથી ઇચ્છતા પણ રશિયાની સામે પરાસ્ત થઈને સ્વાભિમાન ગુમાવવા માગતા નથી. કેટ્લીકવાર યુદ્ધ પણ પ્રજાનું ઘડતર કરે છે.
આવું ગૌરવ પેલેસ્ટાઇનમાં છે ખરું? મૂળભૂત રીતે એક અવાસ્તવિક ઝનૂન અહી પ્રભાવી છે. ઈઝરાયેલનું અસ્તિત્વ જ ગાઝા, હમાસ, પેલેસ્ટાઇન અને બીજા ઈસ્લામિક દેશો સાંખી શકતા નથી. બીજા વિશ્વયુદ્ધ પછી જ્ન્મ પામેલો આ યહુદીઓનો દેશ હવે વાસ્તવિક અસ્તિત્વ ધરાવે છે એવું માનવાને તેઓ તૈયાર નથી.યહુદીઓ પ્રત્યે જે ઘૃણા, તિરસ્કાર અને ખુન્નસ દાખવવામાં આવ્યા તે ભૂતકાળ બની ગયો. આજે ઈઝરાયેલ અને યહુદીઓ ગમેતેવા હત્યાકાંડોની વચ્ચે, ‘નેક્સ્ટ યર ઇન જેરુસલેમ’ની પ્રાર્થના અને સંકલ્પ સાથે જીવ્યા, તેમણે જમીનના આ ટુકડાને દેશમાં પરિવર્તિત કરીને સ્વાભિમાની રાષ્ટ્રની સંકલ્પના સિદ્ધ કરી છે તેનો સ્વીકાર હજુ મોટાભાગના ઈસ્લામિક દેશો સ્વીકાર નથી કરી શક્યા એ તેના મઝહબી ઝનૂનનું પરિણામ છે.
આ કારણોથી ઈઝરાયેલ પણ પ્રતિક્રિયા સાથે ગાઝા પટ્ટીને વેરવિખેર કરવા તેના પર તૂટી પડ્યું છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની અપીલો પણ કારગર નીવડી નથી. ઈઝરાયેલને પણ યુદ્ધથી પોતાના દેશની થતી ખુવારીનો પૂરો અંદાજ છે જ. પણ જ્યારે કોઈ એક ઝનૂન બીજાને સમાપ્ત કરવા ઈચ્છે ત્યારે તે દેશ વધુ આક્રમક થાય તે સ્વાભાવિક છે.
આ માનસિકતા સમગ્ર દુનિયામાં છે. પડોશનું ઉદાહરણ મ્યામારનું છે. એકરીતે ત્યાં આંતરિક વિગ્રહ લાગે પણ તેવું નથી. બર્મા એટ્લે કે મ્યાંમાર ની પોતાની અસ્મિતા છે, ત્યાં પણ અગાઉ અનેક પ્રજા-પ્રિય નેતાઓ થયાં હતા. આજે તેનું પ્રતિનિધિત્વ વર્તમાન સૈનિકી શાસન નહિ, પણ આંગ સેન સુ કી કરે છે. લોકશાહી શાસન માટે તેણે લાંબા સમયનો જેલવાસ ભોગવ્યો છે, પોતાના પતિના દૂર દેશમાં અવસાનનો આઘાત અનુભવ્યો છે. આંગ સેન સુ કીને મળેલું નોબેલનું શાંતિ પરિતોષિક લેવા પણ તે જઇ શકી નહોતી. સૈનિકી શાસને બર્માને બેહાલ કરી મૂક્યું છે. રોજેરોજ હત્યાઓ અને હુમલાઓ થાય છે. સેંકડો સામાન્ય નાગરિકો જેલમાં છે. બૌદ્ધ પેગોડા નષ્ટ થઈ રહ્યા છે. રોહિંગિયા તો જુદાજુદા દેશોમાં હિજરતી બન્યા અને તે દેશોને માટે સમસ્યા બની ગયા. આંગ સેન સુ કી એકવાર ભારે બહુમતિથી ચૂંટાયા પણ સૈનિકી શાસને તે સરકારને જ માન્ય ના કરી!
દેશ તરીકેની સૌથી ગંભીર સમસ્યા તિબેટની છે. ચીને ત્યાં પોતાની સત્તા સ્થાપી દીધી અને તિબેટના સર્વોચ્ચ નેતા, ધર્મગુરુ દલાઇ લામાને ખ્યાલ આવી ગયો કે ચીની સામ્યવાદમાં સામ્રાજ્યવાદ પણ એટલોજ ભળેલો છે, તે તિબેટની સંસ્કૃતિ અને ધર્મને સમાપ્ત કરશે અને તેનો પડછાયો બનીને હોય, રહે તેવું આધિપત્ય જમાવશે. એટ્લે તેમણે સેંકડો તિબેટીઓની સાથે સ્થળાંતર કરીને ભારતમાં આશ્રય લીધો. તેમની સરકાર ભલે કાગળપર હોય, પણ ધર્મશાળા તેનું મુખ્ય મથક છે. બરાબર યહુદીઓના ભૂતકાળની જેમ પોતાના પ્રિય વતન તિબેટને કાયમ હ્રદયમાં રાખીને ‘ક્યારેક તો સ્વાધીન તિબેટની ભૂમિની ધૂળ મસ્તક પર ચડાવીશું’ એમ સંકલ્પબદ્ધ છે.
દેશ અને રાષ્ટ્રોની પણ કેવી કહાણી છે, જેને સંઘર્ષ અને સિદ્ધિના અનેક પડાવો પાર કરવાના આવે છે!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter