સેવકની ભૂમિકામાં પ્રમુખ સ્વામી મહારાજ – મેનેજમેન્ટમાં અદભૂત અભિગમ

- નીતિનભાઈ અને કમુબેન પલાણ Wednesday 07th July 2021 02:48 EDT
 
 

૧૯૫૧માં શાસ્ત્રીજી મહારાજ અક્ષરધામમાં ગયા ત્યારે ગઢડા મંદિરના દ્વાર પ્રથમ વખત ખૂલ્લાં મૂકાવાના હતા. સંસ્થા માટે આ સમય દુઃખ અને ચિંતાનો હતો. જોકે, યોગીજી મહારાજને ૨૯ વર્ષીય પ્રમુખ સ્વામીનું (હવે પછી તેમનો ઉલ્લેખ સ્વામીશ્રી તરીકે થશે) સંપૂર્ણ સમર્થન હતું અને તરત જ તમામ ચિંતાઓ એક બાજુએ મૂકી દેવાઈ હતી. અગાઉ નિર્ધારિત થયેલી તારીખે જ ગઢડા મંદિરનું ભવ્ય ઉદઘાટન થયું.
શાસ્ત્રીજી મહારાજની અંતિમક્રિયા સારંગપુરમાં તેમણે જે સ્થળ પસંદ કર્યું હતું ત્યાં જ કરવામાં આવી. તેમની સ્મૃતિમાં ત્યાં માર્ચ ૧૯૫૨માં એક નાની દેરી ( તેમના યોગદાનની કાયમી સ્મૃતિ માટે આ સ્થળે ૧૯૮૧માં એક શિખરવાળું મંદિર બનાવાયું હતું.)  
વિનુ ભગતનો પરીચય ( મહંત સ્વામી મહારાજ)
દિવ્ય તત્વની ઈચ્છા અને આયોજન પ્રમાણે ૧૮ વર્ષીય વિનુભાઈ તેમના પરિવાર સાથે શાસ્ત્રીજી મહારાજની અંતિમક્રિયામાં હાજરી આપવા સારંગપુર આવ્યા. અહીં તેઓ પ્રથમ વખત યુવા પ્રમુખ સ્વામીને મળ્યા અને તરત જ તેમની વચ્ચે મિત્રતા થઈ ગઈ. તે પછીના થોડાં વર્ષોમાં તેઓ ઘણાં પ્રસંગે એકબીજાને મળ્યા અને આ મુલાકાતો દરમિયાન સ્વામીશ્રીએ તેમને કંઠી પહેરાવીને આશીર્વાદ આપ્યા અને તેમને સાધુ બનવાનો પ્રાંરભિક વિચાર  આપ્યો. સ્વામીશ્રીની ઈચ્છાને માન આપીને તેમણે પહેલી વખત પાણી પીધાં વિના એકાદશી કરી હતી.  
સત્સંગના પ્રસાર માટે અથાગ કામગીરી
યુવા પ્રમુખ સ્વામીએ થાક્યા વિના તરત જ સેંકડો ગામોમાં સત્સંગના પ્રસારનું કાર્ય શરૂ કરી દીધું. યોગીજી મહારાજ બીમાર હોય ત્યારે તેમણે સંખ્યાબંધ મંદિરોની પ્રતિષ્ઠા કરી અને સેંકડો પારાયણ તથા સત્સંગ પ્રવચનો કર્યા. તેઓ ખૂબ યુવા વ્યક્તિમાંથી એક પરીશ્રમી સાધુ બન્યા. તેમણે તેમની વ્યક્તિગત જરૂરિયાતોની કોઈ પરવા કરી ન હતી. પછી તે ભોજન હોય કે સૂવાની જગ્યા, થર્ડ ક્લાસમાં મુસાફરી અથવા ઘોડાગાડી કે બળદગાડામાં મુસાફરી કરવાની હોય, કાળઝાળ ગરમી હોય કે ગાત્રો થીજાવી દે તેવી ઠંડી હોય કે ભારે વરસાદ હોય...કશું જ તેમને અસર કરતું ન હતું. તેમને સંસ્થાના પ્રમુખ તરીકે નીમવામાં આવ્યા ત્યારે તેમણે જે પ્રતિજ્ઞા લીધી હતી તેનું તેમણે સંપૂર્ણપણે પાલન કર્યું.  
૧૯૫૩માં પહેલી સ્પેશિયલ ટ્રેન યાત્રા
સાધુ બન્યા પછી યુવા પ્રમુખ સ્વામીએ ભગવાન સ્વામીનારાયણના જન્મસ્થળ છપૈયાની મુલાકાત લેવાની ઈચ્છા શાસ્ત્રીજી મહારાજ સમક્ષ વ્યક્ત કરી હતી. શાસ્ત્રીજી મહારાજે ભવિષ્યમાં તેમની આ ઈચ્છા પૂરી કરવા યોગીજી મહારાજને કહ્યું હતું.  
શાસ્ત્રીજી મહારાજના આ શબ્દો મુજબ અને યોગીજી મહારાજની પ્રેરણા અને આશીર્વાદ સાથે ૧૯૫૩માં સ્પેશિયલ ટ્રેન યાત્રાનું આયોજન કરાયું હતું. આ યાત્રાનો લાભ લેવા ૫૦૦ હરિભક્તોએ નામ નોંધાવ્યા હતા. અંતે માગ ખૂબ વધી જતાં ટ્રેનમાં બે વધારાના કમ્પાર્ટમેન્ટ જોડવા પડ્યા હતા. પહેલી ટ્રેન યાત્રામાં જે લોકો આવી શક્યા ન હતા તેમના સમાવેશ માટે ત્રણ વર્ષ પછી બીજી ટ્રેન યાત્રા યોજાઈ હતી.
આ ગ્રૂપ જ્યારે છપૈયા પહોંચ્યુ ત્યારે સ્વામીનારાયણ મંદિરના સાધુઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેમના માટે છ હાથી અને ૬૦ બળદગાડા તૈયાર રખાયા હતા. ગામમાં ખૂબ આદર સત્કાર સાથે તેમને આવકાર અપાયો હતો.  
સ્વામીશ્રી છપૈયાની પવિત્ર ભૂમિની મુલાકાત લઈને ભાવવિભોર બની ગયા હતા. આ ભૂમિની દરેક રજકણમાં જેઓ ભગવાન સ્વામીનારાયણને જોતા હતા તેમને મૂર્તિઓના દર્શનથી અત્યંત સુખની અનુભૂતિ થઈ.
૧૯૫૫માં પ્રથમ યુવક અધિવેશન
યોગીજી મહારાજે સંસ્થાની યુવા પ્રવૃત્તિઓના વિકાસ માટે ઘણાં પ્રયાસો કર્યા હતા. તમામ યુવાનોના વિકાસને વધુ પ્રોત્સાહિત કરવા માટે અટલાદરામાં પહેલું યુવક અધિવેશન યોજાયું હતું. તે વખતે જે બીજ રોપાયા હતા તેના સારા પરિણામ મળી રહ્યા છે અને આજે હજારો યુવા શ્રદ્ધાળુઓ દુનિયાના દરેક ભાગમાં આવેલા BAPS મંદિરોની દૈનિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ રહ્યા છે. કેટલાંક ખૂબ ભણેલા યુવાનો સાધુ બની રહ્યા છે.    
૧૯૫૫ અને ૧૯૫૯ – ૬૦માં યોગીજી મહારાજના વિદેશ પ્રવાસ
યોગીજી મહારાજનો પ્રથમ વિદેશ પ્રવાસ ૧૯૫૫માં થયો. પહેલી વખત સંસ્થાના સાધુઓ સત્સંગના પ્રસાર માટે વિદેશમાં વિચરણ માટે ગયા. આ પૂર્વ આફ્રિકાની ટૂંકી મુલાકાત હતી. તેમાં યોગીજી મહારાજે કેન્યાના મોમ્બાસામાં પ્રથમ સુંદર મંદિરને ખૂલ્લું મૂક્યુ અને યુગાન્ડામાં મંદિરોના નિર્માણ માટે બીજ વાવ્યા. ૧૯૫૯માં કમ્પાલા, જીંજા અને ટોરોરોમાં આ મંદિરો તૈયાર થયા હતા. આ મંદિરોની પ્રતિષ્ઠા માટે યોગીજી મહારાજને આમંત્રણ અપાયું હતું.      
આ વખતે યોગીજી મહારાજે સ્વામીશ્રીને તેમની સાથે જોડાવા માટે કહ્યું કારણ કે તેઓ પૂર્વ આફ્રિકાના હરિભક્તોને તેમની ઓળખાણ સંસ્થાના પ્રમુખ તરીકે કરાવવા ઉત્સુક હતા. વિનુ ભગત (પાછળથી મહંત સ્વામી મહારાજ) અને અરુણભાઈ (પાછળથી ઈશ્વરચરણ સ્વામી) પણ તેમની સાથે પ્રવાસમાં જોડાયા હતા.  
કમ્પાલામાં ૨૧ જાન્યુઆરી ૧૯૬૦ના રોજ મૂર્તિ પ્રતિષ્ઠા થઈ. તે પછી ૧ ફેબ્રુઆરી ૧૯૬૦ના રોજ જીંજામાં અને ૨૨ ફેબ્રુઆરી ૧૯૬૦ના રોજ ટોરોરોમાં પ્રતિષ્ઠા થઈ. દરેક વખતે મંદિરમાં હજારો શ્રદ્ધાળુઓ આવ્યા હતા અને આ મંદિરો સમાજ માટે આધ્યાત્મિક અને સામાજિક વિકાસના કેન્દ્ર બન્યા.    
આ રીતે યોગીજી મહારાજે યુગાન્ડામાં ત્રણ સુંદર મંદિરની રચના કરી. (આજે આફ્રિકામાં ઘણાં કેન્દ્રો સાથે ૩૦થી વધુ મંદિર છે.) સૌને લાગ્યું કે આ સાધુઓ માત્ર પારાયણો કે ઘર પધરામણી નથી કરતાં, તેમણે ભારતીય સંસ્કૃતિ અને સનાતન હિંદુ ધર્મનું સત્ત્વ પૂરું પાડવા મંદિરો અને સત્સંગ કેન્દ્રોની રચના પણ કરી છે. ૨૦,૦૦૦ માઈલનું અંતર અને ૧૦૩ ગામો અને શહેરોને પાવન કર્યા પછી યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી જૂન ૧૯૬૦માં આફ્રિકાથી ભારત પાછા ફર્યા હતા.    
૧૯૬૦માં નવ યોગેશ્વરોને દીક્ષા
ભારતમાં મુંબઈ પાછા ફરતાં જ યોગીજી મહારાજે ૩ જુલાઈ ૧૯૬૦ના રોજ ૯ શિક્ષિત યુવાનોને પાર્ષદી દીક્ષા આપી. તેમાં મહંત સ્વામી, કોઠારી સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, ઈશ્વરચરણ સ્વામી અને વિવેકસાગર સ્વામીનો સમાવેશ થતો હતો.૧૯૬૧માં ગઢડામાં યોગીજી મહારાજે ૫૧ સાધુઓને દીક્ષા આપતા આ પાર્ષદો સાધુ બન્યા હતા.    
આ પ્રસંગે સ્વામીશ્રીએ પાર્ષદોને સંબોધન કર્યું અને તેમને શુભેચ્છા પાઠવી હતી. તેમણે ઉલ્લેખ કર્યો, ' આ કાર્ય સાથે શ્રી યોગી બાપાએ પૃથ્વીના દરેક ભાગ સુધી સંસ્થાના પાયાને વિસ્તાર્યા છે.'


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter