હકારાત્મક વિચાર અને અન્યો માટે કરુણાભાવ સેવવો એ જ પ્રાર્થના - આસ્મા સૂતરવાલા

ઘર દીવડાં

જ્યોત્સના શાહ Wednesday 30th June 2021 09:27 EDT
 
 

ધનને પચાવતા અને મૂલ્યોને સાચવતા આવડે એવી વ્યક્તિઓ આંગળીના વેઢે ગણાય તેટલી હોય છે. આપણી પાસે જાત-ભાતની કિંમતી ચીજવસ્તુઓ હોય તો તે બીજાને પ્રભાવિત કરી શકે પરંતુ સંસ્કારિક અને નૈતિક મૂલ્યોની મૂડી હોય તો તે પ્રેરક બની રહે.
આ અંકમાં આવા એક પ્રેરક પાત્ર આસ્માબહેન સૂતરવાલાને મળીશું. મળતાવડો અને વાતોડીયો સરળ સ્વભાવ, આંખમાં અમી અને હૈયે કરુણાભાવ, પ્રેમાળ વ્યક્તિત્વ. ગાવાનો અને વાંચવાનો શોખ. નમ્રતા અને સાદગી એમના ગુણ. દેવીબહેન મહેશભાઈ પારેખને ત્યાં એક ચેરિટી ડીનરમાં આસ્માબહેન સાથે થયેલી મુલાકાત આત્મિય બની ગઈ.
તાજેતરમાં એક બપોર એમની સાથે ગાળવાનો અવસર ઝડપી લઈ અલક-મલકની વાતો કરતા એમના જીવનની ઝાંખી થઈ. યુ.કે.માં સુવિખ્યાત બ્રાન્ડ TRSના ડીરેક્ટર શ્રી હાતિમભાઈના એ ધર્મપત્ની.
મૂળ સૌરાષ્ટ્રમાં ભાણવડ ગામના વતની. પિતાશ્રી ફિદાઅલી બૂટવાલા અને માતુશ્રી રુબાબ્બાઈ બૂટવાલા. દાઉદી વહોરા કુટુંબમાં મુંબઈ ખાતે જન્મ. પારસી સ્કૂલમાં શિક્ષણ અને જયહિંદ કોલેજમાં ઉચ્ચ અભ્યાસ. ૧૯ વર્ષની વયે લંડનથી મુંબઈ ગયેલા યુવક હાતિમભાઈ સાથે ૧૯૬૪માં શાદી થતાં ડિગ્રી મેળવી ન શક્યાં પરંતુ બે દીકરીઓની માતા બની Ba તો થયાં જ!
૧૯૫૧માં સૂતરવાલા પરિવાર લંડન આવી ઈસ્ટ લંડનમાં સ્થાયી થયો. પાંચ ભાઈઓ અને ત્રણ બહેનોનું બહોળું કુટુંબ. લંડનમાં સૌપ્રથમ હેન્ડીક્રાફ્ટ ઈમ્પોર્ટ કરવાનું શ્રેય એમનાં સસરાશ્રી તાહિરઅલી ભાઈને ફાળે જાય. શરૂઆતમાં આઈડિયલ હોમ એક્ઝિબિશનમાં પોતાનો સ્ટોર રાખી બિઝનેસ કરતાં આસ્માબહેન જણાવે છે કે, ‘એ વખતે વાંસળીની બોલબાલા હતી. ગોપીઓને ઘેલી કરનાર વાંસળીની જાદુઈ અસર લંડનગરાઓને પણ થઈ હતી!
૧૯૫૯માં TRS કંપનીની સ્થાપના થઈ. નવેમ્બર ૨૦૧૯માં એ વેચી દેવાઈ. સૂતરવાલા ફેમીલી શરૂમાં સંયુક્ત કુટુંબમાં રહેતું. એમની વચ્ચે પ્રેમ અને સાહચર્ય અદભૂત હતા. એમાં મહત્ત્વપૂર્ણ ફાળો સાસુમા શ્રીમતી આસ્માબાઈનો હતો. સાસુના વખાણ કરતાં વહુ કહે છે, ‘એમની સમજ કાબિલેદાદ હતી. વહુઓને દીકરીઓને દરજ્જો. બધાને ખૂબ પ્યાર કરે. ફરિયાદ ક્યારેય ના કરે. જેના કારણે કુટુંબમાં પ્યાર, શાંતિ અને બરકત જળવાઈ રહી છે.’
કુટુંબમાં એકનું માથું દુઃખે તો એ પીડા બધાની બની જાય એવો પ્રેમ ને સંપ. સસરાનો સ્વભાવ પણ રમૂજી. ઘરનું વાતાવરણ પ્રફુલ્લિત અને પોઝિટિવ એનર્જીથી ભરપૂર.
માતા-પિતા પ્રત્યે આદર અને સન્માનભાવ. બધા દીકરા-વહુ વડીલોની હા...માં હા... મિલાવે તેવા. આસ્માબહેન દ્રઢપણે માને છે કે, ‘વડીલોની દુઆ હોય તો કોઈ દિવસ દુઃખી ના થવાય.’
આ સંયુક્ત કુટુંબમાંથી પાંચ ભાઈઓએ અલગ થઈ પોતાના મકાન લીધા પરંતુ સંપ એવોને એવો જ. આસ્માબહેને હેરોના મકાનમાં સ્થળાંતર કર્યાં પછી એકલતા ખૂબ સાલે. સદનસીબે એમના પાડોશી સુધાબહેન દાલસીંગાણી સાથે પરિચય થતાં એમની સાથે યુ.કે. એશિયન વુમન સંસ્થામાં સક્રિય બન્યાં. જેના સ્થાપકો તારાબહેન કોઠારી, ઉષાબહેન બાગ્રી, દેવીબહેન પારેખ, ઉષાબહેન પટેલ, હંસાબહેન પટેલ, શર્મીબહેન પટેલ વગેરે સાથે ગાઢ મૈત્રી થઈ.
આ સંસ્થા બહેનોના પ્રશ્નોને વિવિધ સમસ્યાઓમાં મદદરૂપ થાય છે. એમની ઈન્ટરપ્રિટરની સેવામાં આસ્માબહેન પ્રવૃત્ત થયાં. એ વખતની આપણી બહેનોની તકલીફોનો એક હૃદયદ્રાવક કિસ્સો એમણે સંભળાવ્યો.
પોતાના જીવનથી કંટાળેલી ૮ મહીનાના દીકરાની માતાએ આપઘાતનો રસ્તો અપનાવ્યો. એના દુભાષિયાની ફરજ બજાવતાં આસ્માબહેનનું હૃદય કરુણાથી છલકાઈ ગયું. એ યુવતીને હૈયાધારણ અને આશ્વાસન આપ્યાં. એની હકારાત્મક અસરથી એનામાં બીજા દિવસે પુનઃ જીવવાની શક્તિ જન્મી અને એનું જીવન બચી ગયું. એનું જીવન બચાવ્યાનો સંતોષ શાશ્વત સુખ-શાંતિ બક્ષનારો બની ગયો.
આવા કિસ્સામાં પોતાની વ્યથા વ્યક્ત કરતાં આસ્માબહેન જણાવે છે કે, ‘આપણે બધા ધર્મ-ધર્મ કરીએ છીએ પરંતુ પાયાનો માનવતાનો ધર્મ ભૂલી જઈએ છીએ. વહુ સાથેના સાસુના દુર્વ્યવહારના જૂના રિવાજો ૨૧મી સદીમાં બદલાવા જોઈએ.’
આસ્માબહેન અને એમની સખીઓ અવારનવાર મળતાં તેમને થયું કે આપણે નસીબદાર છીએ-સાધન સંપન્ન છીએ પરંતુ ભારતમાં કેટલાય ગરીબ બાળકો આર્થિક હાલતને કારણે શિક્ષણથી વંચિત રહે છે. તેઓના શિક્ષણ માટે ‘એકતા’ નામની ચેરિટીની સ્થાપના કરી. સૌપ્રથમ ઈસ્ટ બાન્દ્રા, મુંબઈની પારસીબાનુ દિલબર બહેન જેઓ યુ.એન.ના સભ્ય હતા. એમણે શરૂ કરેલ શાળાની મરામત માટે જાતે જોઈ-તપાસી ત્યાં દાન આપ્યું. આમ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં બાળકોના શિક્ષણ
માટે જરૂરતમંદ સંસ્થાઓને મદદ કરે છે.
હાલ ‘એકતા’નું ચેરપદ એમના જેઠાણી શકીનાબહેન શોભાવે છે અને ખજાનચી આસ્માબહેન છે.
તાજેતરમાં કોવિડ-૧૯ની મહામારીમાં બ્રિટન સહિત સાઉથ એશિયાના દેશોમાં £૩૦,૦૦૦ જેટલી માતબર રકમ ફાળવી માનવતા દાખવી.
‘ગતિ માટે ચરણ અને પ્રગતિ માટે આચરણ જરૂરી છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter