આર્ચબિશપ ઓફ કેન્ટરબરી (આસ્થા બાબતે ક્વીનનો અવાજ) જસ્ટિન વેલ્બીએ ભારે આશ્ચર્યકારી જાહેર નિવેદનમાં વિશ્વને જણાવ્યું છે કે હવે બ્લેક (અશ્વેત) જિસસનો સમય આવી ગયો છે. હા. તમે બરાબર વાંચ્યું છે. ચર્ચ તો ચમત્કારો કરવાના બિઝનેસમાં છે અને હવે લાગે છે કે તેમના શ્વેત જિસસ ચમત્કારથી બ્લેક જિસસમાં ફેરવાઈ જશે અને જયજયકાર થઈ જશે. જોકે, ચર્ચ ભૂલી ગયું છે કે જિસસ હકીકતે પર્સન ઓફ કલર (રંગીન ત્વચાના- PoC) અને આસ્થાએ યહુદી હતા. જોકે, ચર્ચને કદી સત્યની ચિંતા રહી નથી, તેની સત્તા અખંડ રહેતી હોય ત્યાં સુધી જરુર લાગે ત્યારે કમાન્ડમેન્ટ્સ (ઈશ્વરીય આદેશો)નું ઉલ્લંઘન કરવામાં પણ ખચકાટ રહેતો નથી.
અરાજકતાવાદી બ્લેક લાઈવ્ઝ મેટર મૂવમેન્ટે PoCનો કાયદેસર ઉદ્દેશ હાઈજેક કરી લીધો છે. તેનો પ્રાથમિક ઉદ્દેશ તો સમાજવાદીઓ અને માર્ક્સવાદીઓ માટે સત્તા હસ્તગત કરવાનો છે. સમગ્ર વિશ્વમાં પાગલપનની આ પળને સમાજના બદમાશ-ગુંડા તત્વોએ ઝડપી લીધી છે જેમના માટે અસ્થિરતા અને લૂંટફાટનો હેતુ જ મુખ્ય છે. આશ્ચર્ય એ છે કે અગ્રણી સંસ્થાઓ પણ આ ગાંડપણની ઝપટમાં આવી ગઈ છે. આ તો સામૂહિક ઉન્માદનો ક્લાસિક કેસ છે જેમાં જન્મજાત સામાન્ય બુદ્ધિ પણ કામે લાગતી નથી અને લોકોને એટલી હદે લકવાગ્રસ્ત તાબેદારીની સ્થિતિમાં લાવી દીધા છે કે કાં તો ઘૂંટણીએ પડો અથવા રેસિસ્ટ હોવા બદલ હુમલા માટે તૈયાર રહો. જ્યારે ગુલામ બનાવવાની અરાજકતાવાદી યોજનામાં તણાઈ જવાનું નકારતા PoCને જ રેસિસ્ટ કહેવાય છે ત્યારે તમને પાગલપણાની હદ દેખાવા લાગે છે.
હું ધારું છું કે બ્લેક જિસસના સર્જન સાથે હથોડો ઝીંકવાનો આ યોગ્ય સમય છે તેમ આર્ચબિશપ માનતા લાગે છે. યાદ કરો કે સૌ પહેલા આફ્રિકા પહોંચેલા શ્વેત ક્રિશ્ચિયનોનું કાર્ય જ આ હીધન્સ (અસંસ્કારી લોકો, મૂર્તિપૂજકો)ને ગુલામ તરીકે તેમના ક્રિશ્ચિયન માલિકોની સેવા કરવા, હંમેશાં શ્વેત ઈશ્વરથી ડરતા રહેવા માટે સભ્ય સમાજમાં લાવવાનું રહ્યું હતું. તેમણે વ્યવસ્થિત રીતે અશ્વેત લોકોની જિંદગીઓ બરબાદ કરી નાખી. તેમણે આ લોકોની આઝાદી, તેમની સંસ્કૃતિ, તેમની ભાષા, તેમના વારસા અને તેમના નામ પણ છીનવી લીધાં. આમ છતાં, આજે પણ આપણે ક્રિશ્ચિયાનિટી (ઈસ્લામ પણ)ને મોટા પાયે આફ્રિકામાં આગેકૂચ કરતી જોઈ શકીએ છીએ અને હવે બ્લેક જિસસ સાથે લાખો હીધન્સ ફરીથી સભ્ય બની જવા માટે તત્પર છે.
વૈશ્વિક તખતા પર ક્રિશ્ચિયાનિટી અને ઈસ્લામ વચ્ચેનું આ યુદ્ધ છે. સદીઓ પહેલાં છેડાયેલું યુદ્ધ આજે પણ ચાલે છે. અહીં કે વિદેશમાં આ ઈન્ટરફેઈથની કાગારોળથી ભરમાઈ જશો નહિ. આ બે શત્રુઓ છે જેમનો ઈરાદો તેમના ઈશ્વર, અને માત્ર તેમના જ ઈશ્વર વિજયી બને તેની ભારપૂર્વક ચોકસાઈ કરવાનો છે. આજ સુધીના તેમના ઈતિહાસે દર્શાવ્યું છે તેમ તેઓ પોતાનું કાર્ય પરિપૂર્ણ કરવા કોઈ પણ સાધનનો ઉપયોગ કરી શકે છે.
મને એક બાબત સ્પષ્ટ કરી લેવા દો કે જિસસ અને ચર્ચ (ક્રિશ્ચિયાનિટી) વચ્ચે ભારે તફાવત છે. નાઝારેથ અને બેથલેહેમના જિસસ તો ચર્ચને નકારી દેશે. અને તેમના પરમપિતા, સ્વર્ગના ઈશ્વર ઈસ્લામને નકારી દેશે. અબ્રાહમના સંતાનરુપ આ બે ધર્મ-સંપ્રદાયોને તેમના ઈશ્વર કે માનવતાની જરા પણ ફિકર કે ચિંતા નથી, તેમનો ઉદ્દેશ તો વિશ્વ પર પ્રભુત્વ સ્થાપવાનો હતો અને આજે પણ છે. અશ્વેતોની જિંદગીઓનું કોઈ મહત્ત્વ નથી, રંગીન ત્વચાના લોકોની જિંદગીઓનું મહત્ત્વ નથી- એકમાત્ર મહત્ત્વ છે તે સત્તા-પ્રભુત્વનું જ છે.
જો આપણે સત્ય બાબતે ખરેખર ગંભીર હોઈએ તો આ બે ફેઈથ્સ વિશે સત્ય શીખવીએ. મારો અર્થ સંપૂર્ણ સત્યનો છે. જો માનવજાત સમાનતાઓ અને માનવ અધિકારોના નિષ્ઠાહીન દેખાડાઓ-આડંબરને છોડી આગળ વધી જવા ઈચ્છતી હશે તો પણ આ સત્તાઓ સત્યને બહાર આવવા દેશે ખરી? થોડી પ્રતિમાઓ ઉખાડી નાખવાથી, પડોશમાં આગ ચાંપવાથી, લોકો અને પોલીસ પર હુમલાઓ કરવાથી સભ્ય સમાજ પર હુમલાઓ કરવાથી શું હાંસલ કરી શકાશે? કશું જ નહિ. બોમ્બ ભારે અવાજ કરે છે પરંતુ, તેની સાથે અંધાધૂંધ વિનાશ વેરી જાય છે. જેમની પાસે સત્તા છે તેઓ મૂર્ખ ટોળાંઓ સમગ્ર ચિત્ર નિહાળી શકે તેમ નથી તેને જાણવા સાથે પોતાની વૈશ્વિક રમત રમવાનું ચાલુ રાખે છે.
(કપિલને Twitter: @kk_OEG પર ફોલો કરી શકાય છે.)