લંડનઃ ઈયુમાંથી યુકે અલગ થાય તે પછી ઈયુ માઈગ્રન્ટ્સને યુકેમાં પ્રવેશ માટે પ્રાથમિકતા મળશે તેમ જાણીને કરી હાઉસના માલિકો નારાજ થયા છે. તેમણે ૨૦૧૬ના બ્રેક્ઝિટ લોકમતમાં ઈયુ છોડવાની તરફેણમાં મત આપ્યો હતો. જે સેક્ટરમાં કૌશલ્ય ધરાવતા કર્મચારીઓ ઓછા છે તેના માટે ઈયુ નાગરિકોને પ્રાધાન્ય આપવાની મિનિસ્ટરો યોજના ઘડતા હોવાનો આક્ષેપ થયો હતો. જોકે, આ સૂચિત યોજનાને ૪.૩ બિલિયન પાઉન્ડની કરી ઈન્ડસ્ટ્રીના વડાઓએ નામંજૂર કરી હોવાનું મનાય છે. લોકમત વખતે તેમને નચન અપાયું હતું કે બ્રેક્ઝિટને લીધે તેમને સાઉથ એશિયા વિસ્તારમાંથી શ્રેષ્ઠ શેફ લાવવાનું સરળ બનશે.
બાંગ્લાદેશ કેટરર્સ એસોસિએશનના ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી મિતુ ચૌધરીએ કેમ્પેનની દરેક બેઠકમાં બોરિસ જહોન્સન, પ્રીતિ પટેલ અને માઈકલ ગોવ સાથે ભાગ લીધો હોવાનું કહીને જણાવ્યું હતું કે બ્રિટિશ કરી ઉદ્યોગને પહેલી પ્રાથમિકતા આપવી જોઈએ. અમે નિરાશ થયા છીએ.
બ્રિટિશ કરી એવોર્ડ્સના સ્થાપક ઈનામ અલીએ જણાવ્યું હતું કે માર્કેટમાં જરૂર હોવાથી અમે ઈયુ બહારથી શેફ લાવી શકીએ તે અમારા માટે મહત્ત્વનું છે તેમ અમે ઘણી વખત બોરિસ જહોન્સન અને અન્ય અગ્રણીઓને કહ્યું હતું.