કેરળ સરકારની નવી ઉડાનઃ વિમાન સેવા શરૂ કરશે

Saturday 15th August 2026 08:45 EDT
 
 

તિરુવનંતપુરમ્ઃ દેશવિદેશના પર્યટકોની પસંદગીમાં મોખરાનું સ્થાન ધરાવતું કેરળ હવે ‘કો-કેરલમ’ નામથી એરલાઇન શરૂ કરવાની તૈયારીમાં છે. કેરળ સરકાર સહકારી ક્ષેત્રની ભાગીદારીથી આ એરલાઇન શરૂ કરવાનો ઇરાદો ધરાવે છે અને તેનું ધ્યેય સામાન્ય જનતાને સસ્તી હવાઈ મુસાફરી પૂરી પાડવાનો છે. હાલમાં, નાગરિક ઉડ્ડયન મંત્રાલયની મંજૂરીની રાહ જોવાઈ રહી છે.
શરૂઆતમાં બે વિમાન ભાડે લઈને દક્ષિણ ભારતના મુખ્ય શહેરો વચ્ચે ફ્લાઇટ્સ ચલાવવાની યોજના છે. બાદમાં, ગલ્ફ દેશો માટે ફ્લાઇટ્સ શરૂ કરાશે, જેનાથી આશરે 30 લાખ વિદેશીને રાહત મળશે. ખાસ કરીને તહેવારોની મોસમ દરમિયાન ઊંચા વિમાનભાડાથી પ્રભાવિત લોકોને આનાથી બહુ ફાયદો થશે. એમવીઆર કેન્સર સેન્ટર અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન સી.એન. વિજયકૃષ્ણન્ આ પહેલનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, એરલાઇનનું ધ્યેય ટિકિટના ભાવ સુપરફાસ્ટ ટ્રેનોના ભાડા જેટલા અથવા તેની આસપાસ રાખવાનો છે, જેથી હવાઈ મુસાફરી વધુને વધુ લોકો માટે સુલભ બની શકે.
પ્રવાસન ઉદ્યોગને વેગ
મુખ્ય પ્રવાસન સ્થળોને હવાઈ સેવાઓ પૂરી પડાશે. આ હેતુ માટે નવા એરફિલ્ડ બનાવાશે. ગયા વર્ષે, કેરળમાં 25.8 મિલિયનથી વધુ સ્થાનિક અને 82.1 મિલિયન વિદેશી પ્રવાસી આવ્યા હતા. સરકારનું માનવું છે કે, સસ્તી અને સુવિધાજનક હવાઈ સેવાઓ શરૂ કરવાથી પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે.
2002માં પણ પ્રયાસ થયો હતો
આ અગાઉ 2002માં એ.કે. એન્ટની સરકારે ‘એર કેરળ’ શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કેન્દ્ર સરકારે ડોમેસ્ટિક સર્વીસના પાંચ વર્ષ પૂરા કર્યા વિના આંતરરાષ્ટ્રીય ફ્લાઈટની મંજૂરી આપવાનો ઇન્કાર કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter