નવી દિલ્હીઃ ભારત સરકારના મંત્રાલયોમાં જાસૂસી પ્રકરણની તપાસ કરી રહેલી તપાશનીસ સંસ્થા સીબીઆઇએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના વાઇસ પ્રેસિડેન્ટ (ફાઇનાન્સ) કે. વી. મોહનન્ તેમ જ મુંબઈની લો-ફર્મના રાજેન્દ્ર ચિતલેને પણ ગુપ્ત દસ્તાવેજો લીક કરવાના મામલામાં શંકાસ્પદ ગણાવ્યા છે. સીબીઆઇએ વિશેષ જજ એસ. સી. રાજન્ સમક્ષ ૧૯ માર્ચે આ માહિતી રજૂ કરી છે. આ ઉપરાંત સીબીઆઇએ બે આરોપીઓ સીએ ખેમચંદ ગાંધી અને લો ફર્મ ચિતલે એન્ડ એસોસિએટ્સના પાર્ટનર પરેશ બુદ્ધદેવની પોલીસ કસ્ટડી લંબાવવાની પણ અપીલ કરી હતી. સરકારી વકીલે જણાવ્યું કે મોટું ષડયંત્ર શોધવા મોહનન્ અને ચિતલેને ગાંધી અને પરેશ સામસામે બેસાડી તપાસ કરાશે.