લંડનઃ કોરોના વાઈરસ મહામારીને લીધ યુકેમાં બર્ગર કિંગના ૧,૬૦૦ કર્મચારી નોકરી ગુમાવશે તેવી બર્ગર કિંગના યુકેના વડાએ ચેતવણી આપી હતી. બર્ગર કિંગની ચેઈનમાં યુકેમાં ૧૬,૫૦૦થી વધુ કર્મચારી છે. લોકડાઉન પછી યુકેના ૫૩૦ સ્ટોર્સમાંથી રેસ્ટોરાં ચેઈનના માત્ર ૩૭૦ ફરી શરૂ થયા છે.
ચીફ એક્ઝિક્યુટિવ અલાસદિર મર્ડોકે બીબીસીના ન્યૂઝકાસ્ટને જણાવ્યું હતું કે, ‘કોરોના કટોકટીને લીધે થયેલા આર્થિક નુક્સાનને પરિણામે કંપનીને તેના ૧૦ ટકા સ્ટોર કાયમ માટે બંધ કરવાની ફરજ પડી શકે.’
ફાસ્ટ ફૂડ અને હાઈ સ્ટ્રીટ્સ ચેઈન્સ માટે સમસ્યાઓ વધી રહી છે. જૂનના અંતે યુકેમાં ૫૨ (બાવન) રેસ્ટોરાં અને ૧,૨૦૦નો સ્ટાફ ધરાવતી બાયરન બર્ગરે ચેનને લેણદારો સામે રક્ષણ માટે એડમિનિસ્ટ્રેટરો નીમવા માટે નોટિસ ફાઈલ કરી હતી. ફ્રેન્કી એન્ડ બેનીસની માલિકી ધરાવતા ‘ધ રેસ્ટોરાં ગ્રૂપ’ને પણ રિસ્ટ્રક્ચરિંગની ફરજ પડી હતી.