મુંબઈ: ‘ભારતના વોરન બફેટ’ તરીકે જાણીતા દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા માને છે કે આગામી ૧૫ વર્ષમાં નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ (એનએસઇ)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી ૧.૨૫ લાખના સ્તરને હાંસલ કરશે. કંપનીઓની કમાણીમાં વાર્ષિક ધોરણે આશરે ૧૬ ટકા વૃદ્ધિની ધારણા હોવાથી ૨૦૩૦ સુધીમાં આ ઊંચું સ્તર હાંસલ કરશે. નોંધનીય છે કે નિફ્ટી માટેનો આ ટાર્ગેટ બુધવારના ૮૫૩૭.૬૫ના બંધ સ્તર કરતા આશરે ૧૩ ગણો ઊંચો છે.
ઝુનઝુનવાલાએ સીએનબીસી બિઝનેસ ટીવી ચેનલની દસમી વર્ષગાંઠે યોજાયેલા કાર્યક્રમમાં જણાવ્યું હતું કે નિફ્ટીમાં છેલ્લા ૧૫ વર્ષમાં ૧૦ ગણો વધારો થયો છે અને આગામી દાયકામાં તેમાં ૧૦થી ૧૨ ગણી છલાંગની ધારણા છે. આ જાણીતા રોકાણકારે ટીવી ચેનલને જણાવ્યું હતું કે ‘ભારત માટેનું આર્થિક આઉટલૂક છેલ્લા ૧૦ વર્ષમાં આર્થિક વૃદ્ધિની સરખામણીમાં આગામી ૧૦ વર્ષમાં ઘણુ સારું છે. આ ઉપરાંત રોકાણકારોની ભાગીદારીમાં પણ વધારો થઈ રહ્યો છે. આ બંને પરિબળોથી તમને નથી લાગતું કે આગામી ૧૦ વર્ષમાં નિફ્ટી ૧૦થી ૧૫ ગણો ન થઈ શકે.’ જોકે ઝુનઝુનવાલાએ વર્ષ ૨૦૧૫ માટેના નિફ્ટીનો ટાર્ગેટ આપવાનો ઇનકાર કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સત્તા પર છે ત્યારે આગામી વર્ષોમાં દેશની આર્થિક વૃદ્ધિથી બજારને આશ્ચર્ય થશે. તેમણે જણાવ્યું હતું કે ‘મોદી એક માધ્યમ છે. તેઓ પરિવર્તનનું માધ્યમ છે, તેઓ ખુદ પરિવર્તન નથી. સત્તા પર તેમના પ્રથમ ૧૮૦ દિવસની સૌથી વધુ નોંધપાત્ર બાબત એ છે કે તેમણે શક્ય તેટલી ઝડપથી વિવિધ બાબતો કરવાનો નિર્ણય કર્યો છે. તેઓ પરિવર્તન જે ઝડપથી લાવી રહ્યા છે તે ઝડપ દેશ, સ્થિતિ અને સંજોગો પચાવી શકે તેવી હશે.’
તેમણે જણાવ્યું હતું કે સરકારનું સ્વચ્છ ભારત અભિયાન દેશ કરી શકે તેવું શ્રેષ્ઠ રોકાણ છે. તેમણે જણાવ્યું હતું કે આ અભિયાનના આરોગ્ય પાછળના ખર્ચ કરતા આશરે પાંચ ગણો વધુ લાભ થશે. તેથી તમારે સંપૂર્ણ પરિપ્રેક્ષ્યમાં ચિત્ર જોવું જોઇએ. ઝુનઝુનવાલાએ જણાવ્યું હતું કે એક વર્ષ પછી ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર રઘુરામ રાજનને ૨ ડિસેમ્બર, ૨૦૧૪ના રોજની નાણા નીતિમાં સમીક્ષા દરમિયાન વ્યાજદરમાં ઘટાડો ન કરવા બદલ પસ્તાવો થશે.
તેમણે આનું કારણ આપતા જણાવ્યું હતું કે ‘આનું કારણ એ છે કે આગામી વર્ષે ભારતમાં ફુગાવાનો દર આશરે ચાર ટકા હશે. આપણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં અસાધારણ ઘટાડો જોયો છે.’ તેમણે જણાવ્યું હતું કે અર્થતંત્રમાં સૌથી ખરાબ તબક્કો વીતી ચૂક્યો છે અને હવે આપણે કોમોડિટી તરીકે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ના સાત ટકાની આયાત કરીએ છીએ. આના લાભ હજુ તમામ સ્તર સુધી મળ્યા નથી.