નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે દિવંગત બિઝનેસમેન સંજય કપૂરની સંપત્તિ સાથે જોડાયેલા એક મહત્ત્વપૂર્ણ કેસમાં કરિશ્મા કપૂરના સંતાનોને મોટી વચગાળાની રાહત આપી છે. અદાલતે સંજય કપૂરની ત્રીજી પત્ની અને કરિશ્માના સંતાનોની સાવકી માતા પ્રિયા કપૂરને સંજય કપૂરની સંપત્તિઓની સાથે કોઈપણ પ્રકારે લેવડ-દેવડ કરવા સામે રોક લગાવી છે. જસ્ટિસ જ્યોતિ સિંહે સ્થિતિની ગંભીરતાને જોતા સ્પષ્ટ કર્યું હતું કે દિવંગત સંજય કપૂરની સંપત્તિને કોઈપણ સંજોગોમાં સુરક્ષિત રખાવી જોઈએ અને તેનો નાશ ન થવા દેવો જોઈએ. અદાલતે આદેશમાં આ વાતની નોંધ લીધી હતી કે આ કેસની સુનાવણીમાં લાંબો સમય લાગી શકે છે. કોર્ટે નિર્દેશ આપ્યા હતા કે કાનૂની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી અરજદારોએ વ્યક્ત કરેલી તમામ ચિંતાનું સમાધાન પ્રતિવાદી નંબર-એક એટલે કે પ્રિયા કપૂર તરફથી કરાવવું જોઈએ. હાઈકોર્ટે સંજય કપૂરની રૂ. 30 હજાર કરોડની વિશાળ સંપત્તિના મામલે નિર્ણય આપતા તેમની તમામ સંપત્તિઓને સંરક્ષિત કરવાનો આદેશ આપ્યો છે. અદાલતે કરિશ્મા કપૂરના સંતાનોએ દાખલ કરેલી અરજી પર સુનાવણી કરતાં આ આદેશ આપ્યો હતો.


