મુંબઈ: વર્ષ ૨૦૦૮માં લેહમેન બ્રધર્સના પતન બાદ 'મહામંદી'ને રોકવા માટે તમામ દેશોની સેન્ટ્રલ બેન્કોએ સંયુક્ત પ્રયાસ કર્યા હતા, પરંતુ હવે નાણાકીય બજારમાં આવી કટોકટી આવશે ત્યારે બેન્કો એકબીજાને એટલો સહકાર નહીં આપે, એમ રિઝર્વ બેન્કના ઓફ ઇન્ડિયાના ગવર્નર રઘુરામ રાજને કહ્યું છે.
તેમણે ચેતવણી ઉચ્ચારતા કહ્યું હતું કે ફેડરલ રિઝર્વથી લઈને યુરોપિયન સેન્ટ્રલ બેન્ક અને બેન્ક ઓફ જપાને ભૂતકાળમાં પૂરતાં પગલાં લીધાં છે, પરંતુ ભવિષ્યમાં નાણાકીય બજારના હિત માટે તેઓ ભૂતકાળની કામગીરીનું પુનરાવર્તન કરે તેવી શક્યતા ઓછી છે.
ઇન્ટનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)નાં મેનેજિંગ ડાયરેક્ટર ક્રિસ્ટિન લેગાર્ડે કહ્યું હતું, ‘સમગ્ર વિશ્વમાં સેન્ટ્રલ બેન્કોને એ વાતની ચિંતા છે કે તેમણે ઘણું કર્યું છે. વૈશ્વિક સહકારમાં વધારે પગલાંની જરૂર છે. તેથી મને લાગે છે કે આપણે ધારીએ તેના કરતાં વૈશ્વિક સહકારની ઇચ્છા ઓછી છે. તેથી તમે અપેક્ષા રાખો છો, અને તે મુશ્કેલ હોય છે કારણ કે સેન્ટ્રલ બેન્કોએ ઘણું કર્યું છે અને તેના કારણે તેમના દેશમાં જ રાજકીય ચિંતા વધી રહી છે.’
ઉલ્લેખનીય છે કે યુએસ ફેડરલ રિઝર્વે તેની બિનપરંપરાગત નાણાકીય નીતિ બંધ કરી છે, જેના થકી ભૂતકાળમાં મહામંદી સર્જાતાં અટકી હતી. આમ હવે બજારમાં આંચકા આવશે ત્યારે દરેક સેન્ટ્રલ બેન્કે પોતાની જાતને બચાવવા દોડવું પડશે. તેઓ ૨૦૦૮ની જેમ સંગઠિત રીતે વ્યાજદરમાં ઘટાડો અને બજારમાં લિક્વિડિટીમાં ઉમેરો નહીં કરી શકે.