ઓટ્ટાવાઃ વિશ્વના અગ્રણી દેશોને G-7 સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરી ભારતના કેનેડા અને અમેરિકા સાથેના સંબંધોમાં નવો વળાંક લાવવાની અપેક્ષા છે. આ સમિટ માટે વડાપ્રધાન માર્ક કાર્નીના આમંત્રણ બાદ ભારતીય વિદેશ મંત્રાલય ઉત્સાહિત છે અને 15થી 17 જૂન દરમિયાન યોજાનારી આ સમિટનો સંપૂર્ણ રાજદ્વારી લાભ લેવાની તૈયારીમાં હોવાના અહેવાલ છે.
આ બેઠકમાં પહેલીવાર મોદી અને અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ એક જ મંચ પર હશે. પહલગામ આતંકવાદી હુમલા પછી પાકિસ્તાન સામે ચાર દિવસની સૈન્ય કાર્યવાહી ઓપરેશન સિંદૂર પછી બંને નેતાઓ પહેલી વાર સામસામે હશે. ટ્રમ્પે આ યુદ્ધ ટાળવાનો જશ લેવાનો અનેકવાર પ્રયાસ કર્યો તો તેમના નિવેદન અંગે ભારત સરકારે સ્પષ્ટતા કરી હતી કે પાકિસ્તાને પોતે જ ભારત પાસેથી યુદ્ધવિરામની પહેલ કરી હતી.
મોદી-ટ્રમ્પની બેઠક અંગે હજુ નક્કી નથી
કેનેડામાં G-7 દરમિયાન વડાપ્રધાન મોદી અને પ્રેસિડેન્ટ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત થશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી. ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય સંબંધોમાં ટેરિફને લઈને રાજદ્વારી મૂંઝવણની સ્થિતિ પણ છે. આવી સ્થિતિમાં કોઈ પણ ફોર્મેટમાં બંને નેતાઓ વચ્ચેની મુલાકાત સંબંધો સુધારવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે.
કાર્ની માટે ભારત સાથેના સંબંધો સુધારવાની તક
વડાપ્રધાન મોદીની આ મુલાકાત દરમિયાન ભારત અને કેનેડાને તેમના દ્વિપક્ષીય સંબંધોને પાટા પર લાવવાની સુવર્ણ તક મળશે. યજમાન દેશ તરીકે કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની નરેન્દ્ર મોદી સાથે અલગથી મુલાકાત કરશે. આ બેઠકને સાર્થક બનાવવા માટે તૈયારી ચાલી રહી છે.
નિજ્જરની હત્યાકેસઃ તણાવનું કારણ
ઉલ્લેખનીય છે કે કાર્નીના પૂરોગામી અને તત્કાલીન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીનો સીધો આરોપ લગાવ્યો હતો. આ પછી ભારત અને કેનેડાએ એકબીજાના રાજદ્વારી સ્ટાફમાં ઘટાડો કર્યો અને સંબંધો સતત બગડતા રહ્યા હતા.