વોશિંગ્ટનઃ ભારતને અમેરિકા 3 બિલિયન ડોલરના 30 એમકયુ-9બી પ્રકારનાં 30 ડ્રોન વિમાનો આપવા તૈયાર છે. આ સોદો વહેલી તકે થઈ જાય તે જોવા માટે પણ અમેરિકા આતુર છે. આનું કારણ એ છે કે તેનાથી પ્રમુખ જો બાયડનને તેઓની આગામી પ્રમુખપદની ચૂંટણીમાં રાજકીય લાભ મળવાની સાથે સાથે અમેરિકામાં નોકરીની તકોમાં આંશિક વધારો થવાની પણ આશા છે. ભારત આ વિમાનો દ્વારા તેની સરહદો અને વિશેષત એલએસી ઉપર તથા હિન્દ મહાસાગરમાં પણ પૂરતી જાસૂસી કરી શકે. આ એમકયુ-9બી પ્રકારનાં 30 જાસૂસી ડ્રોન વિમાનો પૈકી દસ-દસ વિમાન સેનાની ત્રણે પાંખોને વહેંચી દેવાશે.
જોકે આથી વધુ માહિતી આપવાનો સત્તાવાર પ્રવકતાએ સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. જોકે તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે તેમાં કોઇ બ્યુરોક્રેટિક કે રેગ્યુલેટરી અવરોધો વચ્ચે આવશે નહીં.
આ તબક્કે જ્યારે વિદેશ મંત્રાલયના પોલિટિકલ મિલિટરી અફેર્સનાં જેસિકા લૂઈસને પૂછાયું કે વાસ્તવમાં તો આ સોદા અંગે તો 2017ના ઉનાળામાં જ મંત્રણા થઈ ચૂકી હતી તો પછી તેમાં આટલો લાંબો સમય શા કારણે વીત્યો? ત્યારે લૂઇસે કહ્યું હતું કે મારે તે અંગે વધુ તપાસ કરવી પડે તેમ છે. જોકે તે પણ સત્ય છે કે આ સોદો ઘણા સમયથી વિલંબિત રહ્યો છે, જેના કારણે તેની જાહેરાત કરવામાં આવી નથી.
આ સોદો લાંબા સમય સુધી પેન્ડીંગ પડ્યો રહ્યો તે માટે ભલે ગમે તે કારણો હોય, પરંતુ ભારતના રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજિત દોવલ અને અમેરિકા પણ એનએસએ જેડ સુલીવાન વચ્ચે થયેલી મંત્રણા પછી આ સોદો પાકો થઇ ગયો છે તે નિશ્ચિત છે.