ન્યૂયોર્કઃ હીરાના ભાગેડુ વેપારી નીરવ મોદી અને તેના સાથીઓની છેતરપિંડીના આરોપો રદ કરવાની અરજી ન્યૂયોર્કની એક કોર્ટે ફગાવી દેતાં તેને વધુ એક આંચકો લાગ્યો છે. અમેરિકાની ફાયર સ્ટાર ડાયમંડ, ફેન્ટસી ઈન્કોર્પો તેમજ એ.જૈફ એમ ત્રણ કંપનીના કોર્ટે નિયુક્ત કરેલા ટ્રસ્ટી રિચાર્ડ લેવિને નીરવ મોદી પર છેતરપિંડી કરવાના આરોપો લગાવ્યા હતા. અગાઉ નીરવ મોદી આ ત્રણેય કંપનીઓનો પરોક્ષ રીતે માલિક હતો.
ભારતીય અમેરિકન વકીલ રવિ બત્રાએ કહ્યું હતું કે, નીરવ મોદીએ પંજાબ નેશનલ બેન્ક તેમજ અન્યો પાસેથી ૧ બિલિયન ડૉલરની છેતરપિંડી કરી હતી અને કંપનીના શેરનું મૂલ્ય ખોટી રીતે વધારવા માટે શેરનું ખોટી રીતે ઊંચી કિંમતે વેચાણ કરીને નફો તેની કંપનીમાં ઘર ભેગો કર્યો હતો
લેવિન દ્વારા નીરવ મોદી તેમજ તેના સાથીઓ મિહિર ભણસાળી અને અજય ગાંધી સામે લોન આપનારાઓને થયેલાં નુકસાનનાં વળતર પેટે ઓછામાં ઓછા ૧૫ મિલિયન ડોલરની ચુકવણી કરવાની માગણી કરાઈ છે. નાદારીના કેસોની સુનાવણી કરતી કોર્ટના જજ સીન એચ લેન દ્વારા ગયા શુક્રવારે નીરવ મોદી અને તેના સાથીઓની અરજી ફગાવાઈ હતી.