વોશિંગ્ટન
અમેરિકાની દક્ષિણ સરહદેથી રાજ્યાશ્રય માટે પહોંચેલા શિખ માઇગ્રન્ટસની પાઘડીઓ જપ્ત કરીને નાશ કરવાનો આરોપ અમેરિકી અધિકારીઓ પર મૂકાયો છે. કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન કમિશનર ક્રિસ મેગ્નસે જણાવ્યું છે કે સરકારના અધિકારીઓ આ આરોપોની તપાસ કરી રહ્યાં છે.
મેગ્નસે જણાવ્યું હતું કે, અમે આ પ્રકારના આરોપને ઘણી ગંભીરતાથી લઇ રહ્યાં છીએ. અમે ઇચ્છીએ છીએ કે સીબીપીના કર્મચારીઓ દરેક માઇગ્રન્ટ સાથે સન્માનજનક વર્તન કરે. એરિઝોનામાં અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયને સરકારને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે, યુમા, એરિઝોનામાં રાજ્યાશ્રયની માગ કરનારા પૈકીના 47 કેસમાં અમને ફરિયાદ મળી છે જેમાં તેમની પાઘડી ઉતરાવી લેવામાં આવી હતી અને બે મહિના વીતી ગયા હોવા છતાં પરત કરાઇ નહોતી.
અમેરિકાની કોર્ટો અનેક ચુકાદામાં જણાવી ચૂકી છે કે કોઇપણ ધર્મની વ્યક્તિને તેના ધાર્મિક પ્રતિકો ધારણ કરતાં અટકાવવાથી તેની ધાર્મિક પ્રવૃત્તિ પર દબાણ સર્જાય છે. શિખોની પાઘડી જપ્ત કરીને સીબીપીએ તેમની ધાર્મિક પ્રવૃત્તિમાં હસ્તક્ષેપ કર્યો છે. તેમની ધાર્મિક માન્યતાનું ઉલ્લંઘન કર્યું છે.