વોશિંગ્ટનઃ અમેરિકી સેનેટે શીખ ધર્ના સ્થાપક ગુરુ નાનકની ૫૫૦મી જન્મજયંતીના ઐતિહાસિક અને અમેરિકી વિકાસ ગાથામાં શીખોના પ્રદાનને માન આપતાં ઠરાવને સર્વાનુમતિથી પસાર કર્યો હતો. ઇન્ડિયાના રીપબ્લિક સેનેટર ટોડ યંગ તેમજ મેરીલેન્ડના ડેમોક્રેટિક સેનેટર બેન કાર્ડિને આ ઠરાવ ૧૬મી નવેમ્બરે રજૂ કર્યો હતો. શીખ ધર્મ વિશેનો આ પ્રકારનો ઠરાવ પહેલી જ વાર અમેરિકી સેનેટમાં પસાર થયો હતો. સેનેટમાં પસાર થયેલા ઠરાવમાં જણાવાયું હતું કે અમેરિકા વિશ્વભરમાં શીખો ગુરુ નાનક દ્વારા અપાયેલા ઉપદેશ મુજબ સમાનતા, સેવા અને ઇશ્વર પ્રત્યેની શ્રદ્ધા સાથે જીવે છે.
સેનેટમાં રજૂ થયેલા ઠરાવમાં અમેરિકાના વિકાસમાં પ્રદાન કરી ચૂકેલા ચાર શીખ અગ્રણીઓનો પણ ઉલ્લેખ કરાયો હતો. શીખ અગ્રણી ગુરિન્દરસિંહ ખાલસાએ સેનેટમાં પસાર થયેલા ઠરાવને આવકાર્યા હતા. અમેરિકી પ્રતિનિધિગૃહમાં પણ આ મુજબનો જ ઠરાવ રજૂ થયો છે. રજૂ કરવામાં આવેલા બંને ઠરાવમાં એવું કહેવામાં આવ્યું છે કે માનનીય શીખ સમુદાય આશરે છેલ્લા ૧૨૦ વર્ષોથી અમેરિકામાં વસવાટ કરી રહ્યો છે. આ શીખ સમુદાયના અગ્રણીઓનાં પ્રદાનને બિરદાવવામાં આવ્યું છે.
અગ્રણી શીખોને બિરદાવાયા
ઠરાવમાં ૧૯૫૦માં કોંગ્રેસમાં ચૂંટાઈ આવેલા દલિપસિંહ સૌંદ, ફાઈબર ઓપ્ટિકના સંશોધક નરિન્દર કપાની, અમેરિકામાં પીચ ઉત્પાદન કરનારા સૌથી મોટા ખેડૂત દિનારસિંહ બૈને તેમજ રોઝા પાર્ક એવોર્ડ વિજેતા ગુરિન્દરસિંહ ખાલસાના પ્રદાનને પણ બિરદાવાયું હતું.
રજૂ કરવામાં આવેલા ઠરાવમાં ગ્રેમી એવોર્ડ વિજેતા વિખ્યાત કલાકાર સ્નાતમ કૌર, ન્યૂ યોર્ક પોલીસ વિભાગના પોલીસ અધિકારી ગુસ્સોય જેવી શીખ મહિલાને પણ બિરદાવાઈ હતી.