આકાશ દલાલની આરોપો હટાવવાની અરજી સ્ટેટ અપીલ્સ કોર્ટે ફગાવી

Wednesday 12th May 2021 06:56 EDT
 

હેકનસેકઃ ન્યૂજર્સીમાં જ્યૂઈશ કોમ્યુનિટી પર હુમલો કરવા બદલ ગુનેગાર ઠરેલા ભારતીય અમેરિકન આકાશ દલાલ અને એન્થની ગ્રેઝિયાનોની આરોપો હટાવવાની અરજી સ્ટેટ અપીલ્સ કોર્ટે નામંજૂર કરી દીધી હતી. તેમને સિનેગોગ પર શ્રેણીબદ્ધ બોંબવિસ્ફોટ અને યહૂદી ધર્મગુરુના મકાન પર હુમલો કરવાના આરોપમા દોષી ઠેરવાયા હતા. દલાલના એટર્નીએ આતંકવાદવિરોધી કાયદાને ગેરબંધારણીય ગણાવી આ કેસમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા વિચારતા હોવાનું કહ્યું છે.

કોર્ટે જેલમાં દલાલની સેલમાં સર્ચ દરમિયાન મળેલા કેટલાંક પૂરાવાને કોર્ટમાં મંજૂરી ન આપી શકાય અને ગ્રેઝિયાનોની તપાસકારો સમક્ષની કબૂલાતને દબાવી શકાય તે સહિત બન્નેની સંખ્યાબંધ દલીલો કોર્ટે ફગાવી હતી. ગ્રેઝિયાનોએ સજા વધુ પડતી હોવાની પણ દલીલ કરી હતી. રુધરફોર્ડ ખાતેના મકાનમાં યહૂદી ધર્મગુરુ પત્ની અને પાંચ બાળકો તથા તેમના પેરન્ટ્સ સૂતા હતા ત્યારે મકાન પર હુમલો થયો હતો.

દલાલે જણાવ્યું હતું કે ૨૦૧૧ના અંત અને ૨૦૧૨ની શરૂઆતમાં થયેલા બોંબમારા વખતે તે શહેરમા ન હતો.પરંતુ, પ્રોસિક્યુટર્સે જણાવ્યું હતું કે બોંબવિસ્ફોટોની ઘટનામાં દલાલ માસ્ટરમાઈન્ડ હતો. બન્નેએ ટેક્સટ મેસેજિસ દ્વારા હુમલાની યોજના ઘડી હતી. ૨૦૧૧ના હુમલા વખતે તેઓ ૧૯ વર્ષના હતા. ૨૦૧૬માં અલગ ટ્રાયલમાં બન્નેને દોષી ઠેરવાયા હતા અને સરકારી આતંકવાદ વિરોધી કાયદા હેઠળ બન્નેને ૩૫ વર્ષની જેલની સજા કરાઈ હતી.

બર્ગન કાઉન્ટીના આસિસ્ટન્ટ પ્રોસિક્યુટરની હત્યાનું કાવતરુ ઘડવાનો પણ દલાલ પર આરોપ હતો. જેલહાઉસના બાતમીદારે આ અંગે સત્તાવાળાને સાવચેત કરી દીધા હતા. દલાલના સેલની તપાસમાં એન્ટી - સેમેટિક લખાણો અને વિસ્ફોટકોના ઉલ્લેખ તેમજ જજીસ અને પ્રોસિક્યુટરોના નામો મળી આવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter