હ્યુસ્ટન: કોરોનાથી વિશ્વમાં હાહાકાર મચેલો છે ત્યારે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. કોરોનાથી સંક્રમિત ત્રણ ભારતીય-અમેરિકન પ્લાઝમા થેરપી ટ્રીટમેન્ટથી સાજા થઈ રહ્યા છે. સ્થાનિક હોસ્પિટલ દ્વારા કોન્વાલેસેન્ટ પ્લાઝમા થેરપી દ્વારા કોરોનાથી સાજા થયેલા લોકોના બ્લડ પ્લાઝમા આ ત્રણ દર્દીમાં ઈન્જેક્ટ કરાયા હતા, જેના પગલે આ દર્દીઓની હાલતમાં સુધારો છે. કોરોનાની રસી ક્યારે શોધાશે તે નક્કી નથી ત્યારે ટેક્સાસના ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકો દ્વારા પ્લાઝમા થેરપી સારવાર પદ્ધતિ લાગુ કરાઇ છે.
રિસર્ચ ટીમમાં ભારતીય
બેચલર કોલેજ ઓફ મેડિસિનમાં તાજેતરમાં જ પાંચ જણા ઉપર આ પ્રયોગ કરાયો હતો. હોસ્પિટલ અને એકેડેમી ઈન્ટિગ્રેશનના વાઈસ પ્રેસિડેન્ટ અશોક બાલાસુબ્રમણ્યમ્ પણ આ ટીમમાં સામેલ છે. તેમણે કહ્યું હતું કે, કોન્વાલેસેન્ટ પ્લાઝમા થેરપીના ઉપયોગથી તમામની તબિયત સ્થિર છે. આ એકેડેમીને ક્લિનિકલ ટેસ્ટિંગ માટે પરવાનગી અપાઇ છે. આ થેરપી દ્વારા ભારતવંશી આઈટી પ્રોફેશનલ રોહન બાવડેકર, લવાન્ગા વેલુસ્વામી તથા સુશ્મા સિંહની સારવાર કરાઇ છે અને તેમની તબિયતમાં સુધારો છે.