શિકાગો: બીજી વિશ્વ હિન્દુ કોંગ્રેસમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવતે હિન્દુ સમાજને એક થવાનું આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું કે, સિંહ જ્યારે એકલો હોય ત્યારે જંગલી કૂતરા પણ તેનો શિકાર કરી નાંખે છે. હિન્દુઓ હજારો વર્ષોથી શોષણનો ભોગ બની રહ્યા છે છતાં તેઓ એક થતાં નથી.
લગભગ અઢી હજાર લોકોને સંબોધતાં ભાગવતે કહ્યું કે, હિન્દુ સમાજમાં સૌથી વધુ પ્રતિભાશાળી લોકો છે, પરંતુ તેઓ ક્યારેય એક થતાં નથી. હિન્દુઓનું શોષણ થવાનું કારણ તેઓ તેમના મૂળ સિદ્ધાંતોનું પાલન અને આધ્યાત્મિકતા ભૂલી ગયા છે. જ્યારે બધા એક થશે ત્યારે જ હિન્દુ સમૃદ્ધ થશે.
સમગ્ર વિશ્વને એક ટીમ સ્વરૂપે બદલવા માટે અહંકારને નિયંત્રિત કરવો પડશે અને સર્વસંમતિનો સ્વીકાર કરવાનું શીખવુ પડશે. અમે દુનિયાને સારી બનાવવા માંગીએ છીએ. અમે પ્રભુત્વ જમાવવાની કોઈ આકાંક્ષા નથી.
અમારો પ્રભાવ વિજય કે સામ્રાજ્યવાદનું પરિણામ નથી. તેમણે કહ્યું કે, હિન્દુ ધર્મમાં તો એક જંતુને પણ મારવામાં નથી આવતું. અમે કોઈનો વિરોધ નથી કરતા. પરંતુ અનેક લોકો અમારો વિરોધ કરે છે. તેવા લોકો સાથે સૂઝબૂઝથી ઉકેલ લાવવો પડશે.