ટોરન્ટો: કેનેડાના બ્રેમ્પટનમાં તાજેતરમાં ખુલ્લા મૂકાયેલા શ્રી ભગવદ્ ગીતા પાર્કમાં તોડફોડ કરવામાં આવી છે. ભારતે આ ઘટનાની નિંદા કરી છે. તેમણે અધિકારીઓને આ બાબતની તપાસ કરવા અને આરોપીઓ સામે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી છે. આ પાર્ક અગાઉ ટ્રોયર્સ નામે ઓળખાતો હતો. તાજેતરમાં તેનું નામ બદલીને શ્રી ભગવદ્ ગીતા પાર્ક રાખવામાં આવ્યું હતું અને 28 સપ્ટેમ્બરે જ તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
દ્વેષપૂર્ણ અપરાધ નીંદનીયઃ ભારતીય હાઇ કમિશન
કેનેડામાં ભારતીય હાઈ કમિશને ટ્વીટ કર્યું હતું ભારત બ્રેમ્પટનના શ્રી ભગવદ ગીતા પાર્કમાં દ્વેષપૂર્ણ અપરાધની નિંદા કરે છે. અમે કેનેડિયન સત્તાવાળાઓ અને પોલીસને આ બાબતની તપાસ કરીને ગુનેગારો સામે ઝડપી પગલાં લેવા વિનંતી કરીએ છીએ.
સુરક્ષા મામલે ભારતે એડવાઈઝરી જારી
ભારતે તાજેતરમાં કેનેડામાં રહેતા ભારતીયોની સુરક્ષા માટે વિશેષ એડવાઇઝરી જારી કરી છે. વિદેશ મંત્રાલયે નિવેદનમાં કહ્યું કે કેનેડામાં હેટ ક્રાઇમ, સાંપ્રદાયિક હિંસા અને ભારત વિરોધી ગતિવિધિઓમાં વધારો થયો છે. આવી સ્થિતિમાં ભારતીય નાગરિકો અને કેનેડા જનારા ભારતીયોને સાવધાની રાખવા અને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવે છે.