કેલિફોર્નિયાઃ ગાંધીજીની હત્યા ૩૦મી જાન્યુઆરીએ કરાઈ હતી. એક તરફ જ્યારે વિશ્વભરમાં ગાંધીજીને યાદ કરીને શ્રદ્ધાંજલિ અપાતી હતી ત્યારે તાજેતરમાં ૩૧મી જાન્યુઆરીએ અમેરિકામાં ગાંધીજીની પ્રતિમાને તોડી નંખાઈ હતી. કેલિફોર્નિયામાં આ ઘટના બની છે જેની ભારતે નિંદા કરી છે અને જે પણ આરોપીઓ હોય તેની સામે આકરાં પગલાં લેવાની માગ કરી છે. કેલિફોર્નિયાના ડેવિસમાં સેન્ટ્રલ પાર્કમાં આવેલા ગાંધીજીના ૬ ફૂટ ઉંચા અને ૨૯૪ કિલો વજન ધરાવતા બ્રોંઝના સ્ટેચ્યૂને તોડી પાડવામાં આવ્યું હતું અને તેના પર પ્લાસ્ટિક લપેટી દેવામાં આવ્યું હતું.
માત્ર એક જ મહિનામાં બીજી વખત ગાંધીજીના સ્ટેચ્યૂને નુકસાન પહોંચાડી અપમાનિત કરવામાં આવ્યું છે. આ સ્ટેચ્યુને વર્ષ ૨૦૧૬માં ભારત સરકારે ભેટ સ્વરૂપે અમેરિકાને સોપ્યું હતું. સ્ટેચ્યૂને તૂટેલી અને ખરાબ અવસ્થામાં પાર્કના એક કર્મચારીએ જોયું હતું એ પછી સમગ્ર મામલો સામે આવ્યો હતો.
ગાંધીજીની પ્રતિમાને નુક્સાન થતાં ભારત સરકારે એક નિવેદન જારી કરીને કહ્યું કે, આ ઘટનાને ભારત સરકાર વખોડે છે અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે અમેરિકન પ્રશાસન આકરા પગલાં લે. અમેરિકા સ્થિત ભારતીય એમ્બેસીએ પણ સમગ્ર મામલાને લઇને અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટને તપાસ કરવા માટે કહ્યું હતું. અમેરિકી તપાસ વિભાગે કહ્યું હતું કે, આ મામલાની તપાસમાં સ્ટેચ્યૂને કેમ નુકસાન પહોંચાડવામાં આવ્યું તેનું કારણ જાણવા નથી મળ્યું. કેલિફોર્નિયા પ્રશાસને પણ આ ઘટનાની નિંદા કરી હતી અને જે પણ લોકો જવાબદાર હોય તેની સામે પગલા લેવાની ખાતરી આપી હતી. વોશિંગ્ટનમાં પણ એકાદ મહિના પહેલાં ગાંધીજીના સ્મારકને કુચડો ફેરવી દેવામાં આવ્યો હતો.