અમેરિકાના કેલિફોર્નિયામાં નિર્માણ પામી રહેલાં હિન્દુ મંદિરના સાઇનબોર્ડ પર અજાણ્યા શખ્સોએ ગોળીઓ ચલાવી નાસી છૂટયા હતા. આશરે ૬૦ જેટલા ગોળીઓનાં નિશાન આ બોર્ડ પર જોવા મળ્યાં હતાં. આ ઘટનાને પગલે અમેરિકાસ્થિત ભારતીયો ભયમાં છે, કેમ કે, અગાઉ પણ અનેક ભારતીયોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે. આ ઘટનાની તપાસના આદેશ થયા છે. આ સાઇનબોર્ડ પર જ કેમ ગોળીઓ ચલાવવામાં આવી તે અંગે મંદિરના સંચાલકો પણ સવાલ ઉઠાવે છે. આ પહેલાં પણ એક હિન્દુ મંદિરને ટાર્ગેટ બનાવવામાં આવ્યું હતું. આ મંદિર ૩,૬૦૦ સ્ક્વેર ફૂટમાં બનાવવામાં આવી રહ્યું છે.
પંજાબના પ્રધાન પર અમેરિકામાં હુમલોઃ પંજાબના એનઆરઆઈ બાબતોના પ્રધાન તોતાસિંહ અને તેમના કાફલા પર અમેરિકામાં સેંકડો શીખોએ પથ્થર અને જૂતાં ફેંક્યાં હતાં. આ શીખ યુવાનો તેમની યાત્રાનો વિરોધ કરી રહ્યા હતા. પ્રધાનની સુરક્ષા માટે પોલીસને બોલાવવી પડી હતી. તેમને દેખાવકારોથી બચાવીને કાઢવામાં પોલીસને લગભગ ત્રણ કલાક સુધી જહેમત કરવી પડી હતી. આ મામલે બે શીખ યુવાનોની ધરપકડ થઇ છે. આ દેખાવો ‘શીખ ફોર જસ્ટિસ’ (એસએફજ)ના નેતૃત્વ હેઠળ ઉત્તર અમેરિકાના શીખ જૂથોએ કર્યા હતા. વિરોધ કરી રહેલા જૂથોમાં એસએફજે, શીખ યુથ ઓફ અમેરિકા, શિરોમણી અકાલીદલ (અમૃતસર) અને અમેરિકી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ સામેલ છે.