વોશિંગ્ટનઃ અમેરિકામાં મલ્ટિનેશનલ કંપનીઓ જેવી કે માઇક્રોસોફ્ટ, મેટા, એમેઝોન અને ટ્વિટ૨માંથી આશરે 70 હજાર ભારતીય ટેક્નોક્રેટ્સની છટણી થઇ છે. તેમાં મોટા ભાગના ભારતીય છે, જેઓ એચ-1બી અને એલ-1 વિઝા પર અમેરિકામાં રહે છે. જો 60 દિવસમાં તેમને બીજી નોકરી ન મળે તો તેમણે અમેરિકામાંથી જતું રહેવું પડે તેમ છે. પરંતુ તેમના માટે સારા સમાચાર છે. અમેરિકન સુરક્ષા મંત્રાલય અને ઇન્ટેલિજન્સે છટણીનો શિકાર થયેલા ટેક્નોક્રેટ્સને નોકરી આપવા યોજના ઘડી છે. આ માટે એચ-1 વિઝા કેટેગરી પણ બનાવાઇ છે. તે અંતર્ગત છટણીનો શિકાર ભારતીયોને સૌથી વધુ લાભ થવાની શક્યતા છે.
અમેરિકામાં અત્યાર સુધી સુરક્ષા મંત્રાલયમાં અમેરિકન નાગરિકો અને ગ્રીનકાર્ડ હોલ્ડરને નોકરી અપાતી હતી. આવું પહેલી વાર બન્યું છે કે એચ-1 વિઝા કેટેગરી ધરાવતા ઉમેદવારોને સુરક્ષા મંત્રાલયમાં કામ કરવા યોજના તૈયાર
કરાઇ હોય. સાઈબર સિક્યોરિટીના ડિરેક્ટર રોબ જોયસનું કહેવું છે કે છટણીનો ભોગ બનેલા કર્મીઓનો, ખાસ કરીને ભારતીય ટેલેન્ટનો, સારો ઉપયોગ થઇ શકે છે. નિષ્ણાતો કહે છે કે ભારત અને અમેરિકા વચ્ચે હાલમાં જ થયેલા ઇનિશિએટિવ ઓન ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજી (આઇસીઇટી)ની પણ અસર છે. તે અમેરિકન સુરક્ષા મંત્રાલયે ભારતીય ટેક્નોક્રેટ્સ માટે દ્વાર ખોલ્યાં છે.
આ પગલાં પાછળના 3 કારણ
1) ચીનનો પડકાર: ચીન સાઈબર ઇન્ટેલિજન્સ, ડિફેન્સ ઉપકરણોના ઉત્પાદનમાં અમેરિકાને પડકારી રહ્યું છે. અમેરિકન સુરક્ષા મંત્રાલયમાં ટેક્નોક્રેટ્સના 30 ટકા હોદ્દા ખાલી છે. બાઈડેન સરકારની નીતિ છટણી કરાયેલા યુવાનોને ભરતી કરવાની છે.
2) ટેક્નોક્રેટ્સની અછતઃ અમેરિકન એજ્યુકેશન સિસ્ટમમાં અભ્યાસ કરનારા 65 ટકા વિદ્યાર્થી ડિગ્રી કોર્સ નથી કરતા એટલે સ્ટેમ (સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, મેથ્સ) ટેક્નોક્રેટ્સની અછત છે. યુએસમાં 75 ટકા ભારતીય પાસે આ ક્ષેત્રે ડિગ્રી છે.
3) યુક્રેન યુદ્ધમાંથી બોધપાઠઃ રશિયા-યુક્રેન યુદ્ધના કારણે સુરક્ષા અને સાઈબર વોરની દિશામાં નવા બોધપાઠ મળ્યા છે. અમેરિકાએ ફ્યૂચર વોરફેરની તૈયારી કરવાની છે, જેના માટે તેમને ટેક્નોક્રેટ્સ જોઇએ છે.