હ્યુસ્ટનઃ ટેક્સાસમાં આવેલા અષ્ટલક્ષ્મી મંદિરમાં ધાર્મિક ઉજવણી વખતે 11 વર્ષના બાળકના બંને બાવડા પર ભગવાન વિષ્ણુનું ટેટુ બનાવાયું હતું. લોખંડના ધગધગતા સળિયાથી કરેલા ટેટુના કારણે બાળકને ઈન્ફેક્શન થયું હતું. એ મુદ્દે હવે બાળકના પિતાએ મંદિર સામે કેસ કર્યો છે.
ટેક્સાસના બોર્ટબેન્ડ કાઉન્ટીમાં રહેતા વિજય ચેરુવુએ સુગરલેન્ડમાં આવેલા અષ્ટલક્ષ્મી મંદિરના સંચાલકો સામે 10 લાખ ડોલરના વળતરનો કેસ કર્યો છે. ગયા વર્ષે એક ધાર્મિક ઉજવણી વખતે મંદિરના સંચાલકોએ 11 વર્ષના બાળકના બંને બાવડા પર ડામ દીધા હતા એવો આરોપ મૂકાયો છે.
બાળકના બંને ખભા પર લોખંડના ગરમ સળિયાથી ભગવાન વિષ્ણુનું ટેટુ બનાવાયું હતું. એ પછી બાળકને બંને ખભામાં અસહ્ય દુખાવો ઉપડયો હતો અને તેને ગંભીર ઈજા પહોંચી હતી. એ ડામના કાયમી ડાઘ રહી ગયા હતા હોવાથી એ મુદ્દે નારાજ પિતાએ મંદિર ટ્રસ્ટ સામે 10 લાખ ડોલરના વળતરની માગણી કરી છે અને મંદિર સામે કેસ કર્યો છે.
અરજીમાં કહેવાયું હતું કે ધાર્મિક સેલિબ્રેશનમાં બાળક સહિત 100 લોકોએ ભાગ લીધો હતો. 11 વર્ષનો છોકરો એની માતા સાથે મંદિરે ગયો હતો. મંદિરના ખભા પર ટેટુ બનાવ્યા બાદ એને કહેવામાં આવ્યું હતું કે આ વાત કોઈને કહેવાની નથી. એવું લેખિત નિવેદન બાળકે આપ્યું હતું તેના આધારે કેસ કરવામાં આવ્યો છે. મંદિર સંચાલકોએ આ અંગે કોઈ સ્પષ્ટતા કરી ન હતી.