નવી દિલ્હીઃ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના ૪૫મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને તેમને અભિનંદન પાઠવ્યા અને કહ્યું હતું કે તેઓ તેમની સાથે મળીને બન્ને દેશોના સંબંધોને નવી ઉંચાઈએ લઈ જશે. પરંતુ, શું ડોનાલ્ડ ટ્રમ્પના શાસન દરમિયાન ભારત અને અમેરિકાના સંબંધો હકીકતમાં નવી ઉંચાઈને સ્પર્શી શકશે?
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો તેમના વિજયથી ખુશ થઈને ઉજવણી કરી રહ્યા છે, પરંતુ ભારતમાં તેમના વિજય અગાઉ જ તેમને વિજેતા જાહેર કરીને ખુશી મનાવવામાં આવી હતી. જોકે, એ વાત સાચી છે કે ઉજવણી કરનારા આ લોકોની સંખ્યા ખૂબ ઓછી હતી અને તેમનો સંબંધ હિંદુ કટ્ટરપંથી સંગઠનો સાથે હતો. તેઓ ટ્રમ્પના ચાહકો છે, તેમણે મીઠાઈ પણ વહેંચી હતી. પરંતુ, બે દેશો વચ્ચેના સંબંધો લાગણીઓ પર આધારિત હોતા નથી.
હકીકત તો એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને સારી રીતે જાણતા નથી અને તેવી જ રીતે ભારત પણ તેમને જાણતું નથી. અમેરિકી બાબતોના વરિષ્ઠ પત્રકાર મનોજ જોશીએ જણાવ્યું હતું, ‘ટ્રમ્પ ભારતને સારી રીતે જાણતા નથી. તે ભારતીય મૂળના કેટલાક ગુજરાતીઓને જાણે છે જેમણે ‘હિંદુઝ ફોર ટ્રમ્પ’ નામની એક સંસ્થાની રચના કરી છે એટલે કદાચ તેઓ તેના લીધે ખુશ હશે. પરંતુ, મોટા દેશોની વિદેશ નીતિ પોત-પોતાના હિત પર આધારિત હોય છે. ટ્રમ્પ પણ પોતાના દેશના હિતને જ ધ્યાને રાખશે.’