શાર્લોટઃ નોર્થ કેરોલિનામાં શીખ ધર્મસ્થાનો ગુરુદ્વારાઓ પર તોફાની તત્વો દ્વારા કરાતી વારંવારની તોડફોડ અને હુમલાથી શીખ સમુદાયમાં ચિંતા પ્રવર્તી રહી છે. શીખ સમુદાયે આ ઘટનાઓની સર્વગ્રાહી તપાસની માગણી કરી છે. ગત બે મહિનામાં વિવિધ ઘટનાઓમાં ઈસ્ટ એરોવૂડ રોડ પરના ગુરુદ્વારા સાહિબ ખાલસા દરબારની બારીઓ, લાઈટ્સ અને સિક્યુરિટી કેમેરાઓની તોડફોડ કરવામાં આવી છે.
શીખ કોમ્યુનિટીના અજય સિંહના જણાવ્યા મુજબ શાર્લોટની આ નાની કોમ્યુનિટીમાં આવા અનુભવો આઘાતજનક છે. 2021 અમેરિકન કોમ્યુનિટી સર્વે મુજબ નોર્થ કેરોલિનાની 10.5 મિલિયનની વસ્તીમાં શીખોની સંખ્યા માત્ર 6,900 જેટલી જ છે. 3 જાન્યુઆરીએ પૂજાખંડ નજીકની બારી તોડી નખાઈ હતી અને બે દિવસ પછી બાળકો માટેના રૂમ પાસેની બારી તોડવામાં આવી હતી. ગુરુદ્વારાના સભ્યો કહે છે કે તેમણે પોલીસ રિપોર્ટ નોંધાવ્યો છે પરંતુ, મેક્લેનબર્ગ પોલીસે પહેલી ડિસેમ્બરથી 13 જાન્યુઆરીના ગાળામાં કોઈ ઘટનાનો ઈનકાર કર્યો હતો.
શીખ કોમ્યુનિટીએ ગુરુદ્વારાને નુકસાન તથા સેફ્ટી ફેન્સ અને દરવાજા ઉભા કરવાના ખર્ચને પહોંચી વળવા ‘ગોફંડમી’ પેજ શરૂ કર્યું છે. ગુરુદ્વારા શીખ ધર્મસ્થાન હોવા ઉપરાંત, 40થી વધુ બાળકો માટે શાળા ચલાવે છે અને કોમ્યુનિટી ભોજન, પંજાબી ભાષા, લીડરશિપ અને મ્યુઝિકના ક્લાસીસ પણ ચલાવે છે.