ન્યૂ યોર્કઃ ગરિમા કોઠારી નામની ભારતીય મહિલાનો મૃતદેહ ૨૬ એપ્રિલના રોજ જપ્ત કરાયો હતો. તેમના શરીરના ઉપરના ભાગમાં ઇજાના અનેક ચિહ્નો જોવા મળ્યા હતા. રિજિયોનલ મેડિકલ એક્ઝામિનરના પોસ્ટમોર્ટમ પછી ગરિમા કોઠારીની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. મેડિકલ એક્ઝામિનરે વધુમાં જણાવ્યું છે કે કોઠારીને પાંચ મહિનાનો ગર્ભ પણ હતો.
કોઠારીના પતિ મનમોહનનો મૃતદેહ હુડસન નદીમાંથી મળી આવ્યો હતો. જર્સી સિટી પોલીસ ડિપાર્ટમેન્ટનું માનવું છે કે કોઠારીના પતિએ આત્મ હત્યા કરી હતી. જો કે રિજિયોનલ મેડિકલ એક્ઝામિનરે કોઠારીના પતિના મોતનું કારણ અત્યાર સુધી આપ્યું નથી.
ગરિમા કોઠારી પ્રતિભાશાળી શેફ હતાં જ્યારે મનમોહન મોલ આઇઆઇટીમા ભણેલા હતાં. તે કોલંબિયા યુનિવર્સિટીમાં માસ્ટર ડિગ્રી કરવા માટે અમેરિકા આવ્યાં હતાં. આ દંપતીની ન્યૂ જર્સીમાં જ નુક્કડ નામની રેસ્ટોરન્ટ હતી. નુક્કડના એક કર્મચારીના જણાવ્યા અનુસાર તેઓ સુખી દંપતી હતું.
તેમના પરિવારના સભ્યના જણાવ્યા અનુસાર મોલ ખૂબ જ બુદ્ધિશાળી અને કાળજી લેનારો હતો જ્યારે કોઠારી પ્રતિભાશાળી શેફ હતી.